ઇલેક્શન-2022 /
ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ? નરેશ પટેલ અને C.R.પાટીલ વચ્ચે ફરી મુલાકાત
Team VTV11:24 AM, 03 Jan 22
| Updated: 12:24 PM, 03 Jan 22
ખોડલધામ દર્શન કરવા પહોંચેલા સી.આર પાટીલ મળ્યા નરેશ પટેલને. ચૂંટણી ટાણે મુલાકાતનો દોર વધતા અનેક રાજકીય અટકળો તેજ
ભાજપ પ્રદેશ અધ્યક્ષની ફરી નરેશ પટેલ સાથે મુલાકાત
સી.આર.પાટીલ બીજી વખત નરેશ પટેલને મળ્યા
ખોડલધામ પાટોત્સવ બાદ રાજકારણમાં પ્રવેશ મુદ્દે ચર્ચા
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એકવાર સી.આર પાટીલે નરેશ પટેલ સાથે મુલાકાત કરી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ રવિવારે ખોડલધામ ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જે બાદ આજે તેઓ ભોજન લીધા બાદ નરેશ પટેલને મળવા પહોંચ્યા હતા.
ટૂંકાગાળામાં આ બીજી મુલાકાત
મહત્વનુ છે કે 20 નવેમ્બરના રોજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટની મુલાકાતે હતા. આ દિવસે પણ સી.આર પાટીલે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના ઘરે જઇને મુલાકાત કરી હતી. બંને વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી. જેમાં પાટીદાર સંસ્થાઓની માંગણી અનુસાર પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા અંગે વાત થઈ હતી. રાજકીય રીતે સૂચક ગણાતી આ બેઠકમાં પાટીલે નરેશ પટેલને કેસો પરત ખેંચવા ભાજપ સરકાર કટિબદ્ધ હોવાની વાત કહી છે તેવી માહિતી મળી હતી.
સી.આર.પાટીલે ખોડલધામની લીધી મુલાકાત
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 2જી જાન્યુઆરીએ ખોડલધામની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે નરેશ પટેલ સાથે ખોડલધામમાં યોજાનાર પાટોત્સવની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સુરતના ગોપાલભાઇ ચમારડી દ્વારા અમરેલીના બાબરાથી ખોડલધામ સુધી કાઢવામાં આવેલી પદયાત્રાનું પણ સ્વાગત કર્યું હતું.અહીં સી.આર.પાટીલની મુલાકાત દરમિયાન અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મનસુખ ખાચરિયા સહિત ભાજપના આગેવાનોએ પણ હાજરી આપી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ચમારડીથી ખોડલધામ પદયાત્રાનું લીલાખામાં સ્વાગત કરાયું હતું.
પંચમ પાટોત્સવની ઉજવણીનો ધમધમાટ
ખોડલધામના નરેશ પટેલ હાલ ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે. ખોડલધામ કાગવડને પાંચ વર્ષ પૂર્ણ થતા આગામી ૨૧ જાન્યૂઆરી ૨૦૨૨ના રોજ યોજાનાર પંચમ પાટોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાનાર છે જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.