બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / જ્યાં શિવ-પાર્વતી રમે છે ચોપાટ, બે જુદી જુદી જગ્યાએ છે એક જ શિવલિંગ, જ્યાં ખુદ બ્રહ્મા સામે શિવે ખોલ્યું હતું રહસ્ય!
Omkareshwar Jyotirling: મધ્ય પ્રદેશની પવિત્ર ભૂમિ કે જ્યાં દર વર્ષે લાખો ભક્તો, યાત્રાળુઓ અને સાધુ-સંતો પોતાના પાપો ધોવા માટે, આત્માની શાંતિ મેળવવા માટે, તેમજ ઓમકારના ધ્વનિનો અનુભવ કરવા માટે આવે છે. અહીં 'ૐ નમઃ શિવાય'નો જાપ ફક્ત મંત્ર નથી, તે જીવનનો લય છે. આ એક માત્ર જ્યોતિર્લિંગ નથી પણ એક ચેતના છે, એક અનુભવ છે, જે સમયની મર્યાદાથી પણ ઉપર છે. આ એ જગ્યા છે જ્યાં પ્રકૃતિ અને ભગવાનનો મેળાપ થાય છે. જ્યાં નર્મદાની દરેક લહેર શિવના અસ્તિત્વને સ્પર્શે છે. જે ઓમકારેશ્વર તરીકે ઓળખાય છે.
ADVERTISEMENT
'ઓમકાર' એટલે કે 'ૐ'ના રૂપમાં શિવ
આ પવિત્ર સ્થળની વિશેષતા ફક્ત તેના જ્યોતિર્લિંગમાં જ નહીં પરંતુ તેના દ્વૈતવાદમાં પણ રહેલી છે. આ કહાની ત્રેતાયુગની છે જ્યાં ઇક્ષ્વાકુ વંશના શક્તિશાળી અને ધર્મનિષ્ઠ રાજા ઘણા વર્ષો સુધી નર્મદા કિનારે તપસ્યામાં મગ્ન રહ્યા. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને, ભગવાન શિવ અહીં પ્રગટ થઈને જ્યોતિર્લિંગ તરીકે પોતાના દિવ્ય સ્વરૂપમાં સ્થાપિત થયા. ત્યારથી આ સ્થળ ઓમકારેશ્વર તરીકે જાણીતું બન્યું હતું. 'ઓમકાર' એટલે કે 'ૐ'ના રૂપમાં શિવ.
ADVERTISEMENT

આ ફક્ત શ્રદ્ધાનું સ્થળ જ નહીં, પણ જ્ઞાનનું કેન્દ્ર પણ રહ્યું છે. ઓમકારેશ્વર એ ઐતિહાસિક સંવાદના મૂક સાક્ષી છે જેણે ભારતીય દર્શનની દિશા બદલી નાખી. મંદિરની સ્થાપત્ય, તેની જટિલ કોતરણી અને કારીગરી ચંદેલા અને પરમાર શાસકોના કલાત્મક જુસ્સાને પ્રતિબિંબિત કરે છે. નર્મદાના બંને કિનારાઓને જોડતો પુલ અને તેની પાછળ અર્ધચંદ્રાકાર આકારની સીડીઓ, એક દૈવી અનુભૂતિ પેદા કરે છે. રાત્રે, જ્યારે દીવા પ્રગટાવવામાં આવે છે, ત્યારે મંદિરનું પ્રતિબિંબ નર્મદામાં એવી રીતે ઝળહળે છે જાણે શિવ પોતે તેમાં પ્રાર્થના કરી રહ્યા હોય.
ADVERTISEMENT
બાર જ્યોતિર્લિંગોમાં ઓમકારેશ્વર ચોથા ક્રમે આવે છે
ભગવાન શિવ સાથે સંકળાયેલા બાર જ્યોતિર્લિંગોમાં મધ્ય પ્રદેશમાં આવેલું ઓમકારેશ્વર ચોથા ક્રમે આવે છે. અહીં ભગવાન શિવ નર્મદા નદીના કિનારે ઓમ આકારના પર્વત પર બિરાજમાન હોવાનું કહેવાય છે. શિવના આ ચમત્કારિક અને રહસ્યમય જ્યોતિર્લિંગ વિશે એવું પણ માનવામાં આવે છે કે આ પવિત્ર તીર્થમાં જળ ચઢાવ્યા વિના વ્યક્તિની તમામ તીર્થયાત્રાઓ અધૂરી માનવામાં આવે છે. ઓમકારેશ્વરમાં બે મુખ્ય શિવલિંગની પૂજા થાય છે. એક ઓમકાર અને બીજું મામલેશ્વર અથવા મમલેશ્વર. શાસ્ત્રોમાં, બંનેને એકસાથે એક જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. એવું માન્યતા છે કે અહીં મહાદેવ શિવ અને શક્તિ બંને સ્વરૂપોમાં પ્રગટ થયા હતા, જેથી ભક્તો તેમના સંપૂર્ણ સ્વરૂપમાં દર્શન કરી શકે.
ADVERTISEMENT
ૐ શબ્દની ઉત્પત્તિ શ્રી બ્રહ્માજીના મુખ દ્વારા થઈ
ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ ૐકાર અર્થાત ૐના આકાર ધારણ કરે છે, એટલે તેને ઓંકારેશ્વર નામથી ઓળખવામાં આવે છે. ઓંકારેશ્વરની મહિમાનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, શિવપુરાણ અને વાયુપુરાણમાં કરવામાં આવે છે. જ્યારે ગંગા નદી પણ પૃથ્વી પર ઉતરી ન હતી. ત્યારે ત્રિદેવોમાંના એક બ્રહ્માજીએ ૐ નું રહસ્ય અને તેનો અર્થ સમજવા માટે ખૂબ જ કઠોર તપસ્યા કરી હતી. આ કઠોર તપસ્યા જોઈને, ભગવાન શિવ જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થઈને ૐનું રહસ્ય સમજાવીને તેનો અને અર્થ કહ્યો હતો. અહીં ૐ શબ્દની ઉત્પત્તિ શ્રી બ્રહ્માજીના મુખ દ્વારા થઈ છે. એટલે દરેક ધાર્મિક શાસ્ત્ર કે વેદોના પાઠ ૐ શબ્દ સાથે જ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, ઓમકારેશ્વર ભગવાન શિવનું શયન સ્થળ છે. દેવાધિદેવ શંકર ત્રણેય લોકની મુલાકાત લીધા પછી દરરોજ રાત્રે આ મંદિરમાં સૂવા માટે આવે છે.
ADVERTISEMENT
દેવતાઓ અને ઋષિઓએ ભગવાન શિવની સ્તુતિ કરી
ADVERTISEMENT
વિંધ્ય પર્વતના ભગવાન શિવની પૂજા પછી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી હતી. વિંધ્યાચલે શિવની મૂર્તિ બનાવી અને છ મહિના સુધી તપસ્યા કરી હતી. આ સાંભળીને ભગવાન શિવે વિંધ્યને પોતાના દિવ્ય દર્શન આપ્યા અને કાર્ય પૂર્ણ કરવા માટે ઇચ્છિત વરદાન આપ્યું હતું. આ સમય દરમિયાન, બધા દેવતાઓ અને ઋષિઓએ ભગવાન શિવની સ્તુતિ કરી અને તેમને ત્યાં નિવાસ કરવા વિનંતી કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને ઋષિઓ અને દેવતાઓની વાત સ્વીકારી હતી, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે અન્ય એક ધાર્મિક માન્યતા પણ જોડાયેલી છે, જે મુજબ રાજા માંધાતાએ એક વખત ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી, જેનાથી પ્રસન્ન થઈને મહાદેવ તેમની સમક્ષ પ્રગટ થયા અને તેમને બે વરદાન માંગવા કહ્યું હતું. ત્યારબાદ માંધાતાએ પોતાના પહેલા વરદાનમાં તેમને આ જગ્યાએ બેસવાનું કહ્યું અને પછી કહ્યું કે તમારા નામ સાથે મારું નામ પણ જોડવામાં આવે. એવું માનવામાં આવે છે કે ત્યારથી ભગવાન શિવ અહીં નિવાસ કરે છે અને લોકો આ વિસ્તારને માંધાતા નામથી ઓળખે છે.

ભગવાન શિવ માતા પાર્વતી સાથે ચોપાટ રમે છે
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ખાસ કરીને ભગવાન શિવની શયન આરતી માટે પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ દરરોજ રાત્રે અહીં સૂવા માટે આવે છે અને દેવી પાર્વતી સાથે ચોપાટ રમે છે. આ માટે, શયન આરતી પછી જ્યોર્તિલિંગ સામે દરરોજ ચોપાટની બિસાત સજાવવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલતી આવે છે. રાતમાં ગર્ભગૃહમાં કોઈ નથી આવતું, રાતે મંદિરના દરવાજા જ નહીં પરંતુ દરેક બારી પણ બંધ હોય છે જેથી પક્ષીઓ પણ અંદર આવી ન શકે. પરંતુ જ્યારે સવારે મંદિર ખોલવામાં આવે છે, ત્યારે ચોસરના પાસા વેરવિખેર અને ઉલટા જોવા મળે છે.
મહાદેવના મંદિરનું મોટું રહસ્ય
ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ભસ્મ આરતીની જેમ ઓમકારેશ્વર મંદિરની શયન આરતી વિશ્વ પ્રસિદ્ધ છે. જોકે, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં, ભગવાન શિવની સવારે, મધ્યાહન અને શયન એમ ત્રણ વખત કરવામાં આવે છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરથી લગભગ 78 કિમી દૂર નર્મદા નદીના કિનારે આવેલું છે. આ એકમાત્ર મંદિર છે જે નર્મદા નદીની ઉત્તરે આવેલું છે. અહીં ભગવાન શિવ નદીના બંને કિનારા પર સ્થિત છે. અહીં મહાદેવની પૂજા મામલેશ્વર અને અમલેશ્વરના રૂપમાં થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની આસપાસ કુલ 68 તીર્થસ્થળો છે અને ભગવાન શિવ અહીં 33 કરોડ દેવતાઓ સાથે નિવાસ કરે છે.
દર્શન અને પૂજા કરવાથી બધા પાપોનો થાય છે નાશ
આ મંદિરમાં લોકોની શ્રદ્ધા અને આસ્થાને કારણે જ ભગવાન શિવ અહીં નિવાસ કરે છે. આ સાથે, મહાદેવ દરરોજ ચાંદીના ઝૂલા પર ઝૂલતા જોવા મળે છે. આ મંદિરની બીજી એક માન્યતા એ છે કે શિવલિંગ ઉપર 3 જ્યોત પ્રગટાવવામાં આવે છે, જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું પ્રતીક છે. લોકો દૂર-દૂરથી ખૂબ જ ભક્તિભાવથી આ મંદિરના દર્શન કરવા આવે છે. શ્રાવણ અને મહાશિવરાત્રી પર આ મંદિરમાં દર્શન અને પૂજા માટે શિવભક્તોની ભારે ભીડ ઉમટે છે. એવું માનવામાં આવે છે કે ઓમકારેશ્વર મંદિરમાં દર્શન અને પૂજા કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને પ્રચલિત માન્યતાઓ અને સર્વસામાન્યા જાણકારીને આધારિત છે. VTV Digital તેની પુષ્ટિ કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.