રાજ્યસભાની પેટા ચૂંટણી 5મી જુલાઈના રોજ યોજાવાની છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને વ્હીપ આપવામાં આવ્યુ છે. જેને લઈને પરેશ ધાનાણીએ નિવેદન આપ્યુ છે. જેમાં તેમણે 3 લાઇન વ્હીપ તમામ ધારાસભ્યોને આપવામાં આવ્યો હોવાની વાત કરી હતી.
તો અલ્પેશ ઠાકોર તેમજ કોંગ્રેસના નિશાન પર ચૂંટાયેલા તમામ ધારાસભ્યો કોંગ્રેસને મત આપે તેવી આશા વ્યક્ત કરી હતી. પરેશ ધાનાણીએ કહ્યું કે વ્હીપનું સન્માન કરવું એ દરેક ધારાસભ્યોની ફરજ છે. આથી જ વ્હીપનો અનાદર કરનાર સામે કાયદામાં કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ હોવાનું પણ તેમણે કહ્યું હતું.
મહત્વનું છે કે રાજ્યસભાની ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસે વ્હીપ જાહેર કર્યો છે. કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને વ્હીપ આપ્યો હતો કે રાજ્યસભાની ચૂંટણી સમયે તમામ MLAએ હાજર રહેવું. રાજ્યસભાના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારને મત આપવા વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે.
જેમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સહિત 71 MLAને વ્હીપ આપવામાં આવ્યો છે. 5 જૂલાઇના રોજ 2 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ભાજપ અને કોંગ્રેસે 2-2 ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં ડબલ બેલેટથી મતદાન થવાનું છે. વિધાનસભાની હાલની સ્થિતિ પ્રમાણે બંને બેઠક ભાજપ જીતે તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર મુદ્દે ચાલી રહેલા વિવાદ અંગે મંગળવારે હાઇકોર્ટને ચુકાદો આવ્યો હતો. કોર્ટે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની કોંગ્રેસની અરજી મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં હાઇકોર્ટે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવાની કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી.