પ્લાસ્ટિકની શોધ થયાના ગણતરીના દાયકાઓમાં પ્લાસ્ટિક અત્યારે સૌના માથાનો દુખાવો બન્યું છે. તો એ જાણવું જરૂરી છે કે પ્લાસ્ટિક એની શોધ પછી સૌનું માનીતું કેમ બની ગયું અને તે કેમ સમગ્ર પૃથ્વી માટે એક અભિશાપ સમાન છે.
૧૯૦૭માં લેબોરેટરીમાં જયારે પહેલી વખત પ્લાસ્ટિક શોધાયું ત્યારે તેના શોધક લિયો બક્લેન્ડે કહ્યું હતું કે આ શોધ એક નવા ભવિષ્યની રચના કરશે. તે વખતના પ્રસિદ્ધ અખબારમાં બક્લેન્ડની તસ્વીર છપાઈ હતી જેની નીચે લખ્યું હતું "આ ચીજ બળશે પણ નહિ અને પીગળશે પણ નહિ" ૮૦ના દશકમાં જયારે પ્લાસ્ટિકએ જયારે કાપડની થેલી, શણની બેગ અથવા કાગળના પરબીડિયાનું સ્થાન લઇ લીધું ત્યારે તમામ લોકો મંત્રમુગ્ધ બની ગયા.
આ ચીજ બળશે પણ નહિ અને પીગળશે પણ નહિ
જુદા જુદા રંગોમાં, જુદી જુદી સાઈઝમાં, ગમે તેટલું વજન નાખો ફાટવાના ભય વિના, ગરમ ગરમ ચા, કોફી અને શાકભાજી સાચવતી, વરસાદમાં સામાનને ભીના થવાથી બચાવતી, વીજળીની અવાહક, વજનમાં અત્યંત હલકી, અને દેખાવમાં અત્યંત આકર્ષક અને ભાવમાં સસ્તી; આ ચીજ જાદુ સમાન હતી. સૌની પ્રિય એવી આ પ્લાસ્ટિક થેલીઓ વખત જતા મનુષ્યો નહિ પણ સમગ્ર પર્યાવરણ માટે એક મોટો શ્રાપ બનવા જઈ રહી હતી. તેનો ગુણ "બળશે નહિ અને પીગળશે નહિ" વિશ્વ માટે એક મોટો માથાનો દુખાવો બનવાનો હતો. આજે આપણે સામાન લેવા માટે જે થેલીનો અડધો કલાક માટે ઉપયોગ કરીને ફેંકી દઈએ છીએ તે થેલી હજારો વર્ષ સુધી નષ્ટ થતી નથી અને પોતાની આસપાસ ઝેરી તત્વો છોડ્યા કરે છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત થવાની અપીલ
વિશ્વભર આ પ્લાસ્ટિકની હાનિકારક અસરોની સમજણ આવ્યા બાદ સૌ દેશોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની કવાયત હાથ ધરી છે. ૨૦૧૮માં ભારતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનું આહ્વાન કર્યું હતું અને અત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે પણ હકીકત એ છે કે આ પ્રતિબંધને પાળવા માટે લોકોના સાથ સહકારની પણ એટલી જ જરૂર છે કારણ કે પ્લાસ્ટિક આજે આપણી દિનચર્યાનો ભાગ બની ગયું છે.
વિશ્વના ૧૨૭ દેશોએ પ્લાસ્ટિક થેલીઓ પર પ્રતિબંધ લાદેલો છે. ૨૭ દેશો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદેલો છે.
સુઝેન ફ્રીન્ક્લે તેના પુસ્તકમાં આપણાં જીવનમાં પ્લાસ્ટિકના આક્રમણ વિષે ઉલ્લેખ કર્યો
સુઝેન ફ્રીન્ક્લે તેના એક પુસ્તકમાં જણાવ્યું છે કે ૨૪ કલાકમાં આપણી આસપાસની લાઈટ સ્વીચ,ટોયલેટ સીટ, ટુથબ્રશ, ટુથપેસ્ટ ટ્યુબ જેવી ૧૯૬ વસ્તુઓ પ્લાસ્ટિકની બનેલી છે. આમ પ્લાસ્ટિકને જીવનમાંથી કાઢી નાખવી ખુબ અઘરી છે અને તેનો બહિષ્કાર કરવા માટે તેની પર પ્રતિબંધ અને દંડ કરતા વધુ જરૂરી એ છે કે તેના દુષ્પ્રભાવો વિષે લોકોમાં જાગરૂકતા ફેલાય.
સિક્કિમનો કિસ્સો
પ્લાસ્ટિકને રોજ બરોજના જીવનમાંથી સંપૂર્ણપણે કાઢી નાખવું અશક્ય છે એ વાતને ભારતના રાજ્ય સિક્કિમે ખોટી સાબિત કરી બતાવી છે. તેણે ફક્ત લોકોમાં જાગરૂકતા ફેલાવીને લોકોને પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા પ્રેર્યા અને જયારે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટ્યો ત્યારે તેને પ્રતિબંધ કરી દીધો. આમ લોકોના સહકારથી આ શક્ય બન્યું.
પ્લાસ્ટિક સાથેની મુખ્ય સમસ્યા
પ્લાસ્ટિકનું વિઘટન સૌથી મોટી સમસ્યા છે.
જો તેને બાળવામાં આવે તો તે હવામાં ઝેરી ઘટકો ઉત્સર્જીત કરે છે
જો તેને માટીમાં દાટી દેવાય તો તે હજારો વર્ષો સુધી એમનું એમ રહે છે અને ધીમે ધીમે ઝેરી દ્રવ્યોમાં ફેરવાય છે
જો તેને દરિયામાં ભેળવી દેવાય તો તે પાણીને પ્રદુષિત કરીને દરિયાઈ જીવ સૃષ્ટિને હાનિ પહોંચાડે છે.
તેનું રીસાઈકલીંગ કરવા માટે તેને પીગાળવું પડે છે અને રીસાઈકલીંગથી બનેલી પ્રોડક્ટ સારી ગુણવત્તાની હોતી નથી.
પ્લાસ્ટિકની બોટલો કે પછી ઝેરની શીશીઓ?
અમેરિકાની સ્ટેટ યુનિવર્સીટીએ ભારત સહિત અલગ અલગ દેશોમાંથી ૧૧ બ્રાંડની ૨૫૦ બોટલોના નમુનાઓનું પરીક્ષણ કર્યું. તેમણે જોયું કે ૯૦ ટકા નમૂનાઓમાં સરેરાશ ૧ લીટર પાણીમાં ૩૨૫ પ્લાસ્ટીકના કણો મળી આવ્યા. આ ઉપરાંત 2016માં આખી દુનિયામાંથી ૪૮૦ અબજ પ્લાસ્ટિક બોટલોની ખરીદી થઇ. દર મીનીટે ૧૦ લાખ બોટલો ખરીદાય છે જેમાંથી ૫૦% બોટલો કચરામાં પરિવર્તિત થાય છે. ઘણી સીરપ, ટોનિક અને દવાઓ પણ પ્લાસ્ટિકની બોટલોમાં વેચાય છે. આ દવાઓના ગુણો ઉપર પણ પ્લાસ્ટિકની અસર વર્તાય છે.
પ્લાસ્ટિકનો વિકલ્પ અને તેની મર્યાદાઓ
પ્લાસ્ટિક બાયો ડીગ્રેડેબલ નથી એ તેની સૌથી મોટી નબળાઈ છે. પણ ૪૭ થી ૯૦ દિવસમાં કુદરતી વિઘટન પામે તેવું બાયો ડીગ્રેડેબલ પ્લાસ્ટિક બનાવવું શક્ય છે. પરંતુ તેની બનાવટ મોંઘી છે આથી કંપનીઓ તેનું નિર્માણ કરતી નથી.
સરકારનો શું અભિગમ હોવો જોઈએ?
સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક અને નોન બાયો ડીગ્રેડેબલ પ્લાસ્ટિક પરના પ્રતિબંધ ઉપરાંત શણ, કાપડ, વાંસ, નાળીયેર વગેરે જેવા બાયો ડીગ્રેડેબલ પદાર્થોમાંથી બનતી વસ્તુઓના નિર્માણને વેગ આપવા પગલા ભરવા જોઈએ. કૃત્રિમ રીતે બાયો ડીગ્રેડેબલ પ્લાસ્ટિકના વૈજ્ઞાનિક સંશોધનોને ભંડોળ પૂરું પડવી જોઈએ. સૌની સહિયારી અસરોથી જ આ પ્લાસ્ટિકના દાનવને નાથી શકાશે.