ભારતીય રિઝર્વ બેંકની ત્રણ દિવસીય મોનેટરી પોલિસી કમિટી (monetary policy committee)ની બેઠકનો આજે ત્રીજો દિવસ છે. RBI ગવર્નર શક્તિકાંત દાસ આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરશે. આ બેઠક એટલા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ બેઠક બજેટ પછીની પ્રથમ અને નાણાકીય વર્ષની છેલ્લી બેઠક છે. આવી સ્થિતિમાં એ જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કે શું RBI નીતિ વ્યાજ દર એટલે કે રેપો રેટમાં વધારો કરે છે કે નહીં. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે સરકાર પોલિસી રેટમાં કોઈ વધારો નહીં કરે, જ્યારે કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે સરકાર પોલિસી રેટમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કરી શકે છે.
S&Pનું શું કહેવું છે?
S&P ગ્લોબલ રેટિંગ્સનું માનવું છે કે ભારતમાં મોંઘવારી સતત નીચે આવી રહી છે, આવી સ્થિતિમાં 6.25 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચી ચૂકેલા પોલિસી રેટમાં વધુ વધારાની જરૂરિયાત મર્યાદિત રહી છે. S&Pના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં મુખ્ય ફુગાવો લાંબા સમય સુધી ઉચ્ચ સ્તરે રહ્યા બાદ વર્ષ 2022ના બીજા છમાસિક ગાળામાં નીચે આવી રહ્યો છે. તો પોલિસી રેટ પહેલેથી જ 6.25 ટકાના ઉચ્ચ સ્તરે છે. આવી સ્થિતિમાં આરબીઆઈએ પોલિસી રેટ વધારવા વિશે વિચારવું જોઈએ નહીં.
25 બેસિસ પોઈન્ટનો થઈ શકે છે વધારો
વિશ્લેષકોના મતે RBI બુધવારે રેપો રેટ વધારીને 6.5 ટકા કરી શકે છે. શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સના એમડી અને સીઇઓ રવિ સુબ્રમણ્યને જણાવ્યું હતું કે MPC “Withdrawal of Accommodation”નું પોતાનું વલણ જાળવી રાખે અને દરમાં વધારાની ગતિ ઘટાડે તેવી શક્યતા છે. સુબ્રમણ્યમે કહ્યું હતું કે, આરબીઆઈ રેપો રેટમાં સાધારણ 25 બીપીએસનો વધારો કરી શકે છે.
2022માં 2.25 ટકાનો થઈ ચૂક્યો છે વધારો
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ગ્લોબલ સપ્લાઈ ચેઈનમાં આવેલા વિક્ષેપને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ગયા વર્ષે મે મહિનાથી રેપો રેટમાં 2.25 ટકાનો વધારો કરી ચૂકી છે. રેપો રેટ હાલમાં 6.25 ટકા છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) બુધવારે એટલે કે આજે પોલિસી રેટ અંગે પોતાનો નિર્ણય જાહેર કરશે.
શું છે રેપો રેટ?
તમને જણાવી દઈએ કે બેંક તેની લોનના દરો માત્ર રેપો રેટના દરથી નક્કી કરે છે. જો તેના દરો વધશે તો હોન લોન, પર્સનલ લોન, ઓટો લોન જેવી તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે.