મહારાષ્ટ્રમાં ભારે હલચલ વચ્ચે બળવાખોર નેતા એકનાથ શિંદેએ પહેલીવાર કોઈ નિવેદન આપ્યું છે
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેનું સૂચક ટ્વિટ, અમે બાળાસાહેબના કટ્ટર શિવસૈનિક છીએ, બાળાસાહેબે અમને હંમેશા કટ્ટર હિન્દુત્વ શીખવ્યું છે, સત્તા માટે તેમના વિચારો સાથે છેતરપિંડી કરીશું નહીં.
आम्ही बाळासाहेबांचे कट्टर शिवसैनिक आहोत... बाळासाहेबांनी आम्हाला हिंदुत्वाची शिकवण दिली आहे.. बाळासाहेबांचे विचार आणि धर्मवीर आनंद दिघे साहेबांची शिकवण यांच्याबाबत आम्ही सत्तेसाठी कधीही प्रतारणा केली नाही आणि करणार नाही
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 21, 2022
મહારાષ્ટ્ર શિવસેનામાં ભંગાણના સમાચાર સામે આવી રહ્યાં છે. શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ જોવા મળી રહ્યાં છે. નેતા એકનાથ શિંદે સાથે સંપર્ક ન થતા શરદ પવાર એક્ટિવ થયા છે અને મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેએ પ્રસ્તાવ આપ્યો હોવાનો મહારાષ્ટ્રના સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે જાણવા મળી રહ્યું છે. એકનાથ શિંદે પાસે શિવસેનાના 30થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ પણ મોડી રાત્રે ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી.
સૂત્રો પ્રમાણે શિંદેના પ્રસ્તાવમાં આ ત્રણ શરતો:
1.ભાજપ સાથે સરકાર
2.દેવેન્દ્ર ફડણવીસને બનાવો મુખ્યમંત્રી
3.એકનાથ શિંદે પોતે ડેપ્યુટી CM
આ પ્રસ્તાવને સાચો ગણી શકાય તેવી શક્યતા પૂરેપૂરી છે કારણ કે એકનાથ શિંદેએ કરેલા તાજેતરના ટ્વિટ સાથે સીધો સંબંધ જોઈ શકાય છે. કારણ કે ઉલ્લેખનીય છે કે શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન તૂટ્યા બાદ શિવસેનાએ સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને NCP સાથે છેડો બાંધ્યો હતો. એ જગજાહેર છે કે શિવસેનાને હંમેશા કટ્ટર હિંદુત્વ ધરાવતા પક્ષ તરીકે જોવામાં આવ્યો છે અને તેના પગલે જ મહારાષ્ટ્રમાં ભાજપને પણ શિવસેનાના સાથને કારણે સફળતા મળતી હતી.
આવામાં એકનાથ શિંદેએ ટ્વિટ કરીને જે લખ્યું છે તેમાં આ જ વિચાર દેખાઈ આવે છે. તેમણે લખ્યું કે બાળાસાહેબે અમને કટ્ટર હિંદુત્વ શીખવ્યું છે અને સત્તા માટે તેમના વિચારો સાથે છેતરપિંડી નહીં કરીએ. જેનો સીધો અર્થ એ થાય છે કે કોંગ્રેસ અને NCPનો સાથ સત્તા માટે ન જોઈએ અને હિંદુત્વની વિચારાધારા સાથે વળગી રહેવું હોય તો ભાજપનો સાથ ચોક્કસપણે જોઈશે.
મહારાષ્ટ્રમાં સરકારના નેતૃત્તવમાં કોઈ બદલાવની જરૂર નથી : શરદ પવાર
આ બાજુ NCP સુપ્રીમો શરદ પવાર પણ એક્શન મોડમાં આવી જતા પ્રેસ કોન્ફન્સ કરી હતી. તેમણે આ સમગ્ર મુદ્દાને શિવસેનાના આંતિરક મામલા તરીકે ખપાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે નારાજ શિવેસના ધારાસભ્યોને મનાવવા કે તેઓ કયા મુદ્દે નારાજ છે તે શિવસેનાએ જોવાનું છે. બાકી અત્યાર સુધી તો સરકાર સારી રીતે ચાલી છે અને આગળ પણ ચાલતી જ રહેશે. મહારાષ્ટ્ર સરકારમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વને બદલવાની કોઈ જરૂરિયાત દેખાતી નથી. શિવસેના જે નક્કી કરશે તેની પડખે અમે ઊભા રહીશું તેમ પણ પવારે જણાવ્યું હતું.
એકનાથ શિંદે સાથે સંપર્ક થયો નથી, પરંતુ બધું બરાબર થઇ જશે- સંજય રાઉત
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્યું છે, સંજય રાઉતે જણાવ્યું હતું કે, શિવસેનાના ખરાબ સમયમાં પણ આ ધારાસભ્યો શિવસેના સાથે રહ્યા હતા. જેથી તમામ ધારાસભ્યો પરત આવશે. વધુમાં તેમણે કહ્યું કે, એકનાથ શિંદે સાથે સંપર્ક થયો નથી, પરંતુ મને વિશ્વાસ છે કે, બધું બરાબર થઇ જશે. કારણ કે, મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી અલગ છે. શિંદે અમારાથી નારાજ નથી, તે અમારા ભાઈ છે. જેથી જે ખૂદને કિંગ મેકર સમજે છે, તે સફળ થશે નહીં.