કચ્છના અંજારમાં એક પરિવારને જીવતો સળગાવવાનો પ્રયાસ
અંજારના ખોખરા ગામે મકાનને લગાવવામાં આવી આગ
પરિવારના 3 સભ્યો ઘરમાં સૂતા હતા ત્યારે લગાવી આગ
કચ્છના અંજારમાં એક પરિવારને જીવતો સળગાવવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. અંજારના ખોખરા ગામનો આ બનાવ છે. ગામના એક મકાનને આગ લગાવવામાં આવી જેમાં પરિવારના 3 સભ્યો સૂતા હતા. જો કે બુમાબુમ થતા પિતા આવી જતા ત્રણેય સભ્યોનો બચાવ થયો હતો. ઘટનાને પગલે પરિવારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
અંગત અદાવતમાં ઘર સળગાવ્યું
ઘટના પાછળનું કારણ અને જવાબદાર કોણ તે જાણી શકાયું નથી પરંતુ પ્રેમ લગ્નની અદાવતમાં પરિવારને સળગાવવાનો પ્રયાસ થયો હોવાની પરિવારે આશંકા સેવી છે. 10 મહિના પહેલા જ પુત્રએ પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે હાલમાં ત્રણેયને ભૂજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. આ અંગે પરિવારના સભ્યએ વાત કરતા જણાવ્યું કે 29 તારીખે રાતે બે વાગે આ ઘટના બની. જે વિરોધ પક્ષે કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી. મારા બે છોકરા અને ઘરવાળીને મારી નાંખવાનો પ્રયત્ન હતો.
10 મહિના પહેલા પુત્રએ કર્યા હતા પ્રેમલગ્ન
ઘટનાને પગલે અંજાર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે હાલમાં પરિવારનું નિવેદન લઇને શંકાસ્પદ સામે સકંજો કસ્યો છે. આરોપીઓને શોધવા માટે પોલીસ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરાયા છે.