ડાયાબિટીસ, કેન્સર અને હૃદય સંબંધી રોગોને રોકવા માટે જાડા અનાજ અને તુલસીના મિશ્રણની બનેલી કેક અને બિસ્કિટ ફાયદાકારક બની શકશે. આ કેક અને બિસ્કિટ રોગો સામે લડશે. તે સ્વાદિષ્ટ પણ હશે અને પૌષ્ટિક પણ. હરિયાણાની ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટીના ફૂડ સાયન્સ એન્ડ ન્યૂટ્રિશિયન ડિપાર્ટમેન્ટના વિજ્ઞાનીઓએ આ બિસ્કિટ અને કેક તૈયાર કર્યાં છે.
અનાજ અને તુલસી પાઉડરનું મિશ્રણ આપે છે રોગો સામે રક્ષણ
વિજ્ઞાનીઓએ બનાવ્યા પૌષ્ટિક બિસ્કિટ અને કેક
ડાયાબિટીસ, કેન્સર અને હૃદય સંબંધી બીમારીઓ રોકવામાં મદદરૂપ
વિજ્ઞાનીઓએ તે માટે જાડા અનાજમાં પાંચ ટકા તુલસી પાઉડરનો પ્રયોગ કર્યો, જેના કારણે બિસ્કિટ અને કેકમાં ન્યૂટ્રિશિયન વેલ્યૂ ખૂબ જ વધી ગઇ છે. આ રિસર્ચ કરનાર વિજ્ઞાની ડો.સરોજ દિહયા અને સિનિયર રિસર્ચ ફેલો સુમને જણાવ્યું કે તુલસી મિક્સ કરેલાં ઉત્પાદનનો પ્રયોગ કરવાથી ડાયાબિટીસ, કેન્સર અને હૃદય સંબંધી બીમારીઓ રોકવામાં મદદ મળશે. કુપોષણની સમસ્યા હોય તો રોજ આ ઉત્પાદનોનું સેવન કરવાથી આ સમસ્યા પણ રોકી શકાશે.
ડો.દહિયાએ જણાવ્યું કે એક વર્ષ પહેલાં આ રિસર્ચ શરૂ થયું હતું તે હજુ સુધી ચાલુ છે. તેને ખૂબ જ પ્રશંસા મળી છે. ઉદ્દેશ એ છે કે આ પ્રકારે ઉત્પાદન બનાવવાનું શીખીને મહિલાઓ અને ખેડૂતો પોતાના બિઝનેસની શરૂઆત કરે. તેમણે કહ્યું કે ઘણી મહિલાઓ અને ખેડૂતો આ માટે અમારી પાસે આવી રહ્યા છે. તેમને ખૂબ જ જલ્દી ટ્રેનિંગ અપાશે, જેથી આ ઉદ્દેશ પૂરો કરી શકાય.
જવ, જુવાર, બાજરી અને ચણાદાળ સાથે તુલસી મિક્સ કરાશે
60 ટકા બાજરી, 10 ટકા જુવાર અને જવ, 15 ટકા ચણાદાળનું મિશ્રણ કરીને તેમાં તુલસીનાં પત્તાંને સૂકવીને તૈયાર કરેલો પાઉડર મિક્સ કરવામાં આવ્યા. આ મિશ્રણ સાથે પાંચ ટકા તુલસી પાઉડર ભેળવવામાં આવશે. ત્યારબાદ બનેલાં કેક અને બિસ્કિટ ટેસ્ટ કરવામાં આવ્યાં તો જાણવા મળ્યું કે તેની ન્યુટ્રિશિયન વેલ્યૂ અનેકગણી વધી ગઇ હતી.