બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નર્મદાની પરિક્રમા કરવાનું વિચારતા હોવ તો પહેલાં આટલું જાણી લેજો, નહીંતર હેરાન થઇ જશો!
Last Updated: 11:08 AM, 24 March 2026
નર્મદા જિલ્લામાં ઉત્તરવાહિની પંચકોષી પરિક્રમા 19 માર્ચથી પ્રારંભ થઈ છે. જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે. પરિક્રમા દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા સર્જાય નહીં તે માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અધિકારીઓ, સંબંધિત એજન્સીઓના પ્રતિનિધિઓ અને બોટ સંચાલકો સાથે સમન્વય બેઠક યોજાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભક્તોને અપીલ કરવામાં આવી છે કે, શનિવાર, જાહેર રજાઓ અથવા ધાર્મિક તહેવારોની પૂર્વ સંધ્યાએ ભારે ભીડ ટાળવા માટે શક્ય હોય તો મંગળવાર, બુધવાર અથવા ગુરુવાર જેવા સામાન્ય દિવસોમાં પરિક્રમા માટે આવવું, જેથી તમામ શ્રદ્ધાળુઓને વધુ સુવ્યવસ્થિત અને સગવડભરી સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય.
ADVERTISEMENT
જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી દ્વારા માહિતી આપવામાં આવી છે કે શનિ-રવિવાર તથા રામનવમીની રજાઓ દરમિયાન વધતા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડ નિયંત્રણ માટે પોલીસ વિભાગ દ્વારા સ્ટેગરિંગ પદ્ધતિ અમલમાં મુકવામાં આવશે, જેના હેઠળ પરિક્રમાર્થીઓને ટુકડે-ટુકડે આગળ વધવા દેવામાં આવશે. આ વ્યવસ્થા તિલકવાડા ત્રણ રસ્તા નજીક તેમજ વાવડી રોડથી રામપુરા જતાં માર્ગ પર લાગુ કરવામાં આવશે. અધિકારીઓએ ભક્તોને અપીલ કરી છે કે જો સ્ટેગરિંગ પદ્ધતિના કારણે એક-બે કલાક રાહ જોવી પડે તો સહકાર આપીને શાંતિપૂર્ણ રીતે રાહ જુએ, જેથી તમામ શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધા જાળવી શકાય.
*ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા-૨૦૨૬
— Collector Narmada (@CollectorNar) March 19, 2026
નર્મદે હરના જય ઘોષ સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો ભવ્ય પ્રારંભ : ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસથી જ શ્રદ્ધાળુઓ ઉમટ્યા*
આજથી શરૂ થયેલી આ ૧૪ કિ.મી.ની ઉત્તરવાહિની પરિક્રમાનું ભાવિકોમાં અનેરૂં મહાત્મ્ય pic.twitter.com/n6xBMdWNFu
ADVERTISEMENT
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમા માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડની સત્તાવાર વેબસાઈટ yatradhamportal.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું હવે ફરજિયાત બનાવાયું છે. તાજેતરમાં બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને, 25 થી 30 માર્ચ દરમિયાન માત્ર તે જ શ્રદ્ધાળુઓને પરિક્રમા માટે જવા દેવામાં આવશે જેમણે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યું હશે. વધુમાં, આવનાર જાહેર રજાના દિવસો જેમ કે 2, 3, 4, 11 અને 13 એપ્રિલે પણ યાત્રાળુઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. આ નિર્ણય યાત્રાધામમાં ભીડ નિયંત્રણ અને શ્રદ્ધાળુઓની સુવિધા તથા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે.
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા-2026
— Collector Narmada (@CollectorNar) March 23, 2026
પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને શનિવાર કે જાહેર રજાના દિવસ કરતા સોમ-મંગળ-બુધ-ગુરૂવાર જેવા સામાન્ય દિવસોમાં આવે તેવી નર્મદા જિલ્લા વહીવટી તંત્રની અપીલ pic.twitter.com/8bbwmcbs1e
ADVERTISEMENT
નદી પાર કરતી વખતે ભક્તોની સલામતીને પ્રાથમિકતા આપતા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. બોટમાં બેસતી વખતે દરેક શ્રદ્ધાળુએ ફરજિયાત રીતે લાઈફ જેકેટ પહેરવું પડશે. જે શ્રદ્ધાળુઓ આ નિયમનું પાલન નહીં કરે તેમની પાસેથી દંડ વસૂલવાની પણ વિચારણા ચાલી રહી છે. પરિક્રમા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. તંત્રએ તમામ ભક્તોને આ નિયમોનું પાલન કરીને સહકાર આપવા અપીલ કરી છે જેથી પરિક્રમા સુરક્ષિત, સુચારુ અને ભક્તિમય માહોલમાં પૂર્ણ થઈ શકે.
આ પણ વાંચોઃ અમરેલી લવજેહાદ: પિતાએ કહ્યું “મારી દીકરીને 25 વર્ષ મોટી કરી, હવે લઈ ગયા”
ADVERTISEMENT
પરિક્રમાના આરંભથી જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 18મી માર્ચે પ્રથમ દિવસે રાત્રે લગભગ 2,000 પરિક્રમાવાસીઓ નોંધાયા હતા, જે સંખ્યા 19મી માર્ચે વધીને 9,000 થઈ ગઈ હતી. 20મી માર્ચે આ આંકડો વધુ વધીને 14,000 પર પહોંચી ગયો હતો. ત્યારબાદ 21મી માર્ચ અને શનિવારે તો ભક્તોની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો, જ્યાં એક લાખથી વધુ ભક્તોએ પરિક્રમામાં ભાગ લીધો હતો. શનિવારે રાત્રિના સમયે ભીડને ધ્યાનમાં રાખીને તંત્રને ચાર નવી બોટોની વ્યવસ્થા કરવી પડી હતી, છતાં બોટમાં બેસવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. આ બધાની વચ્ચે તંત્ર ખડે પગે સેવા માટે તત્પર રહ્યું હતું અને લાખોની સંખ્યામાં ભક્તોએ શાંતિપૂર્ણ રીતે પરિક્રમા પૂર્ણ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.