કોંગ્રેસની વધારે એક વિકેટ પડી છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપ્યું છે. અને હવે તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી છે. જેને લઈને જામનગરમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. છેલ્લા બે મહિવામાં ભાજપે ચાર કોંગ્રેસી ધારાસભ્યની વિકેટ પાડી છે. જેમાં અગાઉ ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચુક્યા છે, જોકે જવાહર ચાવડાને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
કોંગ્રેસને છેલ્લા કેટલાક સમયથી ફટકા પર ફટકા પડી રહ્યા છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પોતાના પદેથી રાજીનામું આપી દેતા જાત-જાતની અટકળોએ વેગ પકડ્યો છે. વલ્લભ ધારવિયાએ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું સોંપ્યુ હતું. વલ્લભ ધારવિયાના રાજીનામાં સાથે તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો પણ શરૂ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા વલ્લભ ધારવિયાએ એવું જણાવ્યું હતું કે, હું સપનામાં પણ ભાજપમાં જોડાવાનો નથી અને કોંગ્રેસમાંથી રાજીનામુ પણ આપવાનો નથી. આ સાથે જ કહ્યું હતું કે હું કોંગ્રેસ પક્ષ પ્રત્યે સંપૂર્ણપણે વફાદાર છું અને હંમેશા રહીશ. કોંગ્રેસ પક્ષે મારા પર જે ભરોસો મુકયો એના પર હું ખરો ઉતરીશ. ત્યારે આજે તેને રાજીનામુ આપી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ચેરપર્સન સોનિયા ગાંધી સહિતના અન્ય દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે તેના એક દિવસ પહેલા જ કોંગ્રેસની વધુ એક વિકેટ પડી ગઈ છે.