અજીત ડોભાલે આજે જણાવ્યુ હતુ કે, 230 જેટલા આતંકવાદીઓ POKમાં સંતાઈને બેઠા છે. પાકિસ્તાન તેમને શરણું આપીને ભારત સામે લડવાની ફિરાકમાં છે પણ પાક.ને ખબર નથી કે તેણે સંઘરેલા આતંકવાદીઓ અંગારાનો ઢગલો છે જેની ચિનગારી એક દિવસ પાકને જ ફુંકી મારશે.
રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલે ફરી એકવાર અનુચ્છેદ 370 હટાવવીને કાશ્મીરને સામાન્ય રાજ્યનો દરજ્જો આપવાની વાત પાકિસ્તાનને પચી નહી હોવાની વાત જણાવી હતી. તેમણે આ અંગે ખુલીને વાત કરી હતી.
અજીત ડોભાલે આજે એનઆઈએના સિક્રેટ રિપોર્ટને ટાંકીને જણાવ્યુ હતુ કે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં 230 આતંકવાદીઓ હોવાની બાતમી મળી છે. ગુપ્તચર વિભાગ દ્વારા એવી પણ ખબરો આપવામાં આવી છે કે આતંકીઓ ગમે તેમ કરીને ભારતમાં ઘૂસણખોરી કરવા માંગે છે. પાકિસ્તાન પાસે ભારત સામે લડવા માટે એક જ હથિયાર છે અને તે છે આતંકવાદ.
અજીત ડોભાલે ચીમકી ઉચ્ચારી હતી કે જો પાક. પોતાના નાપાક ઈરાદાઓમાંથી બર નહીં આવે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપશે. પાકિસ્તાનની અવળચંડાઈનો ભારત પાસે જવાબ હાજર જ છે. જો પાકિસ્તાન પોતાના આતંકી વિસ્તારોને ત્યજી દે તો જ તે સફળતાના શિખરો હાંસલ કરી શકશે. નહીં તો તે પોતાનો વિધ્વંશ પોતે જ નોતરી રહ્યુ છે.