બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / ઘર ખરીદતા પહેલા આ 12 વસ્તુઓ ચેક કરવાનું ના ભૂલતા, નહીં તો પસ્તાશો

તમારા કામનું / ઘર ખરીદતા પહેલા આ 12 વસ્તુઓ ચેક કરવાનું ના ભૂલતા, નહીં તો પસ્તાશો

Dhwani Lakhani

Last Updated: 08:00 AM, 13 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Home Buying Tips: ઘર, ફ્લેટ, પ્લોટ કે અન્ય કોઈ મિલકત ખરીદવી એ એક મોંઘો સોદો છે, તેથી તેમાં ખૂબ કાળજી રાખવી જરૂરી છે. એટલે જ્યારે તમે ઘર ખરીદો છો ખાસ કરીને બિલ્ડર કે ડેવલપર પાસેથી કોઈ પ્રોપર્ટી ખરીદતા હોય તો એ પહેલા કેટલીક બાબતોથી તમારે અવગત થવું જરુરી છે.

હાલના સમયમાં એવા અનેક કિસ્સાઓ પ્રકાશિત થયા છે જેમાં ઘણા બિલ્ડરોએ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી છે. જો કે, RERA કાયદાના આગમન સાથે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેમ છતાં, કોઈપણ પ્રોપર્ટી ખરીદતા પહેલા ગ્રાહકોએ ખાસ ધ્યાન રાખવું જરુરી છે.

સામાન્ય નાગરિક માટે ઘર લેવું તે જીવનની સૌથી મહત્વપૂર્ણ રોકાણ પ્રક્રિયામાંથી એક છે. જ્યારે આપણે બિલ્ડર પાસેથી ઘર લેવાની પ્રક્રિયા હાથ ધરીએ ત્યારે ફક્ત ભાવનાત્મક નહીં, પરંતુ કાયદેસર રીતે પણ અત્યંત સંવેદનશીલ પ્રક્રિયા બને છે. નાણાંકીય રીતે તમારું સમગ્ર ભવિષ્ય દાવ પર હોય ત્યારે બિલ્ડર તેમજ ડેવલપર દ્વારા આપવામાં આવતી વિગતો, દસ્તાવેજો અને મંજૂરીઓની યોગ્ય કાયદેસર તપાસ કરવી એ આપણી ફરજ છે. જેથી ભવિષ્યમાં કાયદાકીય વિવાદો કે ભયંકર નુકસાનનો સામનો કરવો ન પડે.

કોઈપણ પ્રોપર્ટી ખરીદતા પહેલાં આટલી ચકાસણી કરવી

  1. પ્રોજેક્ટનો રેરા નોંધણી નંબર છે કે નહીં?
  2. બાંધકામ માટે લાગતી તમામ મંજૂરીઓ, જમીન માલિકીના દસ્તાવેજો, વિજળી અને પાણીના કનેક્શનની મંજૂરી વગેરે ઉપલબ્ધ છે કે નહીં?
  3. ઓક્યુપન્સી સર્ટિફિકેટ (રહેવા માટે યોગ્યતા પ્રમાણપત્ર) મળેલું છે કે નહીં?
  4. એગ્રીમેન્ટ ટુ સેલ અને સેલ ડીડ વચ્ચેનો તફાવત શું છે અને કયા ડોક્યુંમેન્ટ પર હસ્તાક્ષર કરવાના છે?
  5. કાર્પેટ એરિયા શું છે અને બિલ્ડર દ્વારા દર્શાવેલ વિસ્તાર સચોટ છે કે કેમ?
  6. કોમન એરિયા, ટેરેસ, પાર્કિંગ, સ્ટેરકેસ, લિફ્ટ વગેરેની માલિકી અને ઉપયોગના હક વિશે સ્પષ્ટતા છે કે નહીં?
  7. ફાયર સેફ્ટી અંગે તમામ નિયમોનું પાલન થયું છે કે નહીં?
  8. ફાઈનલ પોઝિશન પછી વેચાણ પત્ર નોંધાવવામાં આવશે તેની ખાતરી છે કે નહીં?

RERA હેઠળ ગ્રાહકોના અધિકાર અને સુરક્ષા

ભારત સરકાર દ્વારા 2016માં અમલમાં લાવવામાં આવેલ રિયલ એસ્ટેટ અધિનિયમ એટલે કે RERA, ઘરના ખરીદદારની હિતસંરક્ષાના હેતુથી બનાવવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ GUJRERA તરીકે રાજ્ય સ્તરે તેનું અમલ થાય છે. આ અધિનિયમ હેઠળ ગ્રાહકને અનેક અધિકારો આપવામાં આવ્યા છે અને બિલ્ડરને પણ બાંધકામ અંગે કાયદેસર જવાબદારી સોંપવામાં આવી છે.

જાણો ઘર ખરીદનાર તરીકે આપના અધિકારો

પ્રોજેક્ટની નોંધણી: રીયલ એસ્ટેટ (નિયંત્રણ) અધિનિયમ, 2016 હેઠળ, કોઈ પણ રહેણાંક કે વ્યાવસાયિક પ્રોજેક્ટ કે જેમાં આઠ કે તેનાથી વધુ યૂનિટ/ફ્લેટ/દુકાનો હોય અથવા તો વિસ્તાર પાંચસો ચોરસ મીટરથી વધુ હોય, તો તેવા દરેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની રેરા પાસે નોંધણી ફરજિયાત છે. ટ્રાયલ તરીકે કે કોઈ પણ રજિસ્ટ્રેશન વગર જો બિલ્ડર એવાં પ્રોજેક્ટમાં બુકિંગ લે છે, જાહેરાત કરે છે કે વેચાણ કરે છે, તો તે કાયદાકીય રીતે ઉલ્લંઘન ગણાય છે. આવી સ્થિતિમાં બિલ્ડર સામે રેરા અધિકારી કાર્યવાહી કરી શકે છે. જેમાં નોંધણી રદ કરવી, ભારે દંડ ફટકારવો કે કાયદેસર કાર્યવાહી શરૂ કરવાની જોગવાઈ પણ છે.

માહિતી મેળવવાનો અધિકાર: તમે બિલ્ડર કે કોઈપણ ડેવલપર્સ પાસેથી તમામ મંજૂરીઓ, નકશા, પ્રોજેક્ટનો ટાઈમલાઇન, ખર્ચ વગેરે માંગી શકો છો.

વિલંબ થાય તો વળતર: જો બિલ્ડર તરફથી કોઈપણ પ્રોપર્ટીનું પઝેશન આપવામાં વિલંબ કરે છે, અને તે પઝેશન આપવાની મુદત વેચાણ કરાર (Agreement to Sale)માં સ્પષ્ટ રીતે નોંધવામાં આવી હોય તો ગ્રાહકને રેરા અધિનિયમ, 2016ની કલમ 18(1) હેઠળ, વિલંબની અવધિ માટે ચૂકવેલ રકમ પર વ્યાજ મેળવવાનો કાયદેસર હક્ક પ્રાપ્ત થાય છે. કેટલાંક કિસ્સાઓમાં, જો ગ્રાહક પઝેશન સ્વીકારવા ઈચ્છતા ન હોય, તો તેમને તેમની આખી ચુકવેલ રકમ, વ્યાજ સહિત પરત મેળવવાનો અધિકાર છે.

vtv app add

બાંધકામમાં ખામી હોય તો જવાબદારી: જો બિલ્ડર દ્વારા પઝેશન પછીના પાંચ વર્ષની અંદર ખરીદનાર ગ્રાહક દ્વારા કોઈ રચનાત્મક/બાંધકામ સંબંધિત ખામી (structural defect) કે અન્ય સામાન્ય નિર્માણ ખામીઓ અંગે લેખિતમાં ફરિયાદ કરવામાં આવે, તો એ પ્રકારની ખામીઓને બિલ્ડરે 30 દિવસની અંદર મફતમાં દૂર કરવી ફરજિયાત છે. જો બિલ્ડર એવી ખામી દૂર કરવામાં નિષ્ફળ જાય, તો ગ્રાહકને મૂડી કે વ્યાજ તરીકે ચૂકવણી માટે પણ દાવો કરવાની મંજૂરી છે.

બિલ્ડર માટે કાયદેસર જવાબદારીઓ

બિલ્ડરે માત્ર રેરામાં નોંધાયેલ પ્રોજેક્ટ જ વેચવા જોઈએ.

ગ્રાહક સાથે કાયદેસર અને વિસ્તૃત બાનાખત એટલે સાદી ભાષામાં સમજીએ તો સાઠાખર્ચ (Agreement to Sale) કરવાની ફરજ છે, જેમાં દરેક શરતો સ્પષ્ટ લખેલી હોવી જોઈએ. દરેક ચુકવણી રસીદ/બેંક હવાલા દ્વારા લેવી જોઈએ અને બિલ્ડરે તેનું બુકહિસાબ રાખવો ફરજિયાત છે.

બિલ્ડર દોષિત જણાય તો ગ્રાહક શું કરી શકે?

જો બિલ્ડર ગ્રાહકના કાયદેસર અધિકારોનો ભંગ કરે છે, જેમ કે નક્કી કરેલ સમયમર્યાદામાં પ્રોપર્ટી પઝેશન ન કરવી, મંજૂરી વગર બાંધકામ કરવું, દસ્તાવેજોમાં ખોટી વિગતો રજૂ કરવી, અથવા સામાન્ય ઉપયોગ માટે નિર્ધારિત જગ્યા પર ખાનગી કબજો જમાવવાનો પ્રયાસ કરવો, ત્યારે આવા સંજોગોમાં ગ્રાહકને કાયદેસર પગલાં લેવાનો પૂરો હક છે. જે નીચે મુજબ છે.

વધુ વાંચો : જો કાનૂની કાર્યવાહીમાં પોલીસ સહકાર ન આપે તો શું કરવું?, જાણો એક્સપર્ટ પાસેથી

લેખિત રજૂઆત અને ફરિયાદ નોંધાવવી

ઘર ખરીદનાર ગ્રાહક ગુજરાત રેરા સંચાલક અધિકારીએ અથવા GUJRERA વેબપોર્ટલ દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. અધિકારી અરજીને પરિચિત કરીને બિલ્ડર સામે કાર્યવાહીની પ્રક્રિયા આરંભે છે.

દંડ અને ફોજદારી કાર્યવાહી

બિલ્ડર દ્વારા રેરા કાયદાના નિયમોનો ઉલ્લંઘન કરવામાં આવે તો રેરા અધિકારી તેમની પર ભારે નાણાંકીય દંડ ફટકારી શકે છે. તેમજ કાયદાનું ગંભીર ઉલ્લંઘન, જેમ કે નોંધણી વગર વેચાણ અથવા ખોટી માહિતી આપવીના કિસ્સાઓમાં બિલ્ડરને કાયદેસર રીતે કેદની સજાની પણ જોગવાઈ છે.

વધુ વાંચો : કાનૂની નોટિસ મળે તો ગભરાઈ ન જતા, જાણો એક્સપર્ટ પાસેથી શું કરવું અને શું ન કરવું?

વચનભંગ માટે વળતર મેળવવાનો અધિકાર

જો બિલ્ડરે બુકલેટ, જાહેરાત કે બ્રોશર દ્વારા આપેલ કોઈ વચન જેમ કે ક્લબ હાઉસ, પાર્કિંગ, જિમ્નેશિયમ, ફાયર સેફ્ટી કે અન્ય સુવિધાઓ પુરી ન પાડી હોય, તો પણ ગ્રાહક તેનો વળતર વસૂલી શકે છે. રેરા હેઠળ આવા વચનો પણ કાયદેસર બાંયધરી તરીકે માનવામાં આવે છે.

વધુ વાંચો : ઓફિસના સાથી કર્મચારી જેવા તેવા મેસેજ કરે, ખરાબ નજરે જુએ તો અહીં કરો ફરિયાદ, કાયદો આપશે સજા

બિલ્ડરની બ્લેકલિસ્ટિંગ અને જાહેર નોંધ

કોઈ બિલ્ડર વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરે છે, રજિસ્ટ્રેશન વિના પ્રોજેક્ટ વેચે છે કે ગ્રાહકોને નુકસાન પહોંચાડે છે, તો રેરા અધિકારી તેમના પર એકશન લઈને તે બિલ્ડરને બ્લેકલિસ્ટ કરી શકે છે. ઉપરાંત, આવી માહિતી અન્ય રાજ્યોની રેરા સંસ્થાઓને પણ આપવામાં આવે છે, જેથી તેમનો પ્રેકિટશનર તરીકેનો રેકોર્ડ જાહેર થઈ શકે અને તેઓ નવા પ્રોજેક્ટ માટે નોંધણી ન મેળવી શકે.

ચુકાદા સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાનો અધિકાર

જો ગ્રાહક રેરા અધિકારીએ આપેલા ચુકાદાથી અસંતોષિત હોય, તો તેઓ રીયલ એસ્ટેટ અપિલેટ ટ્રિબ્યુનલ (REAT) સમક્ષ અપીલ દાખલ કરી શકે છે. ટ્રિબ્યુનલ પોતાનાં અભિપ્રાય અને પુરાવાના આધારે નિર્ણય આપે છે અને આ ટ્રિબ્યુનલનો ચુકાદો વટાવી શકાય એવો હોય છે.

ફાયર સેફ્ટી અને કોમન એરિયાની મર્યાદા

ફાયર સેફ્ટી માટે દરેક બિલ્ડિંગમાં ફાયર એક્ઝિટ, ફાયર એલાર્મ, પાણીના પોઈન્ટ અને ફાયર ફાઇટિંગ સુવિધાઓ હોવી ફરજિયાત છે. જો બિલ્ડર ફાયર એક્ઝિટને બંધ કરી દે છે, પાર્કિંગમાં શટર લગાવી અંગત જગ્યા બનાવી દે છે તો તે રેરા, નેશનલ બિલ્ડિંગ કોડ તથા ફાયર એક્ટનો ઉલ્લંઘન છે. આવા કિસ્સાઓમાં ગ્રાહકોએ GUJRERA, જિલ્લા કલેક્શનર, ટાઉન પ્લાનિંગ ઓફિસર તથા ફાયર વિભાગ સમક્ષ લેખિતમાં ફરિયાદ નોંધાવી શકે છે. કોઈ પણ કોમન એરિયાને વ્યક્તિગત રીતે ઓક્યુપાય કરવું એ બંધારણ વિરુદ્ધ પ્રવૃત્તિ ગણાય છે.

ઘર એ ફક્ત ઈમારત નહીં, આપના સપનાનું નિવાસ છે. રેરા એક શસ્ત્ર છે જે ગ્રાહકને બિલ્ડર સામે રક્ષણ આપે છે. દરેક યોગ્યતા પત્ર, દસ્તાવેજ અને મંજૂરીની તપાસ એ આપનું આર્થિક ભવિષ્ય સુરક્ષિત રાખે છે. કાયદેસર તપાસ વગર લીધેલું ઘર કદાચ દર વર્ષે આપને કોર્ટના દરવાજા ખખડાવવા માટે મજબૂર કરી શકે છે. એટલે જ "ઘર ખરીદો, પણ જાણકારી અને કાયદેસર તપાસ પછી જ!".

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RERA Law RERA Rule Home Buying Tips
Dhwani Lakhani

Dhwani Lakhani is practicing lawyer at Gujarat High Court and state courts, and author of this article, passionately promoting legal awareness through media and platforms.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ