પાકિસ્તાન ફરી POKમાં ભડકાઉ પગલું ભરવા જઇ રહ્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન 14 ઓગસ્ટે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાત લેશે. ઇમરાન ખાન PoKની રાજધાની મુઝફ્ફરાબાદમાં વિધાનસભાને સંબોધન કરશે. આ દરમિયાન પાકિસ્તાને પીઓકેમાં અલગાવવાદીઓના સમર્થનમાં રેલીઓનું આયોજન કર્યું છે.
રેલીનું કરાયું આયોજન
ઇમરાન ખાનની આ મુલાકાત પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમા કાશ્મીરી લોકોના સમર્થનમાં રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકારે 15 ઓગસ્ટના દિવસને કાળો દિવસ મનાવવાનું એલાન કર્યું છે. આ દિવસ ભારતની સ્વતંત્રતાનો દિવસ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં ભારત વિરોધી રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ રેલીમાં બુરહાન વાની અને યાસીન મલિકના સમર્થનમાં નારા લાગવાની પણ સંભાવના છે.
મુઝફ્ફરાબાદની વિધાનસભાને કરશે સંબોધન
પાકિસ્તાન તેના કબજાવાળા કાશ્મીરને 'આઝાદ જમ્મુ અને કાશ્મીર' કહે છે. સરકારના દ્વારા જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇમરાનની સાથે અનેક સંઘીય મંત્રી પણ 'આઝાદ જમ્મુ-કાશ્મીર' ની રાજધાની મુઝફ્ફરાબાદની મુલાકાત લેવાના છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ત્યાં સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેશે અને ત્યાંની વિધાનસભાને સંબોધન કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇમરાન જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓને પણ વ્યક્તિગત રીતે મળવાના છે.
પાકે લદ્દાખની સામે આવેલા એરબેસમાં ફાઈટર પ્લેન તૈનાત કર્યા
કશ્મીરમાંથી કલમ 370 હટાવી લીધા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસ્યા છે. જેની અસર LoC પર પણ દેખાઈ રહી છે. એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે પાકિસ્તાની સેના LoC તરફ આગળ વધી રહી છે. અને લદ્દાખની સામે આવેલા એરબેસમાં ફાઈટર પ્લેન તૈનાત કરી દેવામાં આવ્યા છે.
ત્યારે આ મામલે ભારતીય સેના પ્રમુખ બિપીન રાવતે કહ્યું કે અમે અલર્ટ છીએ. જો પાકિસ્તાન LoC પર આવવા માગતું હોય તો તે એમના પર નિર્ભર છે. તેમને જડબાતોડ જવાબ મળશે. સાથે જ જમ્મૂ-કશ્મીરની સ્થિતિ પર સેના પ્રમુખે કહ્યું કે કશ્મીરીઓ સાથે અમારી વાતચીત પહેલાની જેમ સામાન્ય છે. અમે લોકોને બંદૂક વિના મળી રહ્યા છે. અને આશા છે કે બંદૂક વિના જ મળતા રહીશું. કશ્મીરીઓ સાથે 70ના દાશક જેટલા સંબંધ મજબૂત થઈ રહ્યા છે.