સામાન્યતઃ મોટા ભાગે લોકો જ્યારે સૂઇને ઊઠે છે તો પોતાનાં સપનાં ભૂલી જાય છે. હવે વિજ્ઞાનીએ અભ્યાસ કરીને તેને યાદ રાખવાની રીત શોધી લીધી છે. વિજ્ઞાનીએ દાવો કર્યો છે કે વિટામીન બી-૬ની મદદથી લોકો હવે પોતાનાં સપનાંને યાદ રાખી શકશે.
દિવસ પૂર્ણ થાય ત્યાં સુધી સપનાંની સ્મૃતિઓ મગજમાં જળવાયેલી રહેઃ ડેનહોમ ઓસ્પી
આ અભ્યાસ માટે સંશોધકોએ ૧૦૦ લોકોને એકઠા કર્યા હતાં
યુનિવર્સિટી સ્કૂલ ઓફ સાઇકોલોજીએ કર્યું સંશોધન
આ અભ્યાસ પરસેપ્ચ્યુઅલ એન્ડ મોટર સ્કીલ મેગેઝિનમાં પ્રકાશિત થયો છે. આ અભ્યાસ માટે સંશોધકોએ ઓસ્ટ્રેલિયાના ૧૦૦ લોકોને એકઠા કર્યા હતા, જેમને સતત પાંચ દિવસ સુધી સૂતા પહેલાં વિટામીન બી-૬નાં સપ્લિમેન્ટ અપાયા.
આ અભ્યાસના લેખક અને યુનિવર્સિટી સ્કૂલ ઓફ સાઇકોલોજીના ડેનહોમ ઓસ્પીએ જણાવ્યું કે અભ્યાસના પરિણામ જણાવે છે કે પ્લેસબોની સરખામણીમાં વિટામીન બી-૬ની મદદથી લોકોનાં સપનાંને યાદ રાખવાની ક્ષમતામાં સુધારો થયો છે. પ્લેસબો એવી ચિકિત્સા છે જેનો કોઇ વૈજ્ઞાનિક આધાર ન હોય. આવી ચિકિત્સા પદ્ધતિ અથવા તો પ્રભાવહીન હોય છે અથવા તેમાં કોઇ સુધારો દેખાતો નથી અથવા તેનું કારણ કોઇ અન્ય વસ્તુ હોય છે.
તેમણે કહ્યું કે, વિટામિન બી-૬થી લોકોનાં સપનાંઓની જીવંતતા અને વિચિત્રતા પ્રભાવિત થાય છે અને તેમની ઊંઘની પેટર્ન તેમજ અન્ય પહેલું પ્રભાવિત થાય છે. ઓસ્પીએ કહ્યું કે આ પહેલો અભ્યાસ છે જેમાં સપનાં પર વિટામિન બી-૬ના પ્રભાવોની અસર મોટા સ્તર પર કરાઇ. સંશોધકોએ એમ પણ જણાવ્યું કે સૂતા પહેલા માત્ર ૨૪૦ ગ્રામ વિટામીન બી-૬ લેવાથી સપનાંઓને યાદ રાખવામાં મદદ મળે છે.
સંશોધનમાં ભાગ લેનાર એક વ્યક્તિએ જણાવ્યું કે સૂતા પહેલા વિટામિન બી-૬ લેવાથી તેને પોતાનાં સપનાં સારી રીતે યાદ રાખવામાં મદદ મળી એટલું જ નહીં દિવસ પૂરો થાય ત્યાં સુધી પણ સપનાંની સ્મૃતિઓ તેના મગજમાં જળવાયેલી રહી. વિટામીન બી-૬ અનાજ, ફળ, શાકભાજી, ખાસ કરીને પાલક અને બટાકાં, દૂધ, પનીર, ઇંડાં અને માછલીમાંથી મળે છે.