વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવમાં ઉમેરાશે નવી સુવિધા, મનપા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
વડોદરાના સુરસાગર તળાવમાં બોટિંગ સેવા શરૂ થશે
બોટિંગ સેવા શરૂ થતા સુરસાગર તળાવ બનશે શહેરનું ટુરિસ્ટ સ્પોટ
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બોટિંગની દરખાસ્ત મંજૂર
ફરી એકવાર વડોદરા શહેરની રોનક સમા સુરસાગર તળાવમાં બોટિંગ સેવા શરૂ થશે. આ માટે તંત્ર દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરોએ રસ દાખવતા સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી થયેલા દર પ્રમાણે કોન્ટ્રાક્ટરના માધ્યમથી આ બોટિંગ સેવા શરૂ કરવામાં આવશે. આ માટે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બોટિંગની દરખાસ્ત મંજૂર થઇ હતી.
બોટિંગ સેવા થશે શરૂ
વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવમાં ટુરિસ્ટની સંખ્યામાં વધારો થશે. બોટિંગ સેવા શરૂ થતા સુરસાગર તળાવ આકર્ષણનું કેન્દ્ર બનીને રહેશે. જે માટે કમિટીમાં ટિકિટનો દર પણ નક્કી કરવામાં આવ્યો છે. 12 વર્ષથી મોટા લોકોએ આપવા પડશે 50 રૂપિયા જ્યારે 12 વર્ષથી નાના બાળકો માટે 25 રૂપિયા ટિકિટનો દર નક્કી કરવામાં આવ્યો છે.
42 કરોડના ખર્ચે તળાવનું કરાયુ રિનોવેશન
બોટિંગ સેવા શરૂ થવાથી પાલિકાને પણ આવક થશે. લોકો મનોરંજન પુરી પાડવાની સાથે પાલિકાની તિજોરી પણ ભરાશે. કોન્ટ્રાક્ટર પાલિકાને રેવન્યુ શેરિંગના 55 ટકા આપશે. મહત્વનું છે કે વર્ષો પહેલા સુરસાગર તળાવમાં બોટિંગની સુવિધા શરૂ કરાઇ હતી. પરંતુ બોટ પલટી ખાતા અનેક લોકોના મૃત્યુ થયા હતા. આ અકસ્માત બાદ બોટિંગ સેવા બંધ કરી દેવામાં આવી હતી. જો કે હવે 42 કરોડના ખર્ચે તળાવને રિનોવેટ કરવામાં આવ્યું છે. અહીં વોક વે, સિટીંગ એરિયા તથા હવે બોટિંગ પણ શરૂ થશે.