જાહેર માર્ગ, ફૂટપાથ પર ઘાસચારો વેચવા પર મૂક્યો પ્રતિબંધ
જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા પર લગાવ્યો પ્રતિબંધ
નિયમોનું ઉલ્લંધન કરનાર સામે કરાશે કાર્યવાહી
રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ત્યારે હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાત દિવસ 24 કલાક AMCની ઢોર પાર્ટી સતત ત્રણ દિવસ ઢોર પકડવાનું કામ કરે તેવો આદેશ આપ્યો હતો. ત્યારે હવે અમદાવાદ બાદ રાજકોટ પોલીસ કમિશનર રાજુભાગર્વે જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ કમિશનરે જાહેર માર્ગ પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે.
જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા ઢોરનો ત્રાસ અટકાવવા મોટો નિર્ણય લેવાયો છે. જાહેર માર્ગ, ફૂટપાથ પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા પર લગાવ્યો પ્રતિબંધ મુકાયો છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરાશે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ.
સુરતમાં તબેલા તોડી પડાયા
તો આ તરફ હાઇકોર્ટની ટકોર બાદ સુરત મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી. ગેરકાયદે ઊભા કરાયેલા તબેલા તોડી પાડવામાં આવ્યા.
4 દિવસમાં 50 તબેલા તોડી પાડવામાં આવ્યા. રાંદેર, વરાછા અને જહાંગીરપુરા, કાપોદ્રા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી અને આગામી દિવસોમાં પણ મનપાની ઝુંબેશ યથાવત રહેશે. SRP અને પોલીસની ટીમો સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાપી નદીના કિનારે આવેલા 26 તબેલા હટાવવામાં આવ્યા.
જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા લોકોને પકડો-અમદાવાદ પોલીસ કમિશનર
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું પ્રસિદ્ધ કરતા જણાવ્યું છે કે, 'જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા લોકોને પકડો.' તદુપરાંત રખડતી ગાયોને પકડવામાં મદદ કરવાની પણ પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ACPને ફિલ્ડમાં હાજર રહીને વધુમાં વધુ કાર્યવાહી કરાવવા સૂચના આપવામાં આવી છે. વધુમાં તમને જણાવી દઇએ કે, જો કોઈ પીઆઈ ગાયો પકડવાની કામગીરીમાં નિષ્કાળજી રાખશે તો તેની સામે ગંભીર પ્રકારના શિક્ષણાત્મક પગલાં લેવાશે. પ્રસિદ્ધ કરેલા આદેશમાં જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઝુંબેશ ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવાની પણ સૂચના અપાઇ છે.
હાઈકોર્ટે સરકારને પણ કરી હતી આકરી ટકોર
ગુજરાત હાઇકોર્ટે રખડતા પશુને લઈ રાજ્ય સરકાર વિરૂદ્ધ આકરું વલણ અપનાવ્યું હતું. હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે, 'સાંજ સુધીમાં પગલા લો નહીં તો કોર્ટે આકરો હુકમ કરવો પડશે. રખડતા પશુના કારણે કોઈનો જીવ ન જવો જઈએ'. જે બાદ કેબિનેટ બેઠકમાં પશુપાલકોની મનમાની સામે સરકારે નાગરિકોના હિતમાં કેટલાક નિર્ણય લીધા હતા.