રાજ્યસભાની પેટાચૂંટણી માટેની ચૂંટણીપંચે તારીખો જાહેર કરી દીધી છે. ત્યારે ગુજરાતની બે, બિહારની એક અને ઓડિસાની ત્રણ બેઠકો પર મતદાન થવાનું છે. જેમાં અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભાના સભ્ય બનતા ગુજરાતની રાજ્યસભાની બેઠક ખાલી થઇ છે. લોકસભા ચૂંટણીમાં અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકથી અને સ્મૃતિ ઇરાની અમેઠીથી ચૂંટણી જીત્યા છે. આ બન્ને બેઠકો ભાજપ પાસે હતી ત્યારે હવે ફરી ભાજપને આ બન્ને બેઠકો મળી શકે છે.
રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી માટે નામાંકનની છેલ્લી તારીખ 25 જૂન હશે અને 26 જૂને નામાંકન પત્રોની તપાસ કરવામાં આવશે. નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 28 જૂન નક્કી કરવામાં આવી છે. જ્યારે 5 જુલાઇના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. મતદાન બાદ સાંજે પાંચ કલાકે મતગણતરી થશે. મહત્વનું છે કે સૌ કોઇની નજર ગુજરાતની રાજ્યસભા ચૂંટણી પર હશે. ત્યારે રાજ્યસભાની પેટાચૂંટણીને લઇને અલગ અલગ પ્રકારની સંભાવનાઓ સામે આવી રહી છે.
અત્યાર સુધી એવી સંભાવનાઓ ચાલતી હતી કે ગુજરાતની એક બેઠક કોંગ્રેસના ખાતામાં જઇ શકે છે. કારણ કે ગુજરાત વિધાનસભામાં હાલના ધારાસભ્યોની ગણતરી અનુસાર એક બેઠક ભાજપને અને એક બેઠક કોંગ્રેસના ખાતામાં જવાની શક્યતાઓ છે. વિધાનસભામાં કોંગ્રેસ પાસે હાલ 72 ધારાસભ્યો છે. જ્યારે ભાજપ પાસે 100 ધારાસભ્યો છે. ભાજપના ચાર ધારાસભ્ય સાંસદ બનતા ભાજપનો આંકડો 100 થઇ ગયો છે. જ્યારે ભાજપે બન્ને બેઠકો જીતવા માટે 120 ધારાસભ્યોની જરૂર છે. પરંતુ ભાજપે નવો પ્લાન અજમાવતા હવે કોંગ્રેસનું સપનું અધુરૂ રહી શકે છે.
1 બેઠક જીતવાની કોંગ્રેસની આશા પર ફરી શકે છે પાણી
જોકે ભાજપ બન્ને બેઠકો પર જીત મેળવવાના તમામ પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે હવે રાજ્યસભાની ચૂંટણીમાં અનોખો વળાંક સામે આવ્યો છે. 1 બેઠક જીતવાની કોંગ્રેસની આશા પર પાણી ફરી શકે છે. રાજ્યસભાની પેટાચૂંટણી પર અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અલગ-અલગ નોટિફિકેશન હોવાથી દરેક ધારાસભ્ય બંને સીટ માટે મતદાન કરી શકે છે. આ સ્થિતિમાં ગુજરાતમાં ભાજપ બંને બેઠક જીતી શકે છે.