બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / ઋષિ વિરુદ્ધના ષડયંત્ર અને ગંગાજીની શરતને કારણે સ્થપાયું જ્યોતિર્લિંગ, દર્શન માત્રથી મળે છે મોક્ષ
Trimbakeshwar Jyotirling: ચારે બાજુ ટેકરીઓ છે, વરસાદમાં લીલોતરીથી છવાયેલી. ઉપર ગોરંભાયેલું આકાશ છે, જાણે કે વરસાદ હમણાં તૂટી પડશે. સાંકડી ગલીઓના રસ્તા ભીના છે. ઈમારતોની મરાઠી શૈલી અને આસપાસ ફૂલ, માળા, પ્રસાદ વેચતા ફેરિયાઓનું મરાઠી તમે મહારાષ્ટ્રના હ્રદયમાં છો, એવી યાદ અપાવે છે. આગળ એક લાંબી લાઈન છે, છતાંય અદભુત શાંતિ છે. જેમ જેમ લાઈન આગળ વધે તેમ એક મોટો ચોક દેખાય છે, જેના વચ્ચે એક મંદિર અડીખમ ઉભું છે. જાણે સદીઓથી પરંપરા, ધર્મને સાચવીને બેઠું હોય એમ થોડું ઘરડું લાગી રહ્યું છે, પણ આ મંદિરના પથ્થરો, એની કોતરણી, એનો અહેસાસ સતત કહી રહ્યો છે કે હું જ અંત છું, હું જ આદિ છું. લાઈનમાં ઉભેલા દરેક વ્યક્તિના મન શાંત છે. કારણ કે, આ છે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ
ADVERTISEMENT
જ્યોતિર્લિંગ સાથે જોડાયેલી ષડયંત્રની વાત!
આજે તો આપણી પાસે પાણીથી ભરપૂર ડેમ છે, પણ પૌરાણિક સમયમાં આવું નહોતું. સુવિધાઓ ઓછી હતી એટલે પાણીની તકલીફ પાણી વિપુલ પ્રમાણમાં હોવા છતાંય પડતી. તોય લોકો સુખી હતા. જો કે આ સુખને જાણે નજર લાગી ગઈ હોય તેમ હાલના નાસિક ગણાતા વિસ્તારમાં સદીઓ પહેલા અચાનક દુકાળ પડ્યો. લીલીછમ ધરતી સૂકાવા લાગી, મનુષ્ય, પ્રાણીઓ, પક્ષીઓ પાણીના એક એક ટીપા માટે વલખા મારવા લાગ્યા. ધીરે ધીરે મનુષ્યએ અહીથી હિજરત કરવાની શરુઆત કરી. આ વાતથી અહીં આશ્રમ ધરાવતા એક ઋષિ દુઃખી થયા તેને ધ્યાન કરીને ઈન્દ્ર દેવને પ્રસન્ન કર્યા અને વરદાન રુપે વરસાદ માંગ્યો, વરસાદ આવ્યો અને પ્રદેશમાં ફરી હરિયાળી છવાઈ, અહીંના આશ્રમોમાં પાણી અને અન્નના ભંડાર ભરાયા. ઋષિની સફળતાએ ઈર્ષ્યાને જન્મ આપ્યો અને પછી રચાયું ષડયંત્ર.
ADVERTISEMENT

આજે પણ જ્યારે કોઈ ભક્ત અહીંથી પસાર થાય છે, ત્યારે એવું લાગે છે કે સમય થંભી ગયો છે. આ એ સ્થાન છે, જ્યાં શિવે પોતાની હાજરીથી પાપનો નાશ કરીને સત્યનો વિજય સાબિત કર્યો હતો. આ માત્ર એક યાત્રાધામ નથી, પરંતુ ભારતના આધ્યાત્મિક વારસાનો એક ભાગ છે જે હજારો વર્ષોથી ટકી રહ્યો છે, જે અનંતકાળ સુધી રહેશે. અહીં ભારતીય સંસ્કૃતિ, પૌરાણિક ઇતિહાસ અને સ્થાપત્યનો એક અનોખો સંગમ પણ છે. આ સ્થળ ભક્તો માટે શ્રદ્ધા અને આધ્યાત્મિક શાંતિનું કેન્દ્ર છે. અહીંની આધ્યાત્મિક ઉર્જા અને પ્રાચીન પરંપરાઓ આજે પણ એટલી જ જીવંત છે જેટલી હજારો વર્ષ પહેલાં હતી.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના નાસિક નાસિક શહેરથી લગભગ 30 કિલોમીટર દૂર ત્ર્યંબક ગામમાં આવેલું ભગવાન શિવનું મંદિર જ્યાં પવિત્ર ગોદાવરી જે બ્રહ્મગિરિ નામના પર્વતમાંથી નીકળે છે. ઉત્તર ભારતમાં પાપનો નાશ કરનારી ગંગાનું મહત્વ જેટલું જ દક્ષિણ ભારતની ગોદાવરીનું છે. જેમ ગંગાના અવતરણનો શ્રેય મહાન તપસ્વી ભગીરથને જાય છે, તેવી જ રીતે ગોદાવરી મહાન ઋષિ ગૌતમની મહાન તપસ્યાનું પરિણામ છે, જે તેમને ભગવાન આશુતોષ પાસેથી પ્રાપ્ત થઈ હતી. શિવપુરાણમાં વર્ણવેલ છે કે ગૌતમ ઋષિ, ગોદાવરી અને બધા દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શિવે આ સ્થાન પર નિવાસ કરવાનું નક્કી કર્યું અને ત્ર્યંબકેશ્વર નામથી પ્રખ્યાત થયા.
ADVERTISEMENT
પાપથી મુક્તિ આપનારા જ્યોતિર્લિંગની કથા
ફરી કથા પર પાછા આવીએ તો, એક વખત મહર્ષિ ગૌતમના તપોવનમાં રહેતા બ્રાહ્મણોની પત્નીઓ ગૌતમ ઋષિની પત્ની અહલ્યા પર કોઈ વાતને લઈને નારાજ થયા હતા તમામ નારાજ થયેલી ઋષિઓની પત્નીઓએ પોતાના પતિઓને ઋષિ ગૌતમનું અપમાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ પછી, તે બ્રાહ્મણોએ ભગવાન ગણેશની પૂજા કરી અને ભગવાન ગણેશને પ્રસન્ન કર્યા હતા. ભગવાન ગણેશ ઋષિઓને વરદાન માંગવા કહ્યું હતું. તો બ્રાહ્મણોએ વરદાન રુપે ગૌતમ ઋષિને આ આશ્રમમાંથી બહાર કાઢવાની માગ કરી. ગણેશજીને તેમની વાત માનવા મજબૂર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ત્યારબાદ ગણેશજી એક દુર્બળ ગાયનું રૂપ ધારણ કરીને ગૌતમ ઋષિના ખેતરમાં ગયા અને પાક ખાવા લાગ્યા. ગૌતમ ઋષિને આની જાણ થતાં ખેતરમાં પહોંચીને ગાયને કાઢવા લાગ્યા. જો કે ગોતમ ઋષિએ જેવા જ ગાયને અડ્યા કે ગાય મુર્છિત થઈને પડી ગઈ અને મૃત્યું પામી હતી. આ દરમિયાન ત્યાં છુપાયેલા બધા બ્રાહ્મણો ભેગા થયા અને ગૌતમ ઋષિને ગૌ હત્યાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ હત્યાના પાપની માફી માટે દેવી ગંગાને અહીં લઇને આવવાં પડશે. આવી મુશ્કેલ પરિસ્થિતિ જોઈને, ઋષિ ગૌતમે તે બ્રાહ્મણો પાસેથી પ્રાયશ્ચિત માંગ્યું જો કે તે બ્રાહ્મણો ટસના મસ ન થયા. ગૌતમ ઋષિએ બ્રાહ્મણો દ્વારા સૂચવેલા બધા ઉપાયોનો અમલ કર્યો. અંતે કંટાળીને ગૌતમ ઋષિએ શિવની ઘોર તપસ્યા શરુ કરી. અન્ન અને જળનો ત્યાગ કર્યો, વર્ષો સુધી કઠોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા.
ADVERTISEMENT
ગંગાજીની શરતને કારણે સ્થપાયું જ્યોતિર્લિંગ
ઋષિની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને વરદાન માંગવા કહ્યું તેના પર ગૌતમ ઋષિએ તેમની પાસે ગૌ હત્યાના પાપમાંથી મુક્ત થવાનું વરદાન માંગ્યું. આથી મહાદેવ કહ્યું કે, તમે તો કોઈ પાપ કર્યું જ નથી. આ તો તમારા વિરુદ્ધ ઋષિઓનું ષડયંત્ર હતું. જે તેણે વેર માટે રચ્યું હતું. શિવ પાસેથી પોતે દોષિત નથી તે સાભળીને સંતુષ્ટ થયા અને ભોળેનાથને કહ્યું કે, જો તે ઋષિઓએ આવું ષંડયંત્ર ન રચ્યું હોત તો મને તમારા દિવ્ય દર્શન ન થાત. આ પછી ગૌતમ ઋષિએ શિવજીને દેવી ગંગાને આ સ્થાન પર મોકલવાનું વરદાન માગ્યું. જો કે દેવી ગંગાએ એક શરત રાખી હતી કે જો શિવજી પણ આ સ્થાને રહેશે, ત્યારે જ તેઓ અહીં રહેશે. ગંગાના કહેવાથી શિવજી જ્યોતિર્લિંગ સ્વરુપમાં રહેવા તૈયાર થયા અને ગંગા નદી ગૌતમી સ્વરૂપમાં ત્યાં વહેવા લાગી. ગૌતમી નદીનું એક નામ ગોદાવરી પણ છે. આ રીતે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થયા
ત્ર્યંબક એટલે ત્રણ આંખોવાળા એટલે આ મંદિરનું નામ ત્ર્યંબકેશ્વર રાખવામાં આવ્યું. જે શિવના ત્રીજા નેત્ર સાથે સંકળાયેલું છે. એવી પણ માન્યતા છે કે, મંદિર ત્રણ પર્વતો, બ્રહ્મગિરિ, નીલગિરિ અને કાલગિરિથી ઘેરાયેલું છે. એટલે ત્ર્યંબકેશ્વર કહેવાય છે. બ્રહ્મગિરિને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે, જ્યારે નીલગિરિ પર્વત પર નીલામ્બિકા દેવી અને દત્તાત્રેય ગુરુનું મંદિર છે. ઉપરાંત, શિવપુરાણના શ્રીકોટિરુદ્ર સંહિતાના 42મા અધ્યાય મુજબ, ત્ર્યંબક ભગવાન શિવના આઠમા અવતાર છે. આ જ્યોતિર્લિંગની બીજી એક અનોખી વિશેષતા એ છે અહીં શિવલિંગ પર અરધા એટલે કે શાળુંકા નથી, જે જગ્યા પર ઓખલી જેવો ખાડો દેખાય છે. આ ખાડામાં અંગૂઠાના આકારના ત્રણ લિંગ છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના લિંગ એટલે કે ત્ર્યંબકેશ્વર મહાદેવ બિરાજમાન છે,
પાંડવોએ ચડાવ્યો હતો મુકુટ
અહીં હંમેશા ભક્તોની ભીડ રહે છે, પરંતુ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે શ્રેષ્ઠ સમય શ્રાવણ મહિનો માનવામાં આવે છે, કારણ કે શ્રાવણમાં ભગવાન શિવની પૂજા અને દર્શન કરવું શુભ માનવામાં આવે છે. અહીં શિવલિંગની ઉપર મુગટ મૂકવામાં આવ્યો છે, જેને ત્રિદેવનો મુખવટો માનવામાં આવે છે. આ મુગટ હીરા, નીલમણિ અને અનેક કિંમતી રત્નોથી જડિત છે. જેના દર્શન સોમવારે સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે મુકુટ દર્શન કરી શકો છો. પૌરાણિક કથાઓમાં એવું પણ કહેવામાં આવે છે કે સોના અને કિંમતી રત્નોથી બનેલા લિંગ ઉપરનો મુગટ મહાભારતના પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભક્તોને ઇચ્છિત ફળ મળે છે. વ્યક્તિને પાપોથી મુક્તિ મળે છે અને અંતે તેને મોક્ષ મળે છે.
દર 12 વર્ષે ભરાય છે કુંભ મેળો
સદીઓ પછી, જ્યારે પેશ્વા નાના સાહેબ ત્ર્યંબક પહોંચ્યા, ત્યારે તેમને આ પવિત્ર સ્થળનું મહત્વ સમજાયું. તેમણે અહીં એક ભવ્ય મંદિર બનાવ્યું. ભવ્ય ત્ર્યંબકેશ્વર મંદિરની ઇમારત સિંધુ આર્ય શૈલીનું અદ્ભુત ઉદાહરણ છે. આ મંદિરની સ્થાપત્ય રચના ખૂબ જ અદ્ભુત અને અનોખી છે. આ મંદિરમાં પંચકોસીમાં કાલસર્પ શાંતિ, ત્રિપિંડી વિધિ અને નારાયણ નાગબલી પૂજા કરવામાં આવે છે. આ ભૂમિની દિવ્યતા એવી છે કે અહીં કુંભ મેળો પણ ભરાય છે. દર 12 વર્ષે, સંતો, ઋષિઓ, નાગા બાબાઓ, ગૃહસ્થો અને સંન્યાસીઓ ગોદાવરી નદીમાં ડૂબકી લગાવે છે. ઉજ્જૈન, પ્રયાગરાજ અને હરિદ્વારના કુંભ મેળાઓ સાથે અહીંનો કુંભ મેળો આધ્યાત્મિક ભારતનો ચોથો સ્તંભ છે.
ઔરંગઝેબે ત્ર્યંબકેશ્વર મંદિર પર હુમલો કર્યો
મુઘલ સામ્રાજ્યના છઠ્ઠા શાસક ઔરંગઝેબે 1690માં નાસિકના ત્રયંબકેશ્વર મંદિરની અંદર શિવલિંગનો નાશ કર્યો હતો. મંદિરને નુકસાન પહોંચાડીને મસ્જિદનો ગુંબજ પણ બનાવ્યો હતો. એટલું જ નહીં, ઔરંગઝેબે નાસિકનું નામ પણ બદલી નાખ્યું હતું. મુઘલોના હુમલા પછી 1751માં નાસિક ફરીથી મરાઠાઓએ કબજે કરી લીધું હતું. આ મંદિરના જીર્ણોદ્ધારનો શ્રેય પેશ્વાઓને જાય છે. ત્રીજા પેશ્વા તરીકે પ્રખ્યાત બાલાજી એટલે કે શ્રીમંત નાનાસાહેબ પેશ્વાએ 1755 અને 1786ની વચ્ચે તેનું નિર્માણ કરાવ્યા હોવાનું કહેવાય છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને પ્રચલિત માન્યતાઓ અને સર્વસામાન્યા જાણકારીને આધારિત છે. VTV Digital તેની પુષ્ટિ કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.