બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાતની સૌથી ઉંચી હનુમાનજીની પ્રતિમા આ મંદિરમાં, મૂર્તિમાં છે 8 અબજ વખત 'રામ' નામ લખેલી પુસ્તિકા
Last Updated: 06:45 AM, 20 September 2025
મોરબી શહેરની આજુબાજુના વિસ્તારમાં અનેક દેવસ્થાન આવેલા છે. આ દરેક દેવસ્થાન લોકોની આસ્થાના કેન્દ્ર તો છે જ સાથોસાથ હરવા ફરવા માટેના પિકનિક પોઈન્ટ પણ બન્યા છે. મોરબીના ભરતનગરથી બેલા ગામ તરફ જવાના રસ્તા પર સુંદર રમણીય વિસ્તારમાં ખોખરા હનુમાનજીનું મંદિર આવેલુ છે. ખોખરા હનુમાનજી મંદિરને લોકો ડોક્ટર હનુમાન નામથી પણ જાણે છે. હનુમાનજીના દર્શન કરવા ભાવિક ભક્તો મોરબી સહિત દેશના દરેક ખૂણેથી અને વિદેશથી પણ અહીં આવી પહોંચે છે.
ADVERTISEMENT
મંદિર પરિસરનું ખાસ આકર્ષણ હનુમાનજીની 108 ફૂટ ઊંચી સુંદર મુર્તિ છે. મંદિર પરિસરમાં 2022માં મુકવામાં આવેલી હનુમાનજી મહારાજની ગુજરાતની સૌથી ઊંચી ભવ્ય મુર્તિની એક ખાસ વિશેષતા એ છે કે તેની અંદર 8 અબજ રામ નામ લખેલી પુસ્તિકા મૂકવામાં આવી છે અને આ પ્રકારની રામ નામ લખેલી પુસ્તિકા મૂકવામાં આવી હોય તેવી હનુમાનજીની ભારતમાં આ એક માત્ર મુર્તિ છે. 1500 ટન સ્ટીલ, સિમેન્ટ અને અન્ય મટીરીયલ્સ ઉપયોગ કરી બનાવવામાં આવેલી હનુમાનજીની સુંદર મુર્તિ દૂરથી દર્શનીય છે.

ADVERTISEMENT
વર્તમાન સમયમાં જે જગ્યા પર વિશાળ મંદિર અને ગુજરાતની સૌથી મોટી હનુમાનજી મહારાજની મુર્તિ આવેલી છે તે ખોખરા હનુમાન મંદિર સ્વ. કેશવાનંદ બાપુની તપો ભૂમિ છે. વર્ષો પહેલા કેશવાનંદ બાપુ બેલા ગામ પાસે આવ્યા ત્યારે આ સ્થળ વેરાન જંગલ હતુ અને ચારે બાજુ બાવળના ઝુંડ હતા કેશવાનંદ બાપુએ એક પગે ઉભા રહીને કઠોર સાધના કરી હતી. બાપુ સાધનામાં હતા ત્યારે ખોખરાનો આવાજ સંભળાયો હતો એટલે હનુમાનજીનું નામ ખોખરા હનુમાન પાડ્યું હતું.
જયાં શ્રદ્ધા હોય, ત્યાં કોઈ પૂરાવાની જરૂર હોતી નથી ખોખરા હનુમાન મંદિર સાથે મોરબી તાલુકા કે જિલ્લાના લોકો જ નહીં, સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યના લોકો પણ પૂરી આસ્થા સાથે જોડાયેલા છે. મંદિરે હનુમાન જયંતિ, રામ નવમી અને વર્ષ દરમિયાન આવતા તહેવારોમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. અને દાદાના દર્શનની સાથે ભોજન પ્રસાદનો પણ લાભ લે છે.
ADVERTISEMENT

જયારે કેશવાનંદ બાપુ તપ કરતાં હતા ત્યારે આસપાસના ગામમાં કોઈ વ્યક્તિ બીમાર હોય ત્યારે દર્દીને કેશવાનંદ બાપુ પાસે લઈને આવતા, બાપુ દર્દીના સારા સ્વાસ્થ્ય માટે હનુમાનજીને પ્રાર્થના કરતા અને લોકોનું સ્વાસ્થ્ય સારું થઈ જતું હતું એટલે આ હનુમાનજીને મોરબી પંથકમાં લોકો ડોક્ટર હનુમાનના નામથી પણ ઓળખે છે. આજના સમયમાં કોઈ શ્રદ્ધાળુ સાચી આસ્થા સાથે દાદા સમક્ષ પોતાની શારીરીક પીડા દૂર થવાની મનોકામના વ્યક્ત કરે છે તે હનુમાનજીના આશીર્વાદથી તેની શારીરિક પીડા કે પછી બીમારી દુર થાય છે.
ADVERTISEMENT

આ મંદિરે અનેક લોકઉપયોગી પ્રકલ્પો પણ ચલાવવામાં આવે છે. મંદિરે સંસ્કૃત પાઠશાળા બનાવવામાં આવી છે જ્યાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી ઋષિ કુમારો ભણવા આવે છે. માતાપિતા વિહોણા નિરાધાર બાળકોને પણ અહિં રાખીને શિક્ષણ સહિતની અન્ય બાબતોનું જ્ઞાન આપી સારા જીવન માટે ઘડતર કરવામાં આવે છે. વડીલો અને દિવ્યાંગ લોકોને પણ રાખીને તેમની સેવા અને ગૌશાળા થકી ગાય માતાની સેવા આ મંદિરના પટાંગણમાં કરવામાં આવે છે.
ADVERTISEMENT

મંદિરમાં હનુમાનજીની સાથે રામ દરબાર, દ્રારિકાધીશ, મહાદેવજી અને માતાજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલી છે. ભાવિકો એક જ જગ્યાએ હનુમાનજી સાથે હરી અને હર બંનેના દર્શન કરી શકે છે માટે આ ભક્તિના ધામને ખોખરા હનુમાન હરિહર ધામ નામ આપવામાં આવ્યું છે જે અનુયાયીઓ અને બહારથી આવતા યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ઘણા ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા પગપાળા પણ દાદાના દર્શને આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ શ્રીકૃષ્ણને અહીં લાગ્યું હતું ગૌહત્યાનું પાપ, તપ બાદ સજીવન થઈ ગાયો, 6000 વર્ષ જૂનો ઈતિહાસ
પહેલા ખોખરા હનુમાન મંદિર નાની દેરી સ્વરૂપે હતુ અને કોઈપણ પ્રકારની સુવિધા નહોતી કેશવાનંદ બાપુ, કનકેશ્વરી માતાજી અને ખોખરા હનુમાન સાથે જોડાયેલા ભક્તો અને અનુયાયીઓ જે પણ દાન આપે છે તેના થકી દરેક સુવિધાઓ વધી રહી છે. વર્તમાન સમયમાં મંદિર દેવદર્શનની સાથે લોકોને શાંતિની અનુભૂતિ પણ પ્રદાન કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.