અમદાવાદ સહિત મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની છે. ત્યારે વાત કરીએ અમદાવાદની તો, તંત્ર દ્વારા આ અંગે ગેરકાયદે દબાણો પણ તવાઇ બોલાવવામાં આવી રહી છે. તો બીજી તરફ ભીડ વાળી જગ્યાએ પર પે પાર્કિંગ સુવિધાઓ શરૂ કરવામાં આવી. તેમ છતાં હજી પણ શહેરમાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા માટે અમદાવાદ મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ચૂંટણી પહેલા 5 બ્રિજો બનાવશે મનપા
જી, હા અમદાવાદ શહેરમાં ટ્રાફિકમાંથી મુક્તિ મેળવવા માટે મનપા દ્વારા વધુ 5 ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પહેલા 5 ઓવરબ્રિજ 462 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. ઓવરબ્રિજ બનતા 18 લાખથી વધુ લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. 3 રેલવે ક્રોસિંગ અને બે મોટા જંક્શન પર બ્રિજ બનાવવામાં આવશે. અમદાવાદ મનપા દ્વારા કામગીરી શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. ટેન્ડર અને વર્ક ઓર્ડરની પ્રક્રિયા પણ પૂર્ણ કરાશે.
ફૂટ ઓવરબ્રિજનું કરાયું લોકાર્પણ
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે રૂપિયા 74 કરોડ 29 લાખના ખર્ચે ફુટ ઓવર બ્રિજ તૈયાર કરાયો. જેને PM મોદીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર નવનિર્મિત અટલ ફૂટઑવર બ્રિજનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ ફૂટ ઓવર બ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લેવામાં આવી છે. તે ગ્લાસ ફુટ ઓવર બ્રિજ, સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે. આઇકોનિક બ્રિજ રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે. આ બ્રિજ એક એન્જિનિયરિંગ અજાયબી તરીકે ઓળખાશે.
સુરતમાં ઓવરબ્રિજ બનશે
સુરત શહેરમાં કતારગામના ગજેરા સર્કલથી રત્નમાલા જંક્શન પર નવો એક બ્રિજ બનવા જઇ રહ્યો છે. જેની પાછળ અંદાજિત 62 કરોડનો ખર્ચ થશે. નવા બ્રિજનું નિર્માણ થતા હવે કતારગામ-અમરોલીને જોડતા બ્રિજ નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી થઇ જશે. મહત્વનું છે કે સુરતમાં રત્નમાલા જંકશનથી ગજેરા જંકશન પર બ્રિજ બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ હતી.જેમાં અંદાજીત 82.65 કરોડ સામે એક કન્ટ્રકશન કંપની દ્વારા 62.84 કરોડની ઓફર કરવામાં આવી હતી. આ બ્રિજ બનાવવામાં 30 મહિના જેટલો સમય લાગશે. નવા બ્રિજનું નિર્માણ થતા મુંબઈ- અમદાવાદ નેશનલ હાઈવે પર જવા - આવવા માટે અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આ ફ્લાયઓવર બ્રિજ આર્શીવાદ રૂપ પુરવાર થશે.