ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આ મહિને નિવૃત થઇ રહ્યાં છે.તેમણે 5 જજોની બેન્ચ સાથે અયોધ્યાના વર્ષો જુના કેસનો ચુકાદો સંભળાવતા રામ મંદિર બનાવવાને લીલી ઝંડી પાઠવી છે. જો કે 17 તારીખે તેમની નિવૃત્તિ પહેલા તેમણે આ 5 અતિ અગત્યના કેસોમાં નિર્ણય સંભળાવવાનો છે.
ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંજન ગોગોઈએ અયોધ્યા મુદ્દે 9 નવેમ્બરે સવારે તેમનો ચુકાદો સંભળાવ્યો છે. જો કે તેમના નિવૃત થવા પહેલા તેમણે આ 5 અતિ મહત્વના કેસીસનો નિકાલ કરવાનો છે જેની ઉપર સમગ્ર દેશ મીટ માંડીને બેઠો છે.
સબરીમાલા રીવ્યુ કેસ
28 સપ્ટેમ્બર 2018 ના દિવસે 5 જજોની બેન્ચે 4:1ની બહુમતી સાથે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશને અનુમતિ આપી દીધી હતી. મહિલાઓના પ્રવેશ પ્રતિબંધને જાતીય ભેદભાવ ગણાવામાં આવ્યો હતો.
આ નિર્ણયને ઘણા હિન્દૂ જૂથોએ વખોડી કાઢ્યો હતો અને તેની સામે 65 જેટલી અરજીઓ દાખલ થઇ હતી. આ અરજીઓનો નિકાલ કરીને ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે એ પણ નક્કી કરવાનું રહેશે કે શું અદાલતો ધાર્મિક બાબતોમાં દરમિયાનગીરી કરી શકે છે કે નહિ?
રાફેલ ડીલ કેસ
ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચ વડે સરકાર સામે દાખલ થયેલી રાફેલ ડીલના કથિત કૌભાંડની અરજીઓમાં સુપ્રીમ કોર્ટે સરકારની તરફેણમાં ચુકાદો આપતા જણાવ્યું હતું કે આ કેસમાં સરકારે ફ્રાન્સ પાસેથી ખરીદેલા ફાઈટર જેટ પ્લેનની ખરીદીમાં કોઈ પૂર્વગ્રહ કે ગેરરીતિ આચરી હોય તેવા મજબૂત પુરાવા નથી.
સરકારે દલીલ કરી હતી કે સુરક્ષાના કારણો હેઠળ સરકાર રાફેલ ડીલમાં ચુકવાયેલ કિંમતનો આંકડો રજુ નહિ કરે. સરકારની આ દલીલને વકીલ પ્રશાંત ભૂષણે પડકારી હતી.
રાહુલ ગાંધી બદનક્ષી મામલો
જયારે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલમાં સરકારની તરફેણ કરી ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ "ચોકીદાર ચોર હે" એવું નિવેદન આપ્યું હતું. આ નિવેદનને ભાજપના નેતા મીનાક્ષી લેખીએ નામદાર કોર્ટનું અપમાન ગણાવીને તેની ઉપર કાનૂની અરજી દાખલ કરી હતી. બાદમાં રાહુલ ગાંધીએ આ મુદ્દે માફી પણ માંગી હતી.
ફાઇનાન્સ એક્ટ 2017
Social Action for Forest and Environment (SAFE) નામના એક NGOએ સરકાર વડે પસાર કરવા ફાઇનાન્સ એક્ટ 2017ની કલમ 156 થી 189ની બંધારણીય માન્યતા ઉપર સવાલ ઉઠવતી અરજી કરી હતી જેને સુપ્રીમ કોર્ટે આ વર્ષના એપ્રિલ મહિનામાં ધ્યાને લઇને સરકારને નોટિસ પાઠવી હતી.
SAFEના મતે આ કલમો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ જેવી અગત્યની પર્યાવરણને લગતી બંધારણીય સંસ્થાઓની સત્તા અને સ્વાયત્તતાને નબળી પાડે છે.
શું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને RTI હેઠળ લાવવા જોઈએ?
દિલ્હીની હાઈ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને ચીફ જસ્ટિસની ઓફિસ બન્ને RTI એક્ટની હેઠળ આવે છે આથી જરૂર પડે તેઓ પણ ઇન્ફોર્મેશન આપવા બંધાયેલા છે. આને લગતી અપીલ સુપ્રીમમાં આવી હતી જેનો રીવ્યુ કરીને સુપ્રીમ કોર્ટ તેનો ફાઇનલ ચુકાદો સંભળાવશે.