કૃષિ કાયદાઓ રદ થયા બાદ પંજાબ અને ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં હવે ભાજપને મોટો ફાયદો થશે. જેમા ખાસ કરીને પંજાબમાં હવે ભાજપને કેપ્ટન અમરિંદરસિંહનો સાથ મળી રહેશે.
કૃષિ કાયદાઓ રદ થતા ભાજપને મોટો ફાયદો
પંજાબમાં ભાજપને મળશે કેપ્ટનનો સાથ
યુપીમાં યોગી સરકારને પણ મોટો ફાયદો
વડાપ્રધાન મોદી દ્વારા આજે ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચી લેવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયને કારણે ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ છે. આ કાયદા રદ કરવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. જેમા પહેલું કારણતો એજ છે કે પંજાબ અને ઉત્તરપ્રદેશ સહિત દેશના પાંચ રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે.
પંજાબમાં કેપ્ટન સાથે હવે ભાજપની એન્ટ્રી
દિલ્હીની સરહદો પર પણ જે ખેડૂતો બેઠા છે તેમા સૌથી વધારે ખેડૂતો પણ પંજાબ અને ઉત્તરપ્રદેશના જ છે. જેથી કૃષિ કાયદા રદ થયા બાદ એવી શક્યતા છે કે યુપીમાં ભાજપને હવે ઘણો ફાયદો થઈ શકે છે. સાથેજ પંજાબમાં પણ હવે ભાજપ એન્ટ્રી મારી શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે. કારણકે પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદરે એવું એલાન કરી દીધું છે કે તેઓ હવે ભાજપ સાથે કામ કરવા ઘણા ઉત્સુક છે.
શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કેપ્ટનનો પ્રભાવ મોટા પ્રમાણમાં
કૃષિ કાયદા રદ થયા બાદ પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંગ અને ભાજપ વચ્ચે ગઠબંધન થશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કેપ્ટન અમરિંદર સિંહે પંજાબ લોક કોંગ્રેસ કરીને નવી પાર્ટી બનાવી છે. તેમણે ભાજપ સાથે સીટોની ભાગીદારોનો સંકેત પણ આપી દીધો છે. જોકે કેપ્ટનની પાર્ટી નવી હજું નવી છે પરંતું પંજાબના શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તેમનો ઘણો પ્રભાવ છે.
યુપીમાં વિપક્ષ હવે આ મુદ્દો નહી ઉઠાવી શકે
બીજી તરફ ખેડૂત આંદોલનની અસર ઉત્તરપ્રદેશમાં પણ જોવા મળી હતી. લખીમપુરી ખીરીમાં જે હત્યાકાંડ થયો તેના કારણે ખેડૂતો બરોબરના રોષે ભરાયા હતા. બંને રાજ્યોમાં આવતા વર્ષે ચૂંટણી આવી રહી છે. જેના કારણે વિપક્ષ દ્વારા કૃષિ કાયદાઓને લઈને ઘણો દબાવ આપવામાં આવતો હતો પરંતુ હવે તેઓ આ મામલે કોઈ ટિપ્પણી નહી કરી શકે.
16 જિલ્લાની 136 સીટો પર ભાજપની નજર
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના 16 જિલ્લાઓમાં વિધાનસભાની 136 સીટો આવેલી છે. જ્યા ભાજપને નુકશાનનો મોટો ભય હતો પરંતુ હવે આ કાયદો રદ થયા બાદ તેમનો તે ભય દૂર થઈ ગયો છે. આપને જણાવી દઈએ કે 2017માં ભાજપે પશ્ચિમ યુપીમાં 109 સીટો પર વિજય હાંસલ કર્યો હતો.