ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:15 AM, 7 September 2026
ADVERTISEMENT
દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં પેઇંગ ગેસ્ટ (PG) તરીકે ઉપયોગમાં લેવાતી એક બહુમાળી ઈમારત અચાનક ધરાશાયી થતાં સમગ્ર દિલ્હીમાં ચકચાર મચી ગઈ છે. ઈમારત ધરાશાયી થવાની ઘટનાના 20 સેકન્ડના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. આ વીડિયોમાં ઈમારત તૂટી પડતી નજરે પડે છે. જ્યારે ઈમારત ધરાશાયી થઈ ત્યારે એક માણસ ગેટ પાસે બેઠો હતો. અચાનક ઈમારત પરથી કાટમાળ અને ધૂળ પડવા લાગે છે. પરિસ્થિતિનો ખતરો સમજાતા તે વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ઝડપથી ભાગી જાય છે. ત્યારબાદ થોડી જ સેકન્ડમાં આખી ઈમારત પત્તાના ઘરની જેમ ધરાશાયી થઈ જાય છે અને આસપાસ ધૂળનું મોટું વાદળ ફેલાઈ જાય છે.
ADVERTISEMENT

આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. મોતી બાગમાં સત્ય નિકેતન ઈમારત ધરાશાયી થવાના કારણે આ દુર્ઘટના બની છે. અત્યાર સુધીમાં 11 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જોકે, ઘણા વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતાં જ NDRF, CATS એમ્બ્યુલન્સ અને ઘણી વહીવટી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળ હટાવવા અને અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
AIIMS દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, સત્ય નિકેતન ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક 6 થયો છે. દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં થયેલી આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 10 દર્દીઓને JPN એપેક્સ ટ્રોમા સેન્ટર, AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 દર્દીઓમાંથી 5ને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે એક દર્દીની હાલત ગંભીર હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અન્ય 3 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. એક દર્દીના અંગો પર સર્જરી કરવામાં આવી હતી. જ્યારે એક દર્દીને સામાન્ય ઈજા થઈ હતી અને સારવાર બાદ તેને નિરીક્ષણ હેઠળ રાખીને રજા આપવામાં આવી હતી.
ADVERTISEMENT
એડિશનલ DCP અભિમન્યુ પોસ્વાલે જણાવ્યું હતું કે 6 સપ્ટેમ્બરના રોજ બપોરે લગભગ 1:30 વાગ્યે પોલીસને PCR કોલ મળ્યો હતો. કોલમાં સત્ય નિકેતન વિસ્તારમાં ઈમારત ધરાશાયી થવાની માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે શરૂઆતમાં કેટલાક વિદ્યાર્થીઓને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં મોકલ્યા હતા. જોકે, રેસ્ક્યૂ ઓપરેશન આગળ વધ્યું ત્યારે જાણવા મળ્યું કે હજુ પણ વધુ વિદ્યાર્થીઓ અને લોકો કાટમાળ નીચે દટાયેલા છે. ત્યારબાદ બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. એવો આરોપ છે કે સલામતીના નિયમોનું પાલન કર્યા વગર થાંભલા અને દિવાલો સાથે છેડછાડ કરવામાં આવી રહી હતી. જેના કારણે ઈમારતનું માળખું નબળું પડી ગયું અને આખી ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. આ મામલે દિલ્હી પોલીસના સાઉથ કેમ્પસ પોલીસ સ્ટેશનમાં ઈમારતના માલિક હરિ ઓમ અને આ ઘટનામાં જવાબદાર અન્ય લોકો સામે FIR નોંધવામાં આવી છે. શરૂઆતમાં IPCની કલમો હેઠળ કાર્યવાહી અંગે માહિતી સામે આવી હતી, જ્યારે આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ 105, કલમ 290 અને કલમ 125(a) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કલમ 105 BNS હત્યા ન ગણાતા ગુનાહિત હત્યા, કલમ 290 BNS મૃત્યુ અથવા મિલકતને નુકસાન થવાની શક્યતા ધરાવતી બેદરકારીભરી કાર્યવાહી અને કલમ 125(a) BNS અન્ય લોકોના જીવન અથવા સલામતીને જોખમમાં મૂકતા ઉતાવળ અથવા બેદરકારીભરી કાર્યવાહીથી ઈજા પહોંચાડવા સંબંધિત છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ફરાર મકાનમાલિક હરિ ઓમ અને અન્ય આરોપીઓને પકડવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે. આરોપીઓને શોધવા માટે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડવાની કામગીરી પણ ચાલુ છે.
Building collapse in Satya Niketan, Delhi. Several students feared trapped. Satya Niketan is a popular area among college goers. Several PGs, book shops and budget cafes are in the area.
— Khushi Mehrotra (@khushimehrotraa) September 6, 2026
Updates soon. pic.twitter.com/6LYw5cM1gr
ADVERTISEMENT
અકસ્મતની જાણ થતાં જ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, ઉપરાજ્યપાલ તરનજીત સિંહ સંધુ, મંત્રી કપિલ મિશ્રા, સ્થાનિક ધારાસભ્યો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ઘટનાસ્થળે ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને રેસ્ક્યૂ ઓપરેશનમાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન થાય તેની સૂચના આપી હતી. ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તા સીધી AIIMS ટ્રોમા સેન્ટર પહોંચી હતી. અહીં તેમણે સત્ય નિકેતન અકસ્માતમાં ઘાયલ થયેલા અને બચાવવામાં આવેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ડોક્ટરો અને આરોગ્ય અધિકારીઓ સાથે વાત કરીને ઘાયલોની તબિયત અંગે માહિતી મેળવી હતી. સાથે જ પીડિતોને શ્રેષ્ઠ અને મફત સારવાર મળે તે માટે પણ જરૂરી સૂચના આપી હતી.
આ પણ વાંચો :
VIDEO : જાણે ભૂકંપ આવ્યો' દિલ્હીમાં સત્ય નિકેતનમાં હોસ્ટેલની બિલ્ડિંગ ધરાશાયી, વિદ્યાર્થીઓ દટાયાં
સત્ય નિકેતનની આ મોટી દુર્ઘટના બાદ MCD પણ એક્શનમાં આવ્યું છે. આ ઘટનાએ આસપાસની જૂની અને જર્જરિત ઈમારતોની સલામતી અંગે પણ સવાલો ઉભા કર્યા છે. ભવિષ્યમાં આવી કોઈ બીજી દુર્ઘટના ન બને તે માટે MCDએ ધરાશાયી થયેલી ઈમારતની બાજુમાં આવેલી ઈમારતને ખાલી કરાવવાની સૂચના આપી છે. MCD દ્વારા આપવામાં આવેલી નોટિસ મુજબ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1957ની કલમ 348 હેઠળ ઘર નંબર 13નું પરિસર પણ ખતરનાક અને જર્જરિત સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે. આ ઈમારત તેના રહેવાસીઓ ઉપરાંત આસપાસના લોકો અને ત્યાંથી પસાર થતા લોકો માટે પણ જોખમી બની શકે છે. MCDએ ઈમારતના માલિક અને રહેવાસીઓને નોટિસ મળ્યાના ત્રણ દિવસની અંદર ખતરનાક બાંધકામ જાતે તોડી પાડવાનો આદેશ આપ્યો છે. નોટિસમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો નક્કી કરેલી સમયમર્યાદામાં આ આદેશનું પાલન કરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે ઈમારત તોડી પાડશે. આ કામગીરીનો સંપૂર્ણ ખર્ચ પણ માલિક પાસેથી બાકી ટેક્સ તરીકે વસૂલ કરવામાં આવશે. હાલ સત્ય નિકેતનમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને કાટમાળમાંથી વધુ લોકોને બહાર કાઢવા માટે ટીમો સતત કામ કરી રહી છે. આ દરમિયાન સામે આવેલો 20 સેકન્ડનો CCTV વીડિયો સમગ્ર ઘટનાની ગંભીરતા બતાવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો