મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના ગજગ્રાહના પગલે કોંગ્રેસ, NCP અને શિવસેનાના કથિત જોડાણના સૂચન અંગે કોંગ્રેસના નેતા સંજય નિરુપમે એક પત્રકાર પરિષદમાં નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ અને શિવસેના સાથેનું રાજકીય ગઠબંધન કોંગ્રેસ પક્ષ માટે વિનાશકારી બની શકે છે.
કોંગ્રેસના નેતા સંજય નિરુપમે કોંગ્રેસ અને નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીને મહારાષ્ટ્રમાં બહુમતી સરકાર બનાવવા માટે શિવ સેનાને સાથ આપવાના મુદ્દે ચેતવણી આપતા જણાવ્યું છે કે આ એક વિનાશકારી પગલું સાબિત થઇ શકે છે.
તેમણે આ વિધાન કોંગ્રેસના મિલિન્દ દેઓરાએ ટ્વીટર ઉપર લખેલા વિધાન સંદર્ભમાં કહ્યું હતું. દેઓરાએ ટ્વીટર ઉપર જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ભાજપ અને શિવસેનાને સરકાર બનાવવા માટે આપેલ આમંત્રણનો જવાબ ન આપતા તેમણે કોંગ્રેસ NCP ગઠબંધનને સરકાર બનાવવાનો મોકો આપવો જોઈએ.
સંજય નિરુપમે તેના પક્ષના સભ્યોને યાદ કરાવ્યું હતું કે તેઓ પાસે સરકાર બનાવવા જેટલો આંકડો નથી. કોંગ્રેસ અને NCP પાસે 288 કુલ બેઠકોમાંથી 98 બેઠકો છે જયારે બહુમતી માટે 145 બેઠકો જરૂરી છે. આમ સરકાર બનાવવાનો દાવો કરવા માટે તેમણે શિવસેના સાથે ગઠબંધન કરવું પડશે જેની પાસે 56 બેઠકો છે.
સંજય નિરૂપમે ટ્વીટર ઉપર જણાવ્યું હતું કે આપણે કોઈ પણ સંજોગોમાં શિવ સેના સાથે સત્તા વહેંચવાનો વિકલ્પ ન વિચારવો જોઈએ. આ ઉપાય પક્ષ માટે ખુબ જોખમી છે.
In the current political arithmetic in Maharashtra, its just impossible for Congress-NCP to form any govt. For that we need ShivSena. And we must not think of sharing power with ShivSena under any circumstances.
That will be a disastrous move for the party.#MaharashtraCrisis
નોંધનીય છે કે નિરુપમે આ પહેલા પણ એક નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ ભાજપ શિવ સેનાના વિવાદથી દૂર રહે તે જ તેમની ભલાઈમાં છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે રાજ્ય સભાના MP હુસેન દલવાઈએ સોનિયા ગાંધીને પત્ર લખીને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મુસ્લિમો ભાજપ કરતા શિવ સેનાની સરકાર વધુ પસંદ કરશે. જો કે સૂત્રોના મતે સોનિયા ગાંધીએ આવી કોઈ પણ પ્રકારની શક્યતાને ફગાવી દીધી છે.
શિવ સેનાના આક્ષેપ પ્રમાણે ગૃહ મંત્રી અમિત શાહે શિવ સેનાના ચીફ ઉદ્ધવ ઠાકરેને સત્તાના 50% 50% વિતરણનું વચન આપ્યું હતું જેમાં મુખ્યમંત્રીના પદને પણ 2.5 અને 2.5 વર્ષ માટે બન્ને પક્ષો વચ્ચે વહેંચવામાં આવ્યું હતું જયારે ભાજપના મતે બન્ને પક્ષો વચ્ચે આવી કોઈ ડીલ થઇ નથી.
સંજય રાઉતે ભાજપને ટોણો મારતા કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે ભાજપ પોતાની સંખ્યા વધારવા શિવ સેના અને અન્ય પક્ષોના MLAને ખરીદવાનો પૂરતો પ્રયત્ન કરશે.
શિવ સેનાએ તેના 56 MLAને હોર્સટ્રેડિંગથી મુક્ત રાખવા હાલ એક રિસોર્ટમાં રાખ્યા છે.