ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 5 દિવસ બેંકો બંધ, અમદાવાદ-સુરત-રાજકોટ-વડોદરામાં કર્મચારીઓનો ઉગ્ર વિરોધ, હજારો શાખાઓનું કામકાજ ઠપ!
Last Updated: 02:24 PM, 11 September 2026
ADVERTISEMENT
ગુજરાતભરમાં આજે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની એક દિવસીય હડતાળને કારણે બેંકિંગ કામગીરી પર તેની સીધી અસર જોવા મળી રહી છે. અઠવાડિયામાં 5 દિવસ બેંકિંગ કામગીરી લાગુ કરવાની માગ સાથે બેંક કર્મચારીઓ આજે કામથી અળગા રહ્યા છે. અમદાવાદ સહિત રાજકોટ, સુરત અને વડોદરામાં પણ બેંક કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા વિવિધ સ્થળોએ ભેગા થઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે તેમની લાંબા સમયથી પડતર રહેલી માગણીઓનો ઉકેલ લાવવામાં આવે અને બે વર્ષ અગાઉ કરવામાં આવેલા MoUનો પણ અમલ કરવામાં આવે.
ADVERTISEMENT

અમદાવાદમાં આજે બેંક કર્મચારીઓ એક દિવસીય હડતાળ પર હોવાથી સામાન્ય ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કર્મચારીઓ અઠવાડિયામાં 5 દિવસ વર્કિંગ કરવાની માગ સાથે હડતાળમાં જોડાયા છે. બીજી તરફ રાજકોટમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ હડતાળ અને વિરોધ નોંધાવ્યો છે. નાના મવા નજીક આવેલી પંજાબ નેશનલ બેંક ખાતે નેશનલ બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને પોતાની પડતર માગણીઓને લઈને વિરોધ કર્યો હતો. બેંક કર્મચારીઓની મુખ્ય માગમાં અઠવાડિયામાં 5 દિવસ બેંકિંગ કામગીરી લાગુ કરવાની સાથે બેંકોમાં ક્લાર્ક અને સબ-સ્ટાફની પૂરતી ભરતી કરવાની માગ પણ સામેલ છે. આ ઉપરાંત ગ્રેચ્યુઇટી કાયદા હેઠળની મહત્તમ મર્યાદામાં વધારો કરવાની પણ કર્મચારીઓ દ્વારા માગ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સુરતમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ આજે એક દિવસીય હડતાળમાં જોડાયા છે. સપ્તાહમાં 5 દિવસ વર્કિંગ કરવાની માગ સાથે કર્મચારીઓ કામથી અળગા રહ્યા હતા. સુરતમાં વિવિધ યુનિયનોની કચેરીઓ ખાતે કર્મચારીઓ ભેગા થયા હતા અને પોતાની માગણીઓ માટે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ જો તેમની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. વડોદરામાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોની એક દિવસીય હડતાળની અસર જોવા મળી છે. અહીં પણ બેંક કર્મચારીઓ સપ્તાહમાં 5 દિવસ વર્કિંગ કરવાની માગ સાથે હડતાળમાં જોડાયા છે. વડોદરાના વિવિધ યુનિયનોના કર્મચારીઓ સયાજીગંજના સુરજ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં ભેગા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT

આ હડતાળનો એક અલગ જ પાસો એ છે કે સામાન્ય ગ્રાહકોમાં પણ તેને લઈને મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. બેંક કર્મચારીઓની માગ છે કે અઠવાડિયામાં 5 દિવસ જ કામ કરવામાં આવે, પરંતુ બીજી તરફ ગ્રાહકો માટે એક દિવસ બેંક બંધ રહેવાનો અર્થ સીધો બેંકિંગ કામ અટકી જવું છે. ખાસ કરીને ત્રણ દિવસની રજાના મેળમાં જ આ હડતાળ આવી હોવાથી ગ્રાહકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. પૈસા ઉપાડવાથી લઈને ચેક, ડિપોઝિટ અને અન્ય જરૂરી બેંકિંગ કામ માટે બેંક પર નિર્ભર લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
ADVERTISEMENT
બેંક યુનિયનોના જણાવ્યા મુજબ રાજ્યભરમાં અંદાજે 75 હજાર બેંક કર્મચારીઓ આ એક દિવસીય હડતાળમાં જોડાયા છે. જેના કારણે આશરે 5 હજાર 400 બેંક શાખાઓ બંધ રહેતા અંદાજે 15 હજાર કરોડ રૂપિયાના વ્યવહારો અટકી પડ્યા છે. એક તરફ કર્મચારીઓ પોતાની માગણીઓને લઈને રસ્તા પર ઉતર્યા છે તો બીજી તરફ બેંકના કામ માટે આવતા ગ્રાહકોને એક દિવસ વધુ રાહ જોવી પડી રહી છે.
ADVERTISEMENT
બેંક કર્મચારીઓના વિરોધ પાછળનો મુખ્ય મુદ્દો 5 દિવસની બેંકિંગ કામગીરીનો છે. કર્મચારીઓનું કહેવું છે કે બેંકિંગ ક્ષેત્રમાં કામનું ભારણ વધી રહ્યું છે અને લાંબા સમયથી 5 દિવસ વર્કિંગની માગ કરવામાં આવી રહી છે. બે વર્ષ અગાઉ સરકાર સાથે MoU કરવામાં આવ્યું હોવા છતાં તેનો અમલ થયો નથી, જેના કારણે હવે બેંક યુનિયનો દ્વારા હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
જો આ માગણીઓનો ઉકેલ નહીં આવે તો આ માત્ર એક દિવસની હડતાળ સુધી સીમિત રહેવાની નથી. બેંક યુનિયનો દ્વારા 28 અને 30 સપ્ટેમ્બરે ફરી હડતાળ કરવાની ચીમકી આપવામાં આવી છે. આ ઉપરાંત જો માગણીઓ સંતોષવામાં નહીં આવે તો ભવિષ્યમાં અચોક્કસ મુદ્દતની હડતાળ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
એક તરફ બેંક કર્મચારીઓ કહી રહ્યા છે કે વર્ષોથી ચાલતી માગણીઓ હવે સાંભળવી જરૂરી છે, તો બીજી તરફ હડતાળના કારણે ગ્રાહકોના અટકેલા કામ પણ તેમની મુશ્કેલી વધારી રહ્યા છે. એટલે સવાલ માત્ર એક દિવસ બેંક બંધ રહેવાનો નથી, પરંતુ બેંક કર્મચારીઓ અને ગ્રાહકો બંનેની મુશ્કેલીનો કાયમી ઉકેલ ક્યારે આવશે તેનો છે. હવે સરકાર અને બેંક યુનિયનો વચ્ચે વાતચીતથી કોઈ રસ્તો નીકળે છે કે પછી આગામી દિવસોમાં હડતાળનું આંદોલન વધુ ઉગ્ર બને છે, તેના પર સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT