બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / ભક્તોને રાક્ષસીથી બચાવવા જાતે આવ્યા મહાદેવ, અસલી જ્યોતિર્લિંગ માટે ઝઘડે છે ગુજરાત, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર!
Nageshwar Jyotirling : શાંત સમુદ્રમાં અચાનક ઊંચા મોજા ઉછળવા લાગ્યા જાણે કોઈ ભયાનક ઘટનાની ચેતવણી આપી રહ્યા હતા. ઘૂઘવતાં સમુદ્રની ગર્જના દૂર સુધી સંભળાઈ રહી હતી. નજીકમાં આવેલા એક ગાઢ જંગલમાં શાંતિ હતી, પરંતુ અજાણ્યા ભયનો માહોલ હતો.
ADVERTISEMENT
યુગો પહેલાની વાત છે જ્યારે ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં દરિયા કાંઠે આવેલા એક નગર નજીક જંગલમાં એક રાક્ષસી તેના અસુર પતિ સાથે નિવાસ કરતી હતી. તેમણે કઠોર તપસ્યા કરીને દેવી પાર્વતીને પ્રસન્ન કર્યા. માતાએ વરદાન આપ્યું અને પછી રાક્ષસીએ હદ પાર કરી મુકી હતી અને આજુબાજુના વિસ્તારને બાનમાં લઈને ઉત્પાત મચાવી દીધો હતો. ઋષિઓ- મુનિઓ, મનુષ્યો ડરના ઓઠા હેઠળ જીવન જીવવા મજબૂર બન્યા હતા.

ADVERTISEMENT
જંગલ વિસ્તાર હવે ભયના સામ્રાજ્યમા પરાવર્તિત થઈ ગયું હતું. લોકોએ પલાયન શરુ કરી દીધું. જંગલ હવે સંતો અને તપસ્વીઓનું જંગલ રહ્યું ન હતું. હવે ત્યાં ફક્ત ક્રૂરતા હતી. જંગલ પછી રાક્ષસીએ દરિયામાં પગ જમાવ્યા અને એક દિવસ વટેમાર્ગુઓ તેમજ પ્રવાસીઓને બંધક બનાવે છે જેમાંથી એક શિવભક્ત હોય છે. બંધક બનાવેલા લોકોને એક જેલમાં રાખે છે ત્યાં બને છે એવું કે જોઈને ખુદ રાક્ષસી પણ હેરાન થઈ જાય છે અને એક જ્યોતિર્લિંગની સ્થાપના થાય છે. આ નગર એટલે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા અને આ જંગલ એટલે દારુકાવન જ્યાં બિરાજે છે નાગેશ્વર જ્યોતિર્લિંગ.
નાગેશ્વર જ્યોતિર્લિંગનું દસમું સ્થાન
ADVERTISEMENT
આ જ્યોતિર્લિંગ ગુજરાતના દ્વારકાથી 17 કિલોમીટર દૂર આવેલું છે. ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન શિવ અને માતા પાર્વતી નાગેશ્વર મંદિરમાં નાગ અને નાગણના રૂપમાં પ્રગટ થયા હતા. આ માટે નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. દેશભરમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ છે. જેમાં નાગેશ્વર જ્યોતિર્લિંગનું દસમું સ્થાન છે. એવું માનવામાં આવે છે કે અહીં દર્શન અને પૂજા કરવાથી ભક્તની કુંડળીમાં કાલસર્પ, સર્પ દોષ જેવા અશુભ યોગોનો પ્રભાવ ઓછો થાય છે. ભક્તો મંદિરમાં સાપની મૂર્તિઓ પણ ચઢાવે છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગની દંતકથા
ADVERTISEMENT
શિવપુરાણમાં કોટિરુદ્રસંહિતામાં અધ્યાય 29-30માં નાગેશ્વર જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે. જે અનુસાર દારુકા નામની એક રાક્ષસી હતી, તેને દારુકા જંગલમાં પ્રવેશવાની મંજૂરી નહોતી. તેમણે કઠોર તપસ્યા કરીને દેવી પાર્વતીને પ્રસન્ન કર્યા હતા. જ્યારે માતા પાર્વતીએ દારુકા પાસે વરદાન માંગવાનું કહ્યું, ત્યારે રાક્ષસીએ દેવી પાર્વતી પાસે રાક્ષસોને તેમના સારા કાર્યો માટે જંગલમાં જવા દેવાનું વરદાન માંગ્યું હતું.
દેવી પાર્વતી રાક્ષસીના વિચારોથી પ્રસન્ન થયા અને તેમને દારુકા વનમાં જવાનું વરદાન આપ્યું, પરંતુ વરદાન મળતાની સાથે જ દારુકા અને અન્ય રાક્ષસોએ દેવતાઓ પાસેથી જંગલ છીનવી લીધું. જંગલમાં ભય ફેલાવાનું શરુ કર્યું.
ADVERTISEMENT
વધુ વાંચો : લંકાપતિએ હઠ પકડી, મહાદેવે શરત સાથે વરદાન આપ્યું, વિષ્ણુએ એવી લીલા કરી કે બન્યુ જ્યોતિર્લિંગ
જંગલ બાદ તેણે સમુદ્રમાં પણ ભય ફેલાવ્યો હતો. જંગલ તરફ આવતા વહાણો પર લૂંટ ચલાવતી, યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મોતને ઘાટ ઉતારી દેતી. એક દિવસ વટેમાર્ગે જતા એક પ્રવાસીઓને બંધક બનાવી લીધા હતા. જેમાં સુપ્રિય નામના એક શિવભક્ત પણ હતો. આ તમામ બંધકને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. અહીં સુપ્રિય શિવની પૂજા કરતો. આ જોઈને બીજા બંધકો પણ તેનાથી પ્રેરણા લઈને શિવની પૂજા કરવા લાગ્યા.
ADVERTISEMENT

શિવ ભક્તિ વિશે જ્યારે રાક્ષસીને ખબર પડી તો તેણે તેના પર કડક નજર રાખવાનું શરુ કર્યું અને બંદીવાનને તેના પર નજર રાખવા કહ્યું. દિવસ રાત સુપ્રિય શિવ ભક્તિ કરતો રહે. દિવસ ગયા વર્ષો વિત્યા પછી એક દિવસ બન્યું એવું કે એક દિવ્ય પ્રકાશ થાય છે. જેને જોઈને સુપ્રિય પણ અચંબિત રહી જાય છે. બંદીવાનને પણ આ પ્રકાશનો આભાસ થાય છે અને આ વાતની દારુકા નામની રાક્ષસીને કહે છે. હાંફળીફાંફળી થતી રાક્ષસી જેલ તરફ દોડી આવે છે અને ઊંચા સ્વરે સુપ્રિયને પૂછે છે કે તે શું કર્યું અને શું થયું હતું. ત્યારે સુપ્રિય કહે છે કે કઈ નહીં. આ પછી રાક્ષસી ગુસ્સે થઈને સુપ્રિયને મૃત્યુ આપવાનું નક્કી કરે છે.
વધુ વાંચો : ઋષિ વિરુદ્ધના ષડયંત્ર અને ગંગાજીની શરતને કારણે સ્થપાયું જ્યોતિર્લિંગ, દર્શન માત્રથી મળે છે મોક્ષ
હવે શિવના પરમભકતની પરીક્ષાનો સમય આવી ગયો. તેણે સતત શિવનું સ્મરણ શરુ કર્યું મનમાં વિશ્વાસ હતો કે ભોળાનાથ ભલું જ કરશે. જ્યારે તેને મૃત્યુની સજા આપવાની તૈયારી ચાલી રહી હતી. ત્યાં જ ભગવાન શિવ પોતાના ગળામાં નાગ સાથે એક દિવ્ય પ્રકાશ સાથે પ્રગટ થયા હતા. આ જોઈને ત્યાં હાજર સમગ્ર દાનવો ડરી ગયા અને રાક્ષસી પણ હેરાન પરેશાન થઈ ગઈ હતી. શિવે દાનવોનો નાશ કર્યો અને બિરાજમાન થયા. નાગભૂમિમાંથી શિવજી પ્રગટ થયા હોવાને તેમજ નાગોના ઈશ્વર હોવાને લીધે પણ તેઓ નાગેશ્વરના નામથી પ્રસિદ્ધ થયા.
એક એવી પણ માન્યતા છે કે, મહાભારત કાળ દરમિયાન જ્યારે પાંડવો તેમના વનવાસ ભોગવી રહ્યા હતા. પછી તે પણ આ વિસ્તારમાં આવ્યા હતા. તે સમયે ભીમે અહીં જોયું કે એક ગાય તળાવમાં દૂધ આપી રહી છે. ભીમને આ વાતની નવાઈ લાગી. જ્યારે ભીમ તળાવમાં ઉતરીને તે જગ્યાએ પહોંચ્યો, ત્યારે તેણે ત્યાં એક શિવલિંગ દેખાયું હતું. આ પછી, ભીમ અને અન્ય પાંડવોએ તળાવનું પાણી ખાલી કરીને શિવલિંગની પૂજા કરી. પાછળથી ભગવાન કૃષ્ણએ પાંડવોને કહ્યું કે, આ શિવલિંગ નાગેશ્વર છે, જે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે.
આ જ્યોતિર્લિંગનું સ્થાન વિવાદાસ્પદ છે. શિવપુરાણ અનુસાર તે દારુક જંગલમાં ક્યાં આવેલું છે. દંડકવન, દૈત્યવન અને કામ્યકવન જેવા અનેક મહાકાવ્યોમાં દારુકા વનનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ ત્રણ રાજ્યો નાગેશ્વર જ્યોતિર્લિંગ તેમના રાજ્યમાં હોવાનો દાવો કરતા રહ્યા છે! દ્વારકાના નાગેશ્વર ધામનો દાવો એવો છે કે જગદગુરુ આદિશંકરાચાર્યજીએ સ્વયં આ સ્થાન પર આવી પૂજા-અર્ચના કરી હતી. પરંતુ, કંઈક આવો જ દાવો તો મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં સ્થિત ઔંઢા નાગનાથ મહાદેવ મંદિર દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે.

આ બે દાવાની વચ્ચે ઉત્તરાખંડના અલ્મોડામાં આવેલ જાગેશ્વર મહાદેવ જ વાસ્તવમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ હોવાનો દાવો પણ થતો રહ્યો છે. કહે છે કે દારુકાવન એટલે દરુ વન. અને તે જ વન વાસ્તવમાં ઉત્તરાખંડમાં સ્થિત છે. અને જોગેશ્વર જ વાસ્તવમાં નાગેશ્વર છે. જો કે, શિવપુરાણમાં દારુકાવન સિવાય આ સંદર્ભમાં અન્ય કોઈ ઉલ્લેખ મળી રહ્યો નથી. શિવપુરાણ અનુસાર, ભક્ત સુપ્રિયની રક્ષા માટે મહાદેવ નાગનું રૂપ લઈ દારુકાવનમાં પ્રગટ થયા હતા. તેમણે આ ધરા પર અસુર દારુકનો વધ કર્યો હતો. અને ત્યાર બાદ શિવ-પાર્વતી નાગેશ્વર અને નાગેશ્વરી રૂપે દારુકાવનમાં બિરાજ્યા હતા.
ગુજરાતના દ્વારકામાં સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગ ભારતીય મંદિર સ્થાપત્યની શ્રેષ્ઠતાનું એક ભવ્ય ઉદાહરણ છે. આ મંદિર પરંપરાગત મેરુ શૈલીના સ્થાપત્યનું ઉદાહરણ આપે છે જે ભારતના શિવ મંદિરોમાં સામાન્ય છે. આ મંદિરમાં અર્ધ મંડપ, અને ગર્ભગૃહ છે. પ્રાચીન સ્થાપત્ય શૈલી જાળવી રાખીને, તેનું તાજેતરમાં આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ સ્થળનું મુખ્ય આકર્ષણ બેસવાની મુદ્રામાં ભગવાન શિવની 80 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા અને તેની પાછળ એક શાંત તળાવ છે.
ભગવાન શિવના આ દસમા જ્યોતિર્લિંગનું નિર્માણ કાર્ય અદ્ભુત અને સુંદર રીતે કરવામાં આવ્યું છે. ભગવાન શિવના આ જ્યોતિર્લિંગની સ્થાપના નાગેશ્વર મંદિરના મુખ્ય ગર્ભગૃહના નીચલા સ્તરે કરવામાં આવી છે. આ જ્યોતિર્લિંગની ટોચ પર ભગવાન શિવનો એક મોટો ચાંદીનો નાગ સ્થાપિત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ અદ્ભુત જ્યોતિર્લિંગની પાછળ માતા પાર્વતીની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. આ જ્યોતિર્લિંગનું મંદિર ખૂબ જ અદભુત સૌંદર્યલક્ષી રીતે બનાવવામાં આવ્યું છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને પ્રચલિત માન્યતાઓ અને સર્વસામાન્યા જાણકારીને આધારિત છે. VTV Digital તેની પુષ્ટિ કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.