વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પશ્ચિમ બંગાળની વિશ્વભારતી યુનિવર્સિટીના શતાબ્દી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દરેકની નજર વડાપ્રધાનના સંબોધન પર હતી. આ સમય દરમિયાન, PM મોદીએ ગુરુદેવ રવિન્દ્ર નાથ ટાગોરની પ્રશંસા કરી હતી, તેમના સંદેશાઓની ચર્ચા કરી અને તેમને ગુજરાત સાથે વિશેષ જોડાણ વિષે પણ કહ્યું હતું.
રવિન્દ્ર નાથ ટાગોરના મોટાભાઈ અમદાવાદમાં નોકરી કરતા હતા
વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે ગુરુદેવ રવિન્દ્ર નાથ ટાગોરના મોટા ભાઈ સત્યેન્દ્ર નાથ ટાગોરની તેમની નોકરી દરમિયાન ગુજરાતમાં નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે રવિન્દ્ર નાથ ટાગોર તેમને અમદાવાદ મળવા આવતા, જ્યાં તેમણે તેમની બે કવિતાઓ લખી છે.
ગુજરાતની પુત્રી પણ ગુરુદેવના ઘરે પુત્રવધૂ તરીકે આવી હતી
PM મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતની પુત્રી પણ ગુરુદેવના ઘરે પુત્રવધૂ તરીકે આવી હતી. જ્યારે સત્યેન્દ્ર નાથ ટાગોરની પત્ની જ્ઞાનેંન્દ્રીદેવી અમદાવાદમાં રહેતી હતી, તેમણે જોયું કે સ્ત્રીઓ સાડીનો પલ્લુ જમણી બાજુ રાખતી હોય છે, ત્યારે તેમણે સાડીનો પલ્લુ ડાબા ખભા પર રાખવાની સલાહ આપી હતી જે હજી સુધી ચાલુ છે.
PM મોદી ઉપર ભડકી TMC
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પછી તૃણમૂલ કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. TMC વતી કહેવામાં આવ્યું હતું કે PM મોદી વારંવાર રવિન્દ્રનાથ ટાગોરના ગુજરાત કનેક્શન વિશે વાત કરે છે. ટાગોરે હંમેશાં આવા રાષ્ટ્રવાદનો વિરોધ કર્યો છે, જે હિંસાને પ્રોત્સાહન આપે છે.
PM મોદીએ સતત બંગાળને નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો
મંત્રી બી બાસુએ કહ્યું કે PM મોદીએ જાધવપુર યુનિવર્સિટીનો ઉલ્લેખ કર્યો નથી અને સતત બંગાળને નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. TMCએ કહ્યું કે જો ટાગોર આજે જીવિત હોત, તો PM મોદી આજે તેમની પણ એવી જ રીતે ટીકા કરતા હોત જેવી રીતે તે મમતા બેનર્જીની કરે છે.