હવાના પ્રદુષણ એટલે કે એર પોલ્યુશનથી આપણા આરોગ્યને ગંભીર અસર થાય છે તે બધા જાણે છે. નવા સંશોધન મુજબ એર પોલ્યુશનથી લોકોના માનસિક આરોગ્ય પણ કથળે છે. ડિપ્રેશન સહિતની કેટલીક માનસિક બિમારી અને પ્રદુષણને સીધો સંબંધ છે તેમ વિજ્ઞાનીઓ કહે છે.
અમેરિકા અને ડેન્માર્કના લાખો લોકોના ડેટાનો અભ્યાસકર્યા બાદ વિજ્ઞાનીઓ આ તારણ પર આવ્યા છે. લંડનની કિંગ્સ કોલેજના વિજ્ઞાની હેલન ફિશર કહે છે કે આ દિશામાં પહેલા કોઇ ઠોસ સંશોધન થયા નથી. વિજ્ઞાનીઓએ લોકો કયા વિસ્તારમાં રહે છે અને ત્યાં વસતીની ગીચતા તેમ જ એર પોલ્યુશનનું પ્રમાણ કેટલું છે તે બધી વિગતોનો આધાર લીધો હતો.
હવામાં રહેલા અતિ સુક્ષ્મ પાર્ટિકલ્સ મગજની રક્ષણાત્મક સિસ્ટમ (બ્લડ બ્રેઇન બેરિયર)ને પણ પાર કરીને તેના કોષોમાં ઘુસી જાય છે. પોલ્યુશનના કારણે શરીરમાં થતા ઇન્ફલેમેશનની અસર પણ સ્ટ્રેસ સામે મગજના રિસ્પોન્સ પર થાય છે.
વિજ્ઞાનીઓ માને છે કે પોલ્યુશનથી મગજના કેમિકલમાં ફેરફાર થાય છે. જેના કારણે માનસિક બિમારી વધે છે. આ દિશામાં વધુ સંશોધનથી માનસિક બિમારીઓના ઇલાજની પણ નવી દિશા મળી શકે છે. કેટલાક દર્દીઓને પોલ્યુશનયુકત વાતાવરણથી બચાવવાથી પણ તેની બિમારી ઠીક થઇ જશે. તેમ જ લાંબો સમય દવાઓ લેવાની પણ જરુર નહીં રહે.
અત્રે ઉલ્લ્ખનીય છે કે ભારતમાં અમદાવાદ સહિતના મહાનગરોમાં પોલ્યુશનની સમસ્યા ગંભીર બની રહી છે. અમદાવાદ જેવા શહેર કે જયાં સતત ધુળ ઉડતી હોય છે ત્યાં ડસ્ટ પાર્ટિકલ્સનું પ્રમાણ ઘણીવાર ભયજનક રીતે ઉંચું જાય છે.