આ પછી રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરી અને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે રાહુલને આ દરમિયાન લોકશાહી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તમે કયા દેશની વાત કરો છો, ભારતમાં કોઈ લોકશાહી નથી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અહીં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ભારતમાં લોકશાહી નથી, તે ફક્ત તમારા વિચારોમાં છે, વાસ્તવિકતામાં એવું કંઈ નથી.
કૃષિ કાયદા તાત્કાલિક પાછા લેવામાં આવે: રાહુલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિને કહ્યું છે કે આ કાયદા દ્વારા ખેડૂતોને નુકસાન થવા જઈ રહ્યું છે, દેશ જોઈ રહ્યો છે કે ખેડૂત કાયદાની વિરુદ્ધ ઉભો છે. હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે ખેડૂત હટશે નહીં, કાયદો પાછો લેવામાં આવે ત્યાં સુધી કોઈ પાછું નહીં હટે.
રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે સંસદનું સંયુક્ત સત્ર બોલાવવું જોઈએ અને આ કાયદાઓને તાત્કાલિક પાછા ખેંચવા જોઈએ. રાહુલે કહ્યું કે આજે ખેડુતો દુઃખ અને વેદનામાં છે, કેટલાક ખેડુતો મરી ગયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મેં કોરોના વિશે કહ્યું હતું કે નુકસાન થશે, કોઈએ મારી વાત સાંભળી નહીં. જો આ કાયદાઓ આજે પાછા ખેંચવામાં નહીં આવે, તો માત્ર કોઈ પક્ષને નહીં પરંતુ આખા દેશને નુકસાન ભોગવવું પડશે.
PM મોદી તેમના સમૃદ્ધ ઉદ્યોગપતિઓને ટેકો આપી રહ્યા છે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીનું એક જ લક્ષ્ય છે, તેઓ તેમના સમૃદ્ધ ઉદ્યોગપતિઓને ટેકો આપી રહ્યા છે. જે પણ નરેન્દ્ર મોદીની વિરુદ્ધ ઉભા છે, તે તેમના માટે મોદી સરકાર આ રીતે બોલે છે. જો આવતીકાલે મોહન ભાગવત પણ પીએમ મોદીની વિરુદ્ધ ઉભા રહેશે, તો તેઓ કહેશે કે ભાગવત પણ આતંકવાદી છે.
કોંગ્રેસનો હલ્લા બોલ
ગુરુવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ કૃષિ કાયદાના મુદ્દે હંગામો કર્યો છે. કોંગ્રેસે આજે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવાની હાકલ કરી હતી, પરંતુ તેમને તેમ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
અંતે, પરવાનગી મળ્યા બાદ રાહુલ ગાંધી સહિત માત્ર ત્રણ નેતાઓ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા. કોંગ્રેસ દ્વારા કૃષિ કાયદો પાછો ખેંચવાના મુદ્દે રાષ્ટ્રપતિને એક નિવેદન આપવામાં આવ્યું હતું, સાથે એક કાગળ ઉપર આશરે બે કરોડ ખેડુતોની સહી હતી.
પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી
કોરોનાને કારણે પોલીસે નવી દિલ્હીમાં ધારા 144 લગાવી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના નેતાઓને કૂચ કાઢવાની જીદે ચડ્યા હતા. ત્યાર બાદ નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની પણ આ સમયગાળા દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને કારમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મોદી સરકાર પોતાની જીદ ઉપર અડી ગઈ છે. આજે જે પણ સરકારને સવાલ પૂછે છે તેને દેશદ્રોહીનું ઉપનામ આપી દેવામાં આવે છે. પ્રિયંકાએ કહ્યું કે સરકારના દિલમાં ખેડૂતો માટે કોઈ ઈજ્જત નથી.