બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / સોમનાથ મંદિરમાં ગઝનવીએ એવું શું જોયું હતું કે તે ડરી ગયો? સૌરાષ્ટ્રમાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ હતું ચમત્કારિક
Somnath Temple : ઈ.સ.1025માં એક ક્રૂર અફઘાન શાસક ઇતિહાસના પાનામાં પોતાની છાપ છોડવા માટે ઉત્સુક હતો જેનું નામ હતું મોહમ્મદ 'ગઝનવી' ઉર્ફે ગઝની. 17 વખત ચડાઈ કર્યા બાદ પણ નિષ્ફળ ગયા પછીય તેની મેલી નજર હજીય ભારતના સૌથી ધનિક અને પવિત્ર ખજાનામાંના એક સોમનાથ મંદિર પર હતી. ગઝનવી પોતાની વિશાળ સેના સાથે આવી રહ્યો હતો. તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. હજારો ઘોડા, ઊંટ, સાથે વિશાળ તાકાત ધરાવતું સૈન્ય સોમનાથ તરફ કૂચ કરી રહ્યું હતું. દરિયાના મોજા તોફાની બન્યા હતા અને મંદિરને કોઈક અજીબ ઘટનાની સતત ચેતવણી આપી રહ્યા હતા.
ADVERTISEMENT
લાખોનું સૈન્ય, છતાંય ગઝનવી ડરી ગયો!
એવું કહેવાય છે કે, તે સમયે પ્રભાસ ક્ષેત્રમાં એક શાંત રાત્રિના અંધારામાં, ગઝનવી વિશાળ સેના સાથે આક્રમક રીતે મંદિરના પ્રવેશ દ્વારે પહોંચ્યો હતો. એ સમયે આ મંદિરમાં 300 સંગીતકારો અને 500 નર્તકો રહેતા હતા. મંદિરની અંદર પ્રવેશવા માટે તેણે ચારેય બાજુથી પ્રચંડ આક્રમણ કરીને અનેક રક્ષકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. એક એવી પણ કહાની પ્રચલિત છે કે, જ્યારે લડતા લડતા ગઝનવી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે, તો તે શિવલિંગને જોઈને ડઘાઈ જાય છે. ન માનવામાં આવે તેવું દ્રશ્ય તે જોઈ જતાં એકદમ અચંબિત રહી જાય છે. જેમાં તેને શિવલિંગ હવામાં તરતું દેખાય છે.
ADVERTISEMENT

ચીખો અને ચિચિયારી ગૂંજી ઉઠી હતી
ADVERTISEMENT
જ્યારે અનેક નિર્દોષ લોકો મોતને ઘાટ ઉતારવામાં આવે છે ત્યારે અચાનક જ પવન બંધ થઈ જાય છે. મંદિરના જે ઘંટનો અવાજ સમુદ્ર સુધી સંભળાતો હતો, તે હવે હુમલાના અવાજોથી ધ્રૂજી રહ્યો હતો. આક્રમણ થતાં જ ચીખો અને ચિચિયારી ગૂંજી ઉઠી હતી, અનેક લોકોએ પ્રતિકાર કર્યો, એક પછી એક લોકો ગઝનીની સેનાની તલવાર પાસે દમ તોડી રહ્યાં હતા. મોહમ્મદે મંદિરના સોના જડિત સ્તંભો, રત્ન જડિત મૂર્તિઓ અને મુખ્ય શિવલિંગ તોડી નાખ્યા અને તેમને લૂંટીને પોતાના દેશ તરફ જવા પ્રયાણ કર્યું હતું.
ADVERTISEMENT
શ્રદ્ધા અને સંસ્કૃતિ પર ભયાનક હુમલો હતો
ગઝનવી દ્વારા કરવામાં આવેલી આ લૂંટ માત્ર સોના-ચાંદીની નહોતી, પરંતુ તે એક સભ્યતા, શ્રદ્ધા અને સંસ્કૃતિ પર ભયાનક હુમલો હતો. મંદિરની દિવાલો તૂટી ગઈ, પણ તેનો આત્મા જીવંત રહ્યો. કારણ કે સોમનાથ મંદિરના ભક્તોના હૃદયમાં શ્રદ્ધાનો દીવો પ્રગટતો હતો. પરંતુ આ વિનાશ પછી પણ, મંદિરનું અસ્તિત્વ સમાપ્ત થયું નહીં. યુગ બદલાયા, રાજવંશો બદલાયા, અને અંતે સ્વતંત્ર ભારતમાં, સોમનાથનું પુનઃનિર્માણ એ જ ભૂમિ પર કરવામાં આવ્યું જ્યાં તે ઉભું હતું, અને હવે તે વધુ ભવ્ય સ્વરૂપમાં છે. આજે, સોમનાથ માત્ર શિવની ભક્તિનું સ્થળ નથી, પરંતુ તે એક સંદેશ પણ આપે છે કે શ્રદ્ધા તોડી શકાય છે, પણ ભૂંસી શકાતી નથી.
ADVERTISEMENT
શ્રી કૃષ્ણ પર લાગ્યો ચોરીનો આરોપ
સોમનાથ ફક્ત પથ્થરનું મંદિર નથી, તે એક યુદ્ધની યાદ છે જ્યાં એક સ્યમંતક મણિ જે સૂર્ય દેવનો આશીર્વાદ માનવામાં આવે છે અને તેના કારણે ઉદ્ભવેલી શંકાની આગ શ્રી કૃષ્ણને યુદ્ધની અણી પર લાવે છે. જ્યારે આ મણિ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ અને શ્રી કૃષ્ણ પર તેને ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો, ત્યારે તેઓ ચૂપ રહ્યા નહીં. તેઓ તે આ મણિની શોધમાં નીકળ્યા અને આ યાત્રા તેમને રાજા જામવંતના ગુફાઓ તરફ ખેંચી ગઈ હતી.
ADVERTISEMENT
મણિ માટે થાય છે યુદ્ધ
આ પછી બે મહાન યોદ્ધાઓ વચ્ચે અથડામણ થઈ. તે ફક્ત શારીરિક શક્તિનું જ નહીં, પણ આદર્શોનું યુદ્ધ હતું. આ યુદ્ધ 21 દિવસ સુધી ચાલ્યું, જ્યાં સુધી જામવંતે શ્રી કૃષ્ણમાં રહેલી દિવ્યતાને ઓળખી ન લીધી જે તેમણે રામમાં જોઈ હતી. તે હાર નહોતી, તે આત્મજ્ઞાનનો વિજય હતો. જામવંતે માત્ર મણિને જ સોંપી ન હતી, પરંતુ તેમની પુત્રી જામવંતીના લગ્ન પણ શ્રી કૃષ્ણ સાથે કરાવ્યા હતા. અને આજે, જ્યારે સૂર્યનું પહેલું કિરણ સોમનાથના શિખરને ચુંબન કરે છે, ત્યારે એવું લાગે છે કે સ્યમંતક મણિનું જ આભામંડળ છે. ઈતિહાસમાં એવું કહેવાય છે.
અહીંથી જ ચંદ્રદેવને શ્રાપથી મુક્તિ મળી
પુરાણો અનુસાર દક્ષ પ્રજાપતિ નામના રાજાને 27 પુત્રીઓ હતી, જેમના લગ્ન ચંદ્ર દેવ સાથે થયા હતા. પરંતુ ચંદ્રનો અતૂટ પ્રેમ ફક્ત રોહિણી માટે હતો. આ કારણે રાજા દક્ષ પ્રજાપતિની બાકીની 26 પુત્રીઓ ખૂબ જ નારાજ થઈ હતી. આ તમામ પુત્રીઓ ગૂસ્સે થઈને તેમના પિતાને આના વિશે વાત કરી હતી. આ પછી દક્ષ પ્રજાપતિએ ચંદ્રને ઘણી વાર સમજાવ્યા પરંતુ ચંદ્રનો રોહિણી માટેનો પ્રેમ એવો જ રહ્યો હતો કે તેમના પર કોઈ અસર થઈ ન હતી.
વધુ વાંચો: સોમનાથ જવામાં સરળતા પડશે, પવિત્ર શ્રાવણ માસને લઇ ST વિભાગનો મોટો નિર્ણય
ચંદ્ર ક્ષય રોગથી ગ્રસ્ત થવા લાગ્યા
આ કારણે રાજા દક્ષ પ્રજાપતિ ખૂબ જ ગૂસ્સે ભરાયા હતા અને ચંદ્રને શ્રાપ આપતા કહે છે કે, જાવ તમને ક્ષય રોગની પ્રાપ્તિ થશે. આમ રાજા દક્ષના શ્રાપના પ્રભાવથી ધીમે ધીમે ચંદ્ર ક્ષય રોગથી ગ્રસ્ત થવા લાગ્યા અને તેમને મૃત્યુતુલ્ય કષ્ટ થવા લાગ્યું. આનાથી ચંદ્ર દેવ ખૂબ જ દુઃખી અને ચિંતિત થઈ ગયા. ચંદ્રની આવી સ્થિતિ જોઈને, અન્ય દેવતાઓ અને ઋષિઓ ચંદ્રના ઉદ્ધાર માટે બ્રહ્માજી પાસે પહોંચી ગયા હતા. ચંદ્ર પર આવી રહેલા આ સંકટની વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું કે ફક્ત ભગવાન શિવ જ તેમને આ શ્રાપમાંથી મુક્ત કરી શકે છે.
આ દિવસ સોમ પ્રદોષનો દિવસ હતો
આ પછી, ચંદ્રદેવે ભગવાન શિવની કઠોર તપસ્યા શરૂ કરી હતી. આ તપસ્યાથી ચંદ્રએ ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા હતા. આ પછી મહાદેવે ચંદ્રને અમરત્વનું વરદાન આપીને કહ્યું કે, 'તને મળેલા શ્રાપમાંથી મુક્તિ તો મળશે જ, પરંતુ દક્ષ પ્રજાપતિના વચનોની રક્ષા પણ થશે. એવું પણ કહેવાય છે કે, આ દિવસથી શિવજીએ પોતાના મસ્તક પર ચંદ્રને ધારણ કર્યો. ધીમે ધીમે ચંદ્ર સ્વસ્થ થવા લાગ્યા અને પૂનમના દિવસે ચંદ્ર દેવ પૂર્ણ ચંદ્રના રૂપમાં પ્રગટ થાય છે. આ દિવસ સોમ પ્રદોષનો દિવસ હતો.
જ્યોતિર્લિંગ પ્રાણ-પ્રતિષ્ઠા આ દિવસે કરવામાં આવી
ભાવ બૃહસ્પતિએ રચેલી સોમનાથ પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ સોમનાથનુ પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્ર દ્વારા સુવર્ણ મંદિર બનાવ્યું હતું. બીજા યુગમાં રાવણે રૂપાનું બનાવ્યું હતું. શ્રીકૃષ્ણએ લાકડાનું અને ભીમદેવે પથ્થરનું બનાવ્યું હતું. સૌપ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ પ્રાણ-પ્રતિષ્ઠા વૈવસ્વત મન્વંતરના દસમા ત્રેતાયુગ દરમિયાન શ્રાવણ મહિનાના ત્રીજા દિવસે કરવામાં આવી હતી.

હિંદુ ધર્મમાં જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ
હિંદુ ધર્મમાં જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વનું સ્થાન છે. આ તમામ જ્યોતિર્લિંગ ભગવાન શિવની અનંત ઊર્જાનું સ્વરૂપ માનવામાં આવે છે. આ 12 જ્યોતિર્લિંગોમાં સોમનાથ જ્યોતિર્લિંગ પ્રથમ આવે છે. આ જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના વેરાવળ બંદરે સ્થિત છે. જે પ્રભાસ પાટણ તરીકે પણ ઓળખાય છે. આ જ્યોતિર્લિંગ વિશે એવું માનવામાં આવે છે કે તેનું નિર્માણ ચંદ્રદેવે પોતે કર્યું છે. સોમનાથ મંદિરમાં ભગવાન શિવની પૂજા ખાસ વિધિઓ સાથે કરવામાં આવે છે. સોમનાથનો અર્થ 'સોમના સ્વામી' થાય છે, જે ચંદ્રના દેવ છે. આ મંદિર પ્રતીકાત્મક રીતે એ પણ દર્શાવે છે કે ભગવાન શિવ સમગ્ર સૃષ્ટિનો આધાર અને તમામ જીવોના રક્ષક છે.

આ છે ભારતના 12 પ્રમુખ જ્યોતિર્લિંગ
શિવ પુરાણની કોટિરુદ્ર સંહિતા અનુસાર, બાર જ્યોતિર્લિંગોમાં સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, કાશી વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વરમ અને ઘૃષ્ણેશ્વરનો સમાવેશ થાય છે. આ 12 જ્યોતિર્લિંગોમાંથી એક ઉત્તર પ્રદેશમાં, એક ઉત્તરાખંડમાં, એક ઝારખંડમાં, એક આંધ્રપ્રદેશમાં, એક તમિલનાડુમાં, 2 મધ્યપ્રદેશમાં, 2 ગુજરાતમાં અને 3 મહારાષ્ટ્રમાં છે. એવી માન્યતા પણ છે કે શ્રાવણમાં જો ભગવાન શિવના જ્યોતિર્લિંગના દર્શન કરવામાં આવે તો જન્મ-જન્મના કષ્ટ દૂર થઇ જાય છે. એટલે જ પવિત્ર શ્રાવણ મહિનામાં ભારતના પ્રમુખ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને પ્રચલિત માન્યતાઓ અને સર્વસામાન્યા જાણકારીને આધારિત છે. VTV Digital તેની પુષ્ટિ કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.