IRCTC : રેલ્વે બોર્ડ ગુજરાત અને રાજસ્થાનવાસીઓને મોટી ભેટ આપવા જઈ રહ્યુ છે, ઉદયપુર-અમદાવાદ વચ્ચે તૈયાર કરાયેલ રેલ્વે ટ્રેકમાટે 3 ટ્રેનોને મંજૂરી આપવામાં આવી છે.
IRCTCએ આપી ગુજરાતીઓને ભેટ
ઉદયપુર-અમદાવાદ રેલ્વે ટ્રેક પર 3 ટ્રેનને મંજૂરી
દિવાળીમાં લોકોની રાહનો આવી શકે છે અંત
અમદાવાદ-ઉદયપુર વચ્ચે જલ્દી જ દોડશે ટ્રેન
ઉદયપુર-અમદાવાદ ગેજ કન્વર્ઝનનું કામ પૂર્ણ થયા બાદ નવી ટ્રેનો દોડવાની રાહ જોઈ રહી છે. દિવાળી સુધી આ રાહનો અંત આવી શકે તેમ છે. રેલ્વે મંત્રાલયે આ નવી રેલ્વે લાઇન પર ત્રણ ટ્રેનો ચલાવવાની મંજૂરી આપી છે. રેલવે બોર્ડે ઉદયપુરથી અસારવા બે ટ્રેન અને જયપુરથી અસારવા વાયા ઉદયપુર એક ટ્રેનને મંજૂરી આપી છે. આ ત્રણેય ટ્રેનોનું સમયપત્રક પણ રેલ્વે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે તેમના સ્ટોપેજ સ્ટેશન પણ નક્કી કરવામાં આવ્યા છે. ઉદયપુરના સાંસદ અર્જુન લાલ મીણા પણ સતત પ્રયાસ કરી રહ્યા છે કે દિવાળી પહેલા આ નવી રેલ્વે લાઇન શરૂ થઈ જાય. આવી સ્થિતિમાં ટ્રેનનું શિડ્યુલ જાહેર થતાં તેની અપેક્ષા વધી ગઈ છે.
અમદાવાદ-ઉદયપુર ટ્રેનનું શિડ્યુલ કરાયું જાહેર
રેલ્વે અનુસાર, ટ્રેન નંબર 20963 દરરોજ સવારે 5.30 વાગ્યે ઉદયપુરથી ઉપડશે અને સવારે 10.55 વાગ્યે અસારવા પહોંચશે. આ જ ટ્રેન અસારવાથી બપોરે 2.30 વાગ્યે ટ્રેન નંબર 20964 તરીકે ઉપડશે અને રાત્રે 8 વાગ્યે ઉદયપુર પહોંચશે. તેવી જ રીતે ઉદયપુરથી અસારવા માટે બીજી ટ્રેન નંબર 19703 દરરોજ સાંજે 5 વાગ્યે ઉદયપુરથી ઉપડશે અને રાત્રે 11 વાગ્યે અસારવા પહોંચશે. વળતી દિશામાં, ટ્રેન નંબર 19704 અસારવાથી સવારે 6.30 વાગ્યે ઉપડશે અને બપોરે 12.30 વાગ્યે ઉદયપુર પહોંચશે. ઉદયપુર સિટી સ્ટેશન ઉપરાંત ઉપરોક્ત બે ટ્રેનોના ઉમરાડા, જવર, જેસમંદ રોડ, સેમરી, ઋષભદેવ રોડ, ડુંગરપુર, બિછીવાડા, શામળાજી રોડ, હિંમતનગર, પ્રાણજીત, તલોદ, નાડોલ, દહેગામ, નરોડા, સરદારગ્રામ ખાતે સ્ટોપેજ રહેશે.
આ હશે જયપુર-અસારવા ટ્રેનનું શિડ્યુલ
આ નવી રેલ લાઇન પર જયપુરથી અસારવા વાયા ઉદયપુર તરીકે એક ટ્રેનને પણ મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત ટ્રેન નંબર 12981 જયપુરથી સાંજે 7.35 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.45 કલાકે અસારવા પહોંચશે. આ જ ટ્રેન નંબર 12982 અસારવાથી સાંજે 6.45 વાગ્યે ઉપડશે અને સવારે 7.45 વાગ્યે જયપુર પહોંચશે. આ ટ્રેનનો હોલ્ટ ફૂલેરા જંક્શન, કિશનગઢ, અજમેર, નસીરાબાદ, ભીલવાડા, ચંદેરિયા, માવલી જંકશન, રાણાપ્રતાપ નગર, ઉદયપુર, જાવર, ડુંગરપુર, શામળાજી રોડ, હિંમતનગર, નાડોલ, દહેગાંવ અને સરદારગ્રામ પર રહેશે.
દિવાળી સુધી મળી શકે છે મોટી ભેટ
રેલવે બોર્ડે ત્રણ ટ્રેનોનું શિડ્યુલ જાહેર કર્યું છે, પરંતુ ટ્રેનના સંચાલનની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. જોકે, શિડ્યુલ જાહેર થયા બાદ હવે આ નવી રેલ્વે લાઇન પર ગમે તે ઘડીએ ટ્રેન દોડવાનું શરૂ થાય તેવી ધારણા છે. ટ્રેનોના શિડ્યુલ ફિક્સ થવાથી ઉદયપુરવાસીઓ અને ગુજરાતવાસીઓને દિવાળી સુધી મોટી ભેટ મળી શકે તેવી અપેક્ષા છે.