દિવાળીનો તહેવાર એટલે હિન્દુઓનો મોટામા મોટો તહેવાર. આવો મોટો તહેવાર હોય એટલે આપણે ખાવા પીવામાં કોઇ પરેજી પાળતા નથી. આ પાંચ દિવસના તહેવારમાં ખુબ જ મીઠાઇઓ અને પકવાનો ઝાપટવા લાગીએ છીએ. એ વાત પણ નક્કી જ છે કે આપણે થોડુ થોડું ખાઇને આપણુ વજન વધારી લઇએ છીએ.
ઘરમાં બનાવેલી અને ખાસ તો બહારથી લાવેલી વાનગીઓ થોડી થોડી ચાખવામાં પણ આપણે વધુ કેલરી ઇનટેક કરી લઇએ છીએ. આખુ વર્ષ મહેનત કરીને જાળવેલુ વજન વધી ન જાય તેનુ ધ્યાન રાખવુ પણ ખુબ જરુરી છે.
વજનને સંતુલિત રાખવા માટે કેટલાક ઉપાય કરો જેથી તમે વધતુ વજન રોકી શકો. તહેવારના દિવસોમાં ખાવા પીવામાં કોઇ કસર ન છોડો, પરંતુ અન્ય દિવસોમાં ખાસ કરીને દિવાળી પહેલા અને દિવાળી બાદ તમારે યોગ્ય ડાયેટ લેવુ પડશે તેથી શરીર અને વધેલા વજન વચ્ચે એક સંતુલન જાળવી શકાય.
સામાન્ય દિવસોમાં તમારા ડાયેટ પર ખુબ ધ્યાન આપો અને એ વાત પર પણ કે તમે જે ખાઇ રહ્યા છો તેમાં વધુ કેલરી ન હોય. એવી વસ્તુઓને ડાયેટમાં સામેલ કરો જેમાં ફેટ અને કેલરી ઓછા હોય અને શરીરને ઉર્જા મળતી રહે.
ફળ અને શાકભાજી પર ફોકસ કરો. જ્યુસ, સુપ અને સલાડ સારો વિકલ્પ છે. આ બધી વસ્તુઓ તમને ઉર્જા આપવાની સાથે શરીરના હાનિકારક તત્વોને બહાર પણ કાઢશે અને તમારા પાચનતંત્રને પણ મજબુત બનાવશે.
જમવાનુ બનાવતી વખતે ઘી-તેલ-ખાંડ-મીઠાં-મરચાનો ઓછો ઉપયોગ કરવો. શક્ય હોય ત્યાં તે ન વાપરવું અને ખુબ જ જરુર હોય તો માપમાં વાપરવું.
આખા દિવસમાં કમસેકમ ત્રણ લિટર પાણી જરુર પીવો. થોડી થોડી વારે પાણી પીતા રહો. ઇચ્છો તો લીંબુ નાંખીને પાણી પી શકો છો. તેનાથી સ્વાદ અને હેલ્થ બંને જળવાશે.
જે વાનગીઓમાં શર્કરાની માત્રા વધુ હોય તેનાથી દુર રહો. ખાદ્યપદાર્થોમાં ચરબીની માત્રા પર પણ વિશેષ ધ્યાન આપો.
સવારનો નાસ્તો ભલે સારી રીતે કર્યો હોય, પરંતુ રાત્રે બિલકુલ હળવો ખોરાક લો. રાતનુ જમવાનું વહેલુ જમી લો. જમવા અને સુવાની વચ્ચે ત્રણ કલાકનો સમય રાખો. શક્ય ન હોય તો ઓછામાં ઓછા બેથી અઢી કલાક તો જાળવો જ.
એન્ટીઓક્સિડન્ટ તત્વો માટે દિવસભર ગ્રીન ટી પીવો. તેનાથી તમને શરીર હળવુ લાગશો અને તમે એનર્જીથી ભરપુર રહી શકશો.
દિવસભર એક જ જગ્યાએ બેસીને ન રહો. થોડા થોડા સમયે ઉભા થાવ અને ફરતા રહો. સવારે કે રાત્રે ફરવુ તમારા શરીરને ખુબ ફાયદો કરાવશે. નિયમિત વ્યાયામ કરો. તેનાથી વજન નિયંત્રણમાં રહેશે.
જમ્યા બાદ ગરમ પાણી પીવો. તે પાચનક્રિયાને સુધારશે અને ચરબીવાળુ ભોજન કરશો તો પણ શરીર પર ચરબી જમા નહી થવા દે.