સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના વડા ડેવિડ બેસ્લીએ વિશ્વભરના નેતાઓને આગામી જોખમને લઈને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, 2020 કરતા પણ 2021 વધુ ખરાબ રહેશે. તેમનું કહેવું છે કે, અબજો ડોલર વિના આપણને ભારે ભૂખમરો સહન કરવો પડશે. ડેવિડ બેસ્લીએ એસોસિએટેડ પ્રેસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, નોર્વેજીયન નોબેલ કમિટી એવા કાર્યો પર ધ્યાન આપી રહી હતી, જે એજન્સી રોજ સંઘર્ષો, આપત્તિઓ અને શરણાર્થી શિબિરોમાં કરે છે. મોટાભાગે કર્મચારીઓને લાખો ભૂખ્યા લોકોને ભોજન આપવા માટે તેમના જીવના જોખમે મોકલવા પડે છે. વિશ્વને એક સંદેશ આપવામાં આવ્યો છે કે તેમની સ્થિતિ ખરાબ છે અને મુશ્કેલ સમય આવવાનો બાકી છે.
2020 કરતા પણ 2021 વધુ ખરાબ રહેશે
સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના વડા ડેવિડ બેસ્લીએ આપી ચેતવણી
2020ના અંત સુધીમાં 30 કરોડ લોકો ભૂખમરાના શિકાર થઈ શકે છે
બેસ્લીએ એપ્રિલમાં યુએન સિક્યુરિટી કાઉન્સિલને આપેલી ચેતવણીને યાદ કરતા કહ્યું કે જ્યારે વિશ્વ કોરોના વાયરસ મહામારીથી પીડાઈ રહ્યું હતું, ત્યારે વિશ્વ ભૂખમરાની આરે પણ હતું. જો આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો થોડાં મહિનામાં તે બાઇબલમાં ઉલ્લેખિત દુષ્કાળ જેવા ઘણા દુષ્કાળને જન્મ આપી શકે છે. તેમણે કહ્યું કે આપણે આને 2020માં ટાળવામાં સમર્થ હતા, કેમ કે વૈશ્વિક નેતાઓએ નાણાં, પ્રોત્સાહન પેકેજ, લોનને લઈને સહાય કરી હતી.
બેસ્લી એ કહ્યું, 'વિશ્વભરમાં ફરી કોરોના વાયરસનો ચેપ વધી રહ્યો છે. ઓછી અને મધ્યમ આવકવાળા દેશોની અર્થવ્યવસ્થા બગડી રહી છે. ફરી એકવાર લોકડાઉન અને શટડાઉન જેવી સ્થિતિ બની રહી છે, પરંતુ તેમણે કહ્યું કે 2020માં જે પૈસા મળ્યા હતા, તે 2021માં નહીં મળે. જેથી તેઓ નોબેલનો ઉપયોગ નેતાઓને વ્યક્તિગત રૂપે મળવા અને સંસદસભ્યો સાથે વાત કરવા અને આ દુ: ખદ ઘટનાને પહોંચી વળવાની રીતો પર ચર્ચા કરવા માટે કરી રહ્યાં છે.
બેસ્લીએ કહ્યું કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે દુષ્કાળને રોકવા માટે આવતા વર્ષે 5 અબજ ડોલરની જરૂર પડશે. આ સાથે, સમગ્ર વિશ્વમાં 10 અબજ ડોલરની જરૂર પડશે. જેથી કુપોષિત બાળકો અને સ્કૂલ લંચ માટે એજન્સીના વૈશ્વિક કાર્યક્રમો યોગ્ય રીતે થઈ શકે. એપ્રિલમાં, બેસ્લીએ કહ્યું હતું કે 13.5 કરોડ લોકોને ભૂખમરાનો સામનો કરવો પડશે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના વિશ્લેષણ સૂચવે છે કે 2020ના અંત સુધીમાં 30 કરોડ લોકો ભૂખમરાના શિકાર થઈ શકે છે.