બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / ભગવાન રામ સામે બદલો લેવા રાક્ષસે વરદાન માગ્યું, શિવે તેનો જ અંત કર્યો અને સ્થપાયું જ્યોતિર્લિંગ, અનોખો છે ઈતિહાસ
Bhimashankar Jyotirling: ત્રેતાયુગનો અંત નજીક હતો. લંકા બળી ગઈ હતી. રાવણના વધ પછી લંકામાં યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું. જો કે યુદ્ધનું એક પ્રકરણ હજુ પણ અધુરું હતું. એક રાક્ષક પોતાના પિતાની હત્યાનો બદલો લેવા વ્યાકુળ હતો, પ્રતિશોધની જ્વાળા સાથે કઠોર તપસ્યા કરીને બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યા બાદ પૃથ્વી પર આતંક ફેલાવવાનું શરૂ કર્યું. દેવતાઓ ગભરાયા અને સંતો ધ્રૂજવા લાગ્યા. પછી, દેવતાઓએ પ્રાર્થના કરી અને શિવે ધર્મનું રક્ષણ કરવા રાક્ષસનો વધ કર્યો. આ પછી દેવતાઓ તથા ઋષિ-મુનિઓએ ભગવાન શિવને આ સ્થાન પર કાયમ માટે નિવાસ કરવા પ્રાર્થના કરી. જેને સાંભળી ભગવાન શિવ અહીં રોકાયા અને ભીમાશંકર જ્યોતિર્લિંગ સ્થપાયું.
ADVERTISEMENT

ભીમાશંકર જ્યોતિર્લિંગ શિવની શક્તિનું પ્રતીક છે. ત્યાં વહેતી ભીમા નદી સ્વયં શિવની ઉર્જામાંથી ઉદ્ભવી હોવાનું કહેવાય છે. આ જ્યોતિર્લિંગ સહ્યાદ્રીના શિખરો પર સ્થિત છે, અને તેનો પડછાયો હજુ પણ તે જંગલમાં ધર્મના દીવાની જેમ ફેલાય છે. ભીમાશંકર માત્ર એક જ્યોતિર્લિંગ નથી, તે એક સિદ્ધ તપોભૂમિ છે, જ્યાં શિવે ધર્મના રક્ષણ માટે પોતાને સમર્પિત કર્યા હતા. વેદ અને પુરાણોમાં વર્ણવ્યા મુજબ આ સ્થળનો મહિમા અમીટ છે. અને જ્યારે પણ અધર્મ વધશે, ત્યારે મહાદેવ કોઈને કોઈ સ્વરૂપમાં ફરીથી પ્રગટ થશે, મહાદેવનું આ રૂપ ભક્તોને પરમ સુરક્ષાની અનુભૂતિ કરાવનારું છે. શિવજીના મહાકાય રૂપનો પરચો આપતું આ જ્યોતિર્લિંગ એટલે ભીમાશંકર જ્યોતિર્લિંગ.
ADVERTISEMENT
મંદિરને મોટેશ્વર મહાદેવના નામથી પણ ઓળખાય છે
ભીમાશંકર જ્યોતિર્લિંગ ભારતના 12 જ્યોતિર્લિંગોમાં છઠ્ઠુ જ્યોતિર્લિંગ છે. જે મહારાષ્ટ્રના પુણેથી લગભગ 110 કિમી દૂર આવેલું છે. અહીંના સ્થાનિક લોકો આ મંદિરને મોટેશ્વર મહાદેવના નામથી પણ ઓળખે છે. આ મંદિરના આ નામ પાછળનું કારણ એ છે કે આ જ્યોતિર્લિંગ ખૂબ મોટું અને જાડું છે. ભીમાશંકર શિવ મંદિર અંદાજે 18મી સદીમાં ગોપુરા શિખર નાના ફડણવીસ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ મંદિર નાગર શૈલીના સ્થાપત્યમાં બનેલ પ્રાચીન અને નવી રચનાઓનું મિશ્રણ છે. જે પ્રાચીન વિશ્વકર્મા કારીગરોની શ્રેષ્ઠતાને પ્રતિબિંબિત કરે છે.
ADVERTISEMENT
ભીમાશંકર જ્યોતિર્લિંગનો ઈતિહાસ
ભીમાશંકર મંદિર પાસે એક નદી વહે છે, જેની એક પૌરાણિક માન્યતા પણ છે. જે મુજબ, કુંભકર્ણનો પુત્ર ભીમાસુર ભગવાન રામ સામે પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે તપસ્યા કરે છે, તેને બ્રહ્મા તરફથી અજેય બનવાનું વરદાન મળે છે. આ પછી, તે અત્યાચાર કરવાનું શરૂ કરે છે. આનાથી પરેશાન થઈને, દેવતાઓ અને ઋષિઓ મહાદેવનો આશ્રય લે છે. પછી ભગવાન શિવ અને ભીમાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે, જેમાં ભગવાન શિવ આખરે ભીમાસુરને મારી નાખે છે અને અહીં જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થાય છે. એક એવી પણ વાત પ્રચલિત છે કે, જ્યારે ભીમાસુર અને ભગવાન શિવ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે ભગવાન શિવના શરીરમાંથી પરસેવાના થોડા ટીપાં નીકળી જાય છે. આ પરસેવામાંથી ભીમ નદી બની હતી. ભીમ નદી અહીંથી વહે છે અને કૃષ્ણા નદીમાં ભળી જાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
શિવપુરાણના શ્રીકોટી સંહિતાના આઠમા ખંડ મુજબ ભીમાશંકર જ્યોતિર્લિંગ સંબંધી કથાનો ઉલ્લેખ મળે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કુંભકર્ણના મૃત્યુ થયું તે સમયે તેમની પત્ની રાક્ષસી કર્કટી સગર્ભા હતી. તેણે ભીમા નામના અત્યંત શક્તિશાળી પુત્રને જન્મ આપ્યો હતો. ભીમા જ્યારે મોટો થઈ રહ્યો હતો ત્યારે તેની માતા પાસેથી પિતાના વધની કથા સાંભળતો હતો. ધીમે ધીમે ભીમા શ્રી રામને પોતાના પિતાના હત્યાના દોષી માનવા લાગ્યો અને પછી તેણે આ હત્યાનો બદલો લેવાનું નક્કી કર્યું. બદલો લેવા માટે ભીમાસુરે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. આ પછી ભીમાસુરને બ્રહ્મા તરફથી અજેય બનવાનું વરદાન મળે છે. ત્યારબાદ ભીમાસુરે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો.
ADVERTISEMENT
ભીમાસુરને પોતાની શક્તિનો ખૂબ ઘમંડ હતો. અને આ જ શક્તિથી તે તમામ લોકમાં તબાહી મચાવતો હતો. દેવતાઓ પણ તેનાથી પરેશાન થતા. ઇન્દ્ર અને અન્ય દેવતાઓને હરાવ્યા બાદ તેણે પૃથ્વી પર વિજય મેળવવાનું શરૂ કર્યું. અહીં તેમનું કામરૂપ દેશના રાજા સુદક્ષિણ સાથે ભયંકર યુદ્ધ થયું. અંતે, ભીમે રાજા સુદક્ષિણને હરાવીને કેદ કરી લે છે. રાજા સુદક્ષિણ ભગવાન શિવના ભક્ત હતા. કેદમાં રહીને તેમણે માટીમાંથી શિવલિંગ બનાવ્યું અને તેની પૂજા શરૂ કરી. જ્યારે ભીમને આ વાતની ખબર પડી, ત્યારે તે ખૂબ જ ગુસ્સે ભરાય છે અને રાજા સુદક્ષિણને મારવાના ઇરાદાથી ત્યાં પહોંચે છે. અહીં ભીમાસુર ક્રોધીત થઈને સુદક્ષિણને પુછે છે કે, 'તમે કોની પૂજા કરો છો?' તો સુદક્ષિણ ભયભીત થઈને જવાબ આપે છે કે 'અમે ભગવાન શિવની પૂજા કરીએ છીએ. તે બ્રહ્માંડના સર્જનહાર અને શ્રેષ્ઠ છે.' આ સાંભળીને ભીમાસુરને વધારે ગુસ્સો આવ્યો અને ત્યાં હાજર શિવલિંગને તોડવાનો પ્રયાસ કરે છે. જેથી સુદક્ષિણનો વિશ્વાસ તૂટી ગયો.
ભીમાસુરે જેવો જ શિવલિંગ પર હુમલો કરવા જાય છે ત્યાં જ અચાનક ત્યાંથી એક પ્રકાશ નીકળે છે. તે પ્રકાશ ભગવાન શિવનો હતો. ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા અને હાથમાં ત્રિશૂળ લઈને ભીમાસુર સાથે યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં ભીમાસુર ભગવાન શિવના હાથે અંત થયો હતો. સુદક્ષિણ અને વિરાણીની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે કહ્યું, 'હું અહીં જ્યોતિર્લિંગના રૂપમાં કાયમ રહીશ. જે કોઈ સાચા હૃદયથી મારી પૂજા કરશે, તેની બધી ઇચ્છાઓ પૂર્ણ થશે.' ત્યારથી, આ સ્થળ ભીમાશંકર તરીકે ઓળખાય છે.

જ્યોતિર્લિંગ વિશે રસ્પ્રદ માન્યતા અને વાતો
અવું કહેવાય છે કે, ભીમાશંકર મંદિરથી 3 કિમી દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત ગુપ્ત ભીમ એ સ્થાન છે જ્યાં ભીમ નદી એક ખડક પર મૂકેલા શિવલિંગ ઉપર ખૂબ જ તીવ્રતાથી વહી રહી છે. આ જ માર્ગ પર એક ગણપતિ મંદિર આવેલું છે. એવું માનવામાં આવે છે કે ભીમાશંકરના દર્શન કર્યા પછી, ભગવાન ગણેશના પણ દર્શન કરવા જોઈએ. ગણપતિના દર્શન કર્યા પછી જ ભીમાશંકર યાત્રા પૂર્ણ માનવામાં આવે છે. ભીમાશંકરની આસપાસ 108 તીર્થસ્થળો છે. જેમાં મુખ્ય સર્વતીર્થ, જ્ઞાનતીર્થ, મોક્ષ તીર્થ, પાપમોચન તીર્થ, ક્રીડા તીર્થ, ભીમ ઉદગમ તીર્થ, ભાષા તીર્થ વગેરેનો સમાવેશ થાય છે. એક રસપ્રદ વાત એ છે કે ભારતમાં ભીમાશંકર નામના બે પ્રખ્યાત મંદિરો હતા. એક મહારાષ્ટ્રના પુણેમાં અને બીજું આસામના કામરૂપ જિલ્લામાં આવેલું છે. જ્યાં ભીમાશંકરનું મંદિર આવેલું છે તે ટેકરીઓની આસપાસના જંગલોમાં જોવા મળતા છોડ ભારતમાં બીજે ક્યાંય જોવા મળતા નથી અને અહીં પ્રાણીઓની ઘણી દુર્લભ પ્રજાતિઓ પણ જોવા મળે છે. આ મંદિરની નજીક કમલજા મંદિર છે જે ભારતમાં ખૂબ જ પ્રખ્યાત મંદિર માનવામાં આવે છે. કમલજા માતાને દેવી પાર્વતીનો અવતાર માનવામાં આવે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને પ્રચલિત માન્યતાઓ અને સર્વસામાન્યા જાણકારીને આધારિત છે. VTV Digital તેની પુષ્ટિ કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.