અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં એક યુવકને જાહેરમાં પેટ્રોલ અને કેરોસીન છાંટી જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. આ ઘટનામાં સેશન્સ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા બે આરોપીઓને ફટકારી ફાંસીની સજા.
ઇસનપુર વિસ્તારમાં યુવકને કેરોસિન છાંટી સળગાવી દીધો
સેશન્સ કોર્ટે બે આરોપીઓને ફટકારી ફાંસીની સજા
બે સગા ભાઇઓને ફાંસીની સજા થઈ હોય તેવો પ્રથમ કેસ
બંને આરોપી ભાઇઓને ફંસીની સજા
મળતી માહિતી મુજબ અધિક સત્ર ન્યાયાધીશ વિજયસિંહ અભેસિંહ રાણાએ 118 પાનાના લંબાણપૂર્વકનો ચુકાદો આપી યુવકને જાહેરમાં નિર્દયતા અને કૂરૂરતાપૂર્વક જીવતો સળગાવવાના કેસને રેરેસ્ટ ઓફ્ રેર કેસ ગણાવી બંને આરોપી ભાઇઓને ફંસીની સજા ફ્ટકારી હતી. બે સગા ભાઇઓને ફાંસીની સજા થઇ હોય તેવો આ સૌપ્રથમ કેસ છે. ચકચારભર્યા આ કેસનો ટ્રાયલ ચાલી જતાં સરકારપક્ષ તરફ્થી અધિક સરકારી વકીલે કેસની દલીલોમાં જણાવ્યું હતું કે, ફરીયાદી પંકજભાઇ પાંડુરંગ પાટીલે ગત તા.25-8-2019ના રોજ એલજી હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડમાં ઇસનપુર પોલીસમથકના એએસઆઇ સમક્ષ ફરીયાદની હકીકત જાહેર કરી હતી. જે મુજબ ફરીયાદી પોતાના માતા-પિતા અને મોટાભાઇ ચેતન, તેની પત્ની અને દાદી સુમનબહેન સાથે રહેતો હતો અને છૂટક મજૂરી કામ કરતો હતો. ગત તા.24-8-2019ના રોજ જન્માષ્ટમીનો તહેવાર હતો એ દિવસે ફરીયાદી યુવકે પોતાની મોટરસાયકલ તેમની સોસાયટીની બહાર આવેલ ચૌહાણભાઇની કરિયાણાની દુકાન પાસે પાર્ક કર્યુ હતુ ત્યારે પાડોશમાં નિર્મલકુંજ સોસાયટીમાં રહેતા આરોપી નરેશ અમરિસંહ કોરી અને તેનો ભાઇ પ્રદીપ અમરસિંહ કોરીએ ફરીયાદીની મોટરસાયકલમાંથી પેટ્રોલ કાઢયુ હતું, તેથી ફરીયાદીએ આરોપીઓને આ બાબતે ઠપકો આપતાં આરોપી પ્રદીપે પેટ્રોલ ફરીયાદી યુવક પર છાંટી દીધુ હતુ. જેથી મામલો બીચકયો હતો અને બહુ મોટો ઝઘડો થઇ ગયો હતો.
યુવક પર પેટ્રોલ અને કેરોસિન છાંટી આગ ચાંપી દીધી
ત્યારબાદ આ ઝઘડાએ ગંભીર રૂપ ધારણ કરી લીધું હતું અને ફરીયાદીના પિતા પાંડુરંગ, દાદી સુમનબહેન સહિતના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને આરોપીઓને સમજાવવાનો પ્રયાસ કરતાં આરોપી નરેશ કોરીએ ફરીયાદીના પિતાને લાફે મારી દીધો હતો અને લોખંડની સળિયાથી ઇજા પહોંચાડી હતી. અને ત્યારપછી ફરીયાદીની દાદીને પણ લાત મારી હતી. ફરીયાદી યુવક તેના માતા-પિતા અને દાદીને સંભાળતો હતો તેટલામાં તો આરોપી પ્રદીપ કોરી તેના ઘરેથી કેરોસીન ભરેલો કેરબો લાવી ફરીયાદી યુવક પર અચાનક જ છાંટી દીધુ હતુ અને કોઇ કંઇ સમજે તે પહેલાં તેને દિવાસળી ચાંપી દીધી હતી. જેના કારણે યુવક જાહેરમાં આગની લપેટમાં ઘેરાઈ ગયો હતો. જોરજોરથી ચીસો અને આક્રંદ કરવા લાગ્યો હતો. જો કે ફરીયાદીના માતા-પિતા અને આસપાસના લોકોએ યુવકને શરીરે માટી તથા ધાબળો નાંખી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેને 108 મારફ્તે ઇમરજન્સીમાં એલજી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જો કે તે 90 ટકાથી વધુ દાઝી ગયો હતો જેના પગલે તનું એલજીમાં કરૂણ મોત નિપજયુ હતું.
વિવિધ પુરાવાઓને લઈને કોર્ટે ફટકારી સજા
મળતી માહિતી મુજબ અધિક સત્ર ન્યાયાધીશ વી.એ.રાણાએ આ કેસમાં મરનાર યુવકના મરણોન્મુખ નિવેદન એફ્એસએલ રિપોર્ટ, પીએમ કરનાર ડોકટરની જુબાની, સાક્ષીઓની જુબાની અને સાંયોગિક પુરાવાઓના આધારે બંને આરોપી ભાઇઓને ફાંસીની સજા ફ્ટકારી હતી. એફ્એસએલ અધિકારીઓ દ્વારા બનાવવાળા સ્થળનું કરાયેલ પંચનામું, એકત્ર કરાયેલા પુરાવાઓ કે જેમાં કેરોસીનના અવશેષો, પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બન્સની હાજરી સ્પષ્ટ થઇ હતી. ડોકટરે 92 ટકાથી વધુ બર્ન્સ પેટ્રોલિયમ પદાર્થની હાજરી સ્થળ પરથી માચીસ, દિવાસળી, અર્ધ બળેલી દિવાસળી, માચીસનું બોક્ષ, પ્લાસ્ટિકની પારદર્શક સફેદ ઢાંકણવાળી બોટલ, બળેલ કોથળો, બળીને સીમળાય ગયેલા કાપડના ટુકડા સહિતના પુરાવાઓના આધારે સેશન્સ કોર્ટે બંને આરોપીઓને ફંસીની સજા ફ્ટકારી હતી. આ કેસમાં પીએમ કરનાર ડોકટર બ્રીજેશ ચૌહાણની જુબાની અને તેમના અભિપ્રાયને લઇ કોર્ટે આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે નોંધ્યું કે પીએમ નોટમાં સંબંધિત કોલમમાં કરાયેલી નોંધ એક મેડિકલ ઓફ્સિર તરીકેની જવાબદારીને ઇરાદાપૂર્વક અવગણીને આરોપીને મદદરૂપ થવાના એકમાત્ર ઇરાદે કરેલી છે. તબીબી શાખાના નિષ્ણાત હોવાના કારણે કોઇપક્ષને તરફેણ થાય તેવા પ્રકારનો જવાબ આપી શકે નહી પરંતુ પીએમ નોટની કેટલીક નોંધને નજર અંદાજ કરીને સરકારી કર્મચારીને ન છાજે તેવુ કૃત્ય કર્યું છે. ડોકટર બ્રીજેશ નારાયણભાઇ ચૌહાણ સામે યોગ્ય કાયદાકીય પગલાં ભરવા પણ હુકમ કરવામાં આવ્યો હતો.