બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / લંકાપતિએ હઠ પકડી, મહાદેવે શરત સાથે વરદાન આપ્યું, વિષ્ણુએ એવી લીલા કરી કે બન્યુ જ્યોતિર્લિંગ
Vaidyanath Jyotirling: રાત્રે ત્રીજો પ્રહર ચાલી રહ્યો હતો, આકાશમાં તારાઓ ટમટમી રહ્યા હતા અને પૃથ્વી ચંદ્રના શીતળ પ્રકાશથી ઢંકાઈ ગઈ હતી. એ સમયે ત્રિકાળજ્ઞાની, સર્વશક્તિમાન લંકાપતિનો રાજા હિમાલયની તળેટીમાં ધ્યાનમગ્ન હતો. સમસ્ત દેવતાઓને પોતાને આધિન કરેલા રાવણના મનમાં ફક્ત એક જ ધ્યેય હતો. શિવને લંકામાં લઈ જવાનો.
ADVERTISEMENT
આ ત્રેતાયુગની વાત છે. જ્યારે કૈલાશ પર ધ્યાન કરી રહેલા ભગવાન શિવને કોઈ 'ૐ નમઃ શિવાય., ૐ નમઃ શિવાય..'ના મંત્રથી બોલાવી રહ્યું હતું. આ કોઈ સામાન્ય ઋષિ નહોતા. તે લંકાનો રાજા દશાનન રાવણ હતો. રાવણ જેણે બધા દેવતાઓને વશ કર્યા હતા, તે હવે શિવને લંકામાં લઈ જવા ઉતાવળ્યો થઈ રહ્યો હતો. તે કઠોર તપમાં લીન હતો.

ADVERTISEMENT
રાવણ શિવને લંકા લઈ જવાનો છે તે વાતની જાણ ત્રણેય લોકમાં થતા હાહાકર મચી ગયો, દેવતાઓ હાફળા ફાફળા થઈ ગયા. ચિંતાતૂર અને વ્યાકૂળ થઈને સવાલો કરવા માંડ્યા કે જો શિવ લંકા જશે, તો તેની પૂજા કોણ કરશે.? દિવસો વિત્યા, વર્ષો જતા રહ્યાં અને અંતે રાવણના તપથી મહાદેવ પ્રસન્ન થયા. રાવણને વરદાન તો આપ્યું પણ સાથે એક શરત રાખી. પછી વિષ્ણું એ એવી લીલા કરી કે, ભારતની ભૂમિ પર પ્રસ્થાપિત થયું એક જ્યોતિર્લિંગ, જે આગળ જતા વૈધનાથ તરીકે ઓળખાયું.
જ્યોતિર્લિંગને લઈને બે રાજ્યોમાં મતભેદ
ADVERTISEMENT
આ જ્યોતિર્લિંગને લઈને મહારાષ્ટ્ર અને ઝારખંડ વચ્ચે મતભેદ છે. મહારાષ્ટ્રના પરલી સ્ટેશન નજીકના એક ગામમાં વૈદ્યનાથ મંદિર છે. અહીંના લોકો તેને જ્યોતિર્લિંગ માને છે. ઝારખંડના દેવઘરમાં એક વૈદ્યનાથ મંદિર પણ છે, અહીંના લોકો તેને 12 જ્યોતિર્લિંગમાંથી એક માને છે. ઝારખંડમાં સ્થિત વૈદ્યનાથ મંદિરનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશના કાંગડામાં આ જ્યોતિર્લિંગ સ્થિત હોવાનો પણ દાવો કરવામાં આવે છે. પણ, દેવતાઓનું ઘર મનાતું દેવઘર જ મુખ્ય હોવાની માન્યતા વધુ પ્રચલિત છે.
વધુ વાંચો : ઋષિ વિરુદ્ધના ષડયંત્ર અને ગંગાજીની શરતને કારણે સ્થપાયું જ્યોતિર્લિંગ, દર્શન માત્રથી મળે છે મોક્ષ
ADVERTISEMENT
ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં વૈદ્યનાથ મંદિર નવમું છે. વૈદ્યનાથ જ્યોતિર્લિંગની સાથે, દેવી સતીના 51 શક્તિપીઠોમાંથી એક જયદુર્ગા શક્તિપીઠ પણ દેવઘરમાં સ્થાપિત છે. આ જગ્યાએ દેવી સતીનું હૃદય પડી ગયું હતું. અહીં શિવ-પાર્વતીના એકસાથે દર્શન કરી શકાય છે. શિવ ભક્તો વૈદ્યનાથને વૈદ્યનાથેશ્વર, બૈદ્યનાથ તેમજ વૈજનાથ જેવાં નામોથી પણ સંબોધે છે. પુરાણો અને ધર્મ ગ્રથો મુજબ, જયોતિર્લિંગનાં દર્શનથી મનુષ્યના પાછલા જન્મોનાં પાપનો નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શું છે જ્યોતિર્લિંગની પૌરાણિક દંતકથા
ADVERTISEMENT
ફરી કથા તરફ પાછી ફરીએ તો, શિવ પુરાણના કોટિરુદ્ર સંહિતાના 28મા અધ્યાયમાં અનુસાર, લંકાના રાજા રાવણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. ભગવાન શિવનું ધ્યાન આકર્ષિત કરવા અને તેમને પ્રસન્ન કરવા માટે, રાવણે તેમના માથા એક પછી એક કાપીને શિવલિંગને અર્પણ કરવાનું શરૂ કરી દીધુ હતું. જ્યારે તે પોતાનું દસમું અને છેલ્લું માથું કાપવા જતો હતો, ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને રાવણની તપસ્યાથી પ્રસન્ન થઈને, તેમણે રાવણને વરદાન માંગવા કહ્યું હતું. ભગવાન શિવના પ્રસન્ન થતા જ બધા માથા તેમના મૂળ સ્વરૂપમાં પાછા ફર્યા હતા.
ADVERTISEMENT
રાવણે ભગવાન શિવને પોતાની સાથે લંકા વરદાન માંગ્યું અને ત્યાં સ્થાપિત થવાની પ્રાર્થના કરી. રાવણની વાત સાંભળીને ભગવાન શિવ તેમની સાથે જવા તૈયાર થયા અને શિવલિંગનું રૂપ ધારણ કર્યું. શિવલિંગનું રૂપ ધારણ કરતી વખતે, ભગવાન શિવે રાવણ સમક્ષ એક શરત મૂકી કે જો રાવણ તેમને જે સ્થાને તેને મૂકી દેશે, ત્યાં સ્થાપિત થશે અને તેમની સાથે લંકા જશે નહીં. રાવણે આ શરત સ્વીકારી અને શિવલિંગને ખભા પર લઈને લંકા તરફ આગળ વધવા લાગ્યો. જ્યારે રાવણ શિવલિંગ લઈને આગળ વધી રહ્યો હતો, ત્યારે તેને લઘુશંકા લાગતા તે રોકાઈ ગયો.
તેને શિવલિંગ હાથમાં પકડીને લઘુશંકા રવાનું યોગ્ય ન લાગ્યું. તેણે આસપાસ જોયું તો એક વૃદ્ધ બ્રાહ્મણ ત્યાથી ચાલીને આવી રહ્યા હતા. આ બીજુ કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુ જ હતા. આ પછી રાવણે વૃદ્ધ માણસને શિવલિંગને આપીને જમીન પર ન રાખવાની સૂચના આપી હતી. ત્યારબાદ રાવણ લઘુશંકા કરવા જતો રહ્યો. જ્યારે લંકેશ પાછો ફર છે ત્યારે તે શિવલિંગને જમીન પર જોઈને ચોંકી જાય છે અને તે ખૂબ ગુસ્સે થાય છે, અને શિવલિંગને પગથી લાત મારે છે જેના કારણે શિવલિંગ જમીનની અંદર ધસી જાય છે.
ગોવાળ શિવલિંગની પુજા કરે છે
અંતે, રાવણે તે જ જગ્યાએ શિવલિંગની પૂજા કરવી પડી અને શિવલિંગને લંકા લઈ જવામાં નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ રાવણ નિરાશ થઈને ત્યાંથી ચાલ્યો જાય છે. લાંબા સમય પછી, બૈજુ નામના ગોવાળને આ સ્થળ પર શિવલિંગ દેખાય છે. આ પછી ગોવાળ શિવલિંગની પુજા કરે છે અને રાવણે સ્થાપિત કરેલું શિવનું જ્યોતિર્લિંગ આ ગોવાળના નામ પરથી પ્રખ્યાત થઈ જાય છે.
આ વૈધનાથ ધામ, ચિતા ભૂમિ તરીકે પણ ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે માતા સતીનું હૃદય અહીં પડ્યું હતું. શિવપુરાણ અનુસાર, માતાના હૃદયનો અગ્નિસંસ્કાર અહીં કરવામાં આવ્યો હતો. આ પછી માતા સતીથી વિદાય લેતા બાબા વૈદ્યનાથ, તે જ રાખમાં ફેરવાઈ ગયા હતા અને તેમના આખા શરીરને રાખથી શણગારવામાં આવ્યો હતો. અહીં રાખનું વિશેષ મહત્વ છે. અને દર્શનાર્થે આવતા ભક્તોને પ્રસાદ તરીકે રાખ પણ આપવામાં આવે છે.
ઝારખંડના દેવઘરમાં સ્થિત પ્રખ્યાત દ્વાદશ જ્યોતિર્લિંગ કમનાલિંગ બાબા વૈદ્યનાથના મંદિર પરિસરમાં કુલ 22 મંદિરો છે, જ્યાં શિવ, શક્તિ, વિષ્ણુ, બ્રહ્માની પણ આ જ પરિસરમાં પૂજા કરવામાં આવે છે. મંદિર પરિસરમાં શિવ મંદિરની ટોચથી મા પાર્વતી મંદિરની ટોચ સુધી ગાંઠ બાંધવાની એક અનોખી પરંપરા છે, જે અહીં આવતા દરેક ભક્ત કરવા માંગે છે. પ્રાચીન સમયથી ચાલી આવતી આ ધાર્મિક વિધિને 'ગઠજોદ્વા' અથવા 'ગઠબંધન' પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વિધિ કરવાથી ભક્તોની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે અને રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.

વૈદ્યનાથ જ્યોતિર્લિંગ માટે પણ વિશ્વપ્રસિદ્ધ છે. શ્રાવણ મહિનામાં કાવડ યાત્રિકો વૈદ્યનાથ ધામની મુલાકાત લે છે. કાવડ યાત્રીઓ બિહારના સુલતાનગંજથી ગંગા નદીનું જળ લઈને વૈદ્યનાથ જ્યોતિર્લિંગ જળાભિષેક કરવા પહોંચે છે. મોટાભાગના લોકો આ યાત્રા પગપાળા જ કરે છે. આ જ્યોતિર્લિંગ રાવણેશ્વર જ્યોતિર્લિંગ અથવા કામના લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક માન્યતા અનુસાર, ભગવાન શિવ રાવણના કપાયેલા માથાની પીડા દૂર કરવા માટે વૈદ્ય (ડૉક્ટર)ના રુપે પ્રગટ થયા હતા. તેથી, આ સ્થળને 'વૈદ્યનાથ' તરીકે ઓળખવામાં આવે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને પ્રચલિત માન્યતાઓ અને સર્વસામાન્યા જાણકારીને આધારિત છે. VTV Digital તેની પુષ્ટિ કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.