બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોંઘી થઈ દશામાની મૂર્તિ, છતાં ભક્તિમાં નથી ઘટાડો! સુરતમાં 20% ભાવવધારા વચ્ચે ધૂમ ખરીદી
Last Updated: 09:47 AM, 9 August 2026
સુરતમાં હવે દશામા પર્વને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આવનારી 12મી તારીખે દિવાસાના દિવસે દશામાના પવિત્ર વ્રતનો પ્રારંભ થવાનો છે. દક્ષિણ ગુજરાત, ખાસ કરીને સુરત જિલ્લામાં મોટી સંખ્યામાં મહિલાઓ દશામાના વ્રત કરે છે. જેના કારણે શહેરના મૂર્તિ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. બજારોમાં વહેલી સવારથી જ ભાવિકોની અવરજવર વધી રહી છે અને દુકાનો પર દશામાની વિવિધ કદ અને ડિઝાઇનની મૂર્તિઓ ખરીદવા લોકોની ભીડ જોવા મળી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ વર્ષે દશામાની મૂર્તિઓના ભાવમાં અંદાજે 10થી 15 ટકા સુધીનો વધારો થયો છે. મૂર્તિકારોનું કહેવું છે કે પી.ઓ.પી., રંગ, સજાવટની સામગ્રી અને મજૂરીના ખર્ચમાં સતત વધારો થતાં મૂર્તિ બનાવવાની કિંમત વધી છે. જેના કારણે તેઓએ પણ ગ્રાહકો માટે મૂર્તિઓના ભાવમાં વધારો કરવો પડ્યો છે. જોકે ભાવ વધ્યા હોવા છતાં ખરીદીમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી.
ADVERTISEMENT
મૂર્તિકાર અખિલસિંહ પ્રકાશચંદ્ર પ્રજાપતિ જણાવે છે કે તેઓ છેલ્લા 15થી 20 વર્ષથી દશામાની મૂર્તિઓ બનાવી રહ્યા છે. આ વર્ષે તેમણે અંદાજે 30થી 35 હજાર મૂર્તિઓ તૈયાર કરી છે. તેમના જણાવ્યા મુજબ બુકિંગ પણ સારું ચાલી રહ્યું છે. જોકે રો-મટીરિયલના વધેલા ખર્ચને કારણે ભાવ વધારવા પડ્યા છે, પરંતુ તેમની કમાણીમાં ખાસ વધારો થયો નથી કારણ કે વધેલો ખર્ચ સીધો ઉત્પાદન પર જ ખર્ચાઈ જાય છે.

ADVERTISEMENT
દશામા પર્વને લઈને સુરત ઉપરાંત નવસારી, વલસાડ, તાપી સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાંથી લોકો ખરીદી માટે આવી રહ્યા છે. એટલું જ નહીં, મહારાષ્ટ્રના નંદુરબાર સહિતના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો સુરત પહોંચ્યા છે. સુરતના તાજપુર વિસ્તારમાં આવેલી મૂર્તિ માર્કેટમાં હોલસેલ દરે સારી ગુણવત્તાની મૂર્તિઓ મળતી હોવાના કારણે બહારના જિલ્લાઓ અને રાજ્યમાંથી પણ લોકો અહીં ખરીદી કરવા આવી રહ્યા છે.
ADVERTISEMENT
દર વર્ષે દશામાનું વ્રત કરતા અક્ષય નામના એક ભાવિકે જણાવ્યું કે તેઓ અગાઉ અન્ય જગ્યાએથી મૂર્તિ ખરીદતા હતા, પરંતુ આ વર્ષે તાજપુર વિસ્તારમાં આવ્યા બાદ અહીં ઓછી કિંમતે અને સારી ગુણવત્તાની મૂર્તિ મળી રહી હોવાથી અહીંથી ખરીદી કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ ભાવમાં વધારો થયો છે, છતાં હોલસેલ બજાર હોવાથી અન્ય જગ્યાની સરખામણીએ અહીં ભાવ હજુ પણ યોગ્ય છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના નંદુરબારથી આવેલા એક ભાવિકે જણાવ્યું કે તેઓ પ્રથમ વખત સુરત આવ્યા છે. તેમને માહિતી મળી હતી કે નવસારી રોડ પર દશામાની સુંદર અને સારી ગુણવત્તાની મૂર્તિઓ મળે છે. તેથી ખાસ દશામાની મૂર્તિ લેવા માટે તેઓ સુરત આવ્યા છે. ભાવિકોનું કહેવું છે કે માતાજીની આરાધનામાં ખર્ચનું કોઈ મહત્વ નથી. વર્ષમાં એક વખત આવતો આ પવિત્ર પર્વ તેઓ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવે છે. તેથી ભાવ વધ્યા હોવા છતાં તેઓ ખુશીથી દશામાની મૂર્તિ ખરીદી રહ્યા છે.
આ પણ વાંચો : સાળંગપુરથી પરત ફરતા જસદણમાં અકસ્માત, ડિવાઈડર સાથે કાર અથડાતા નાયબ મામલતદારનું મોત
દશામાના વ્રતને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી સુરતના બજારોમાં ભક્તિનો રંગ વધુ ગાઢ બન્યો છે. મૂર્તિઓના ભાવમાં વધારો થયો હોવા છતાં ખરીદીનો ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો છે. સુરતના મૂર્તિ બજારોમાં સ્થાનિક લોકો ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો પહોંચી રહ્યા હોવાથી આગામી દિવસોમાં બજારોમાં વધુ ચહલપહલ જોવા મળે તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.