મોબ લિંચિંગ પર વાત કરશો તો રાજદ્રોહ લાગશે. હા એવું જ કંઇક થયું છે 49 હસ્તીઓ સાથે. 49 લોકોએ પીએમને પત્ર લખી મોબ લિંચિંગ પર ચિંતા વ્યક્ત કરી હતી. બિહારની કોર્ટે તેમની સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરાવ્યો. જેના સમર્થનમાં દેશના 185 હસ્તીઓ જોડાઇ છે. આ 185 લોકોએ લખ્યો છે ઓપન લેટર અને લોકોને સાથ આપવા અપીલ કરી છે. શું છે આ મામલો...
49 મોબ લિંચિંગ પર પીએમને પત્ર લખી ચિંતા વ્યક્ત કરનાર સામે રાજદ્રોહનો ગુનો
કંગનાએ કેટલાક લોકો પર નિશાન સાધતા કહ્યું કેટલાંક લોકો સરકાર વિરુદ્ધ ગુસ્સો ઠાલવી રહ્યાં છે
દેશની 185 હસ્તીનો ઓપન લેટર
લગભગ ત્રણ મહિના પહેલ ડિરેક્ટર શ્યામ બેનેગલ, અનુરાગ કશ્યપ, મણિરત્તનમ, સિંગર શુભા મુગ્દલ અને એક્ટ્રેસ અર્પણા સેન સહિત 49 સેલિબ્રિટીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખી મોબ લિંચિંગની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. એ પછી 3 ઓક્ટોબરે બિહારની એક અદાલતે આ તમામ સેલિબ્રિટી સામે દેશદ્રોહનો ગુનો દાખલ કર્યો છે. 49 હસ્તીઓના સમર્થનમાં અભિનેતા નસરુદ્દીન શાહ, ઇતિહાસકાર રોમિલા થાપર, લેખિકા નયનતારા સહગલ, ડાન્સર મલ્લિકા સારાભાઇ અને સિંગર ટી. એમ કૃષ્ણાનો સહિત 185થી વધારે હસ્તીઓ જોડાયા છે. આ તમામ લોકોએ પીએમને નવો પત્ર લખી કહ્યું છે કે તમે તેમનો અવાજ દબાવી ન શકો.
પત્રમાં શું લખ્યું છે ?
185 હસ્તીઓએ પત્રમાં લખ્યું છે કે, ‘આપણાં સાંસ્કૃતિક ક્ષેત્રનાં 49 સાથીઓ વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી કેમ કે તેમણે સમાજનાં સન્માનિત સભ્યો તરીકે આપણાં દેશમાં થતી મોબ લિંચિંગની ઘટનાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી.’ પત્રમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે નાગરિકોનો અવાજ દબાવવા માટે અદાલતનો દુરુપયોગ કરવો એ શોષણ નથી?
પત્રમાં હસ્તીઓએ પોતાને ભારતીય સાંસ્કૃતિક ક્ષેત્રનાં સભ્યો ગણાવીને કહ્યું હતું કે તેઓ 49 હસ્તીઓને હેરાન કરવાની નિંદા કરે છે. આ સાથે જ મોબ લિંચિંગને લઈને પીએમને જે પત્ર લખવામાં આવ્યો હતો, તેનાં દરેક શબ્દનું સમર્થન કરે છે. આ હસ્તીઓએ જૂનો પત્ર શૅર કર્યો છે. સાથે જ સાંસ્કૃતિક, શૈક્ષણિક તથા કાનૂની સમુદાયને અપીલ કરી છે કે તેઓ સાથ આપે. તેઓ મોબ લિંચિંગની વિરૂદ્ધ, નાગરિકોનો અવાજ દબાવવા, તેમને પિડીત કરવા તથા કોર્ટનો દુરુપયોગ કરવા વિરુદ્ધ અવાજ ઉઠાવે.
સરકારી તમામ આક્ષેપો નકારી કાઢ્યાં છે.
સાહિત્ય, કળા તથા અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલી 49 હસ્તીઓએ 23 જુલાઈ 2019ના રોજ પીએમ મોદીને એક ઓપન લેટર લખ્યો હતો. જેમાં મુસ્લિમ, દલિત તથા અન્ય સમુદાયો વિરુદ્ધ ભીડ દ્વારા કરાયેલી હત્યા (મોબ લિંચિંગ) પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. પત્રમાં પીએમ મોદીને સંબોધિત કરીને કહેવામાં આવ્યું હતું, ‘મે 2014 બાદથી જ્યારથી તમારી સરકાર સત્તામાં આવી છે, ત્યારથી અલ્પસંખ્યકો તથા દલિતો વિરુદ્ધનાં હુમલામાં 90 ટકા કેસ દાખલ થયાં છે. તમે સંસદમાં મોબ લિંચિંગ ઘટનાની નિંદા કરો છે, તે પૂરતું નથી. સવાલ એ છે કે આવાં અપરાધીઓ વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.’ જોકે, સરકારે પત્રમાં લખેલા તમામ આરોપોને નકારી કાઢ્યાં હતાં.
49 હસ્તીઓ સામે 62 હસ્તીઓનો ઓપન લેટર
49 હસ્તીઓના પત્રના જવાબમાં 62 હસ્તીઓએ ખુલ્લો પત્ર લખી કેટલાક લોકોને નિશાનો બનાવ્યાં છે. આ 62 હસ્તીઓમાં કંગના રનૌત, પ્રસૂન જોશીનો સમાવેશ થાય છે. તેમણે ઓપન લેટરમાં લખ્યું છે કે કેટલાંક લોકો સરકાર વિરુદ્ધ ગુસ્સો ઠાલવી રહ્યાં છે. જેમનો હેતું માત્ર લોકતાંત્રિક મુલ્યોને બદનામ કરવાનો છે. આ સાથે તેમણે સવાલ કર્યો હતો કે જ્યારે નક્સલીઓ સામાન્ય લોકોને નિશાનો બનાવે છે ત્યારે આ લોકો કેમ ચૂપ હોય છે?