કોરોના મૃતકોના પરિવારજનોને સહાય આપવા માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા સરકાર દ્વારા હવે પોર્ટલ બનાવામાં આવશે જેથી લોકો ડાયરેક્ટ સહાય માટે ઓનલાઈન અરજી કરી શકશે
કોરોના મૃતકોના પરિવારને સરળતાથી મળશે સહાય
ગુજરાત સરકાર દ્વારા પોર્ટલ બનાવાનો લેવાયો નિર્ણય
આગામી 2 સપ્તાહમાં સરકાર પોર્ટલ બનાવશે
ગુજરાતમાં કોરોના મૃતકોના પરિવારને સહાયને લઈને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમા સરકાર દ્વારા સહાય માટે એક પોર્ટલ બનાવામાં આવશે. જેથી કરીને કોરોના મૃતકોના પરિવારને સહાય મેળવવા હવે સરળતા રહેશે. આ સમગ્ર મામલે ગુજરાત સરકાર તરફથી સોલિસીટર જનરલ દ્વારા સુપ્રિમ કોર્ટને જવાબ આપવામાં આવ્યો છે.
2 સપ્તાહમાં પોર્ટલ બનાવશે
સોલિસિટર જનરલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 2 સપ્તાહમાં ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવશે. સાથેજ તેમણે કહ્યું કે પોર્ટલ પરથી લોકો સરળતાથી અરજી કરી શકશે અને તેમને લાઈનમાં ઉભા રહેવાનો વારો નહી આવે.
સુપ્રીમ કોર્ટે સરકારના નિર્ણયને આવકાર્યો
સોલિસીટર જનરલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પોર્ટલ પર લોકો સરળતાથી વળતર માટે દાવો કરી શકશે. જેથી આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સરકારના આ નિર્ણયને સ્વીકારવામાં આવ્યો છે. સાથેજ સુપ્રીમ કોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અમે અન્ય રાજ્યોને પણ પોર્ટલ બનાવવા વિચારણા કરવા માટે કહીશું.
ઓફલાઈન પદ્ધતી હાલ યથાવત
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે કોરોના થયાના 30 દિવસમાંજ જો મૃત્યું થયું હોય તો સહાય આપવામાં આવશે. જેને લઈને પરિવારજનોએ મેડિકલ સર્ટિફિકેટ તેમજ ડેથ સર્ટિફિકેટ લઈને કલેક્ટર કચેરીએ અથવા તો તાલુકા કચેરીએ જવું પડે છે. જ્યા પરિવારજનોને ડોક્યુમેન્ટ ચેક કરીને સહાય ફોર્મ આપવામાં આવે છે. આ પ્રક્રિયા હાલ પણ યથાવત છે. જોકે ઓનલાઈન પોર્ટલ બન્યા બાદ લોકોને સહાય ફોર્મ માટે ડોક્યુમેન્ટ લઈને લાઈમાં નહી ઉભા રહેવું પડે.