આપણે અનેક ગામ જોયાં હશે. એક ગામોમાં જ્ઞાતિ, જાતિ અને અટકનું પણ વૈવિધ્ય જોવા મળ્યું હશે. કેમ કે, આપણો દેશ વૈવિધ્યતાથી સભર છે. પરંતુ આજે અમે તમને એક એવું ગામ બતાવીશું કે જ્યાં ગામમાં વસતા દરેક લોકોની એક સરખી જ સરનેમ છે. તો કયું છે આ ગામ અને તમામ લોકોની એક સરખી જ અટક હોવાનું શું છે કારણ, અહીં જાણીએ.
ગુજરાતના આ ગામની એક સરખી છે સરનેમ
અંધશ્રદ્ધા કહો કે વિશેષતા, ગામમાં બહારની કોઇ વ્યક્તિ નથી રહી શકતી
બોકડથંભા ગામની વસતી અંદાજે 700થી 750 લોકોની છે
બોકડથંભા ગામના ગ્રામજનોના વડવાઓ હતા થાનગઢ રહેવાસી
આ છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનુ બોકડથંભા ગામ. આ ગામની વસતી અંદાજે 700થી 750 લોકોની છે. આ ગામના મોટાભાગના મકાનો નળિયાવાળા અને જુનવાણી છે. આ ગામના લોકોનું જીવન સીધું અને સાદું છે. ગ્રામજનોના કહેવા મુજબ રાજાશાહી સમયમાં તેમના વડવાઓ થાનગઢના રહેવાસી હતા અને ત્યાંથી તેઓ પાજ અને રાતાભેર ગામે સ્થળાંતરિત થયા હતા. અને ત્યાં ખેતી કરતાં હતા પરંતુ ત્યાં તેઓને માફક નહીં આવતાં પાછા થાન જવાં રવાના થયા હતા. પરંતુ રસ્તામાં બોકડથંભાના લુણસરીયાના ક્ષત્રિય સમાજે તેમને આશરો આપી રહેવા માટે જગ્યા આપી અને આજીવિકા માટે ખેતીની જમીન આપી. બસ ત્યારથી તેઓ આ ગામમાં વસવાટ કરી રહ્યા છે.
ગામમાં બહારની કોઇ વ્યક્તિ નથી રહી શકતી
આ ગામની એક અલગ ઓળખ કરાવતી બાબત એ છે કે, આ ગામમાં સરાવાડીયા સિવાય અન્ય સરનેમ વાળા કોઈ લોકો રહેતાં નથી. ન રહેવા પાછળનું સ્પષ્ટ કારણ તો કાંઈ જાણવા ન મળ્યું પરંતુ ગ્રામજનોના કહેવા પ્રમાણે બીજા કોઈ વ્યક્તિ આ ગામમાં વસવાટ કરે તો તે લોકો સુખી થઈ શકતા નથી માટે ગામ છોડી જતા રહે છે અને હવે તો ગામમાં બીજું કોઈ રહેવા આવતું નથી. ગામમાં અન્ય કોઈ જ્ઞાતિનું ન રહી શકવું એ બાબત અંધશ્રદ્ધા કહો કે વિશેષતા પરંતુ આ ગામમાં આ પાંચ ભાઈઓના વંશજો સિવાય અન્ય કોઈ રહી શકતું નથી.
ગામની વિશેષતા: ક્યારેય પોલીસ સ્ટેશન સુધી નથી પહોંચ્યો ઝઘડો
આ ગામની બીજી વિશેષ બાબત એ છે કે, આ ગામના લોકો પોતાના આંતરિક મતભેદો કે ઝઘડાઓ પોલીસ સ્ટેશન સુધી લઈને ગયા નથી. આ ગામમાં વસતા બધા ગ્રામજનો એકસંપ રાખી હળી મળીને રહે છે. કેમકે ગામમાં વસતા તમામ નાગરિકો એક જ કુળના છે. એ અર્થમાં તેઓ પરસ્પર પારિવારિક ભાવનાથી વ્યવહાર કરે છે.
તેઓ બધા પોતાને એક પિતાના સંતાનો ગણે છે. આથી આ ગામમાંથી એક પણ ઝગડો પોલીસ સ્ટેશન સુધી ગયો નથી. કેમકે ગામના નાગરિકોના પરસ્પરના મતભેદોનું નિવારણ પરસ્પર સલાહસંપથી જ લાવવામાં આવે છે. આજના જાતિ કહો કે જ્ઞાતિ તથા વર્ગવિગ્રહના સમયમાં વાંકાનેરનું આ બોકડથંભા ગામ ખરા અર્થમાં હૃદયને ટાઢક આપે એવું છે.