ભારતીય જનતા પાર્ટી આગામી 16 થી 22 ઓગસ્ટ દરમિયાન ત્રીરંગા યાત્રા કરશે. ગુજરાતના વિવિધ ઐતિહાસિક સ્થળો પર કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં કાર્યક્રમો કરવામા આવશે. આગામી 19 ઓગસ્ટના રોજ અમિત શાહની હાજરીમાં જીતુ વાઘાણીનો અભિવાદન કાર્યક્રમ પણ કરવામાં આવશે. શુક્રવારે પ્રદેશ કાર્યાલય પર મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં તથા જીતુ વાઘાણીની અધ્યક્ષમાં યોજાયેલી બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવી હતી.
ગુજરાતમાં દલીતકાંડ બાદ ભાજપ તેનું કેન્દ્રીય નેતૃત્વ ફરી એકવાર ગુજરાતમાં ઉતારી રહ્યું છે. પાટીદાર આંદોલન બાદ કેન્દ્રના બે વર્ષના કાર્યો માટે અગાઉ ગુજરાતની મુલાકાત લઈ ચુકેલા મોટા ગજાના નેતાઓ ત્રીરંગા યાત્રાના કાર્યક્રમના ભાગરૂપે ગુજરાતમાં આવશે. જેમા તેઓ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. કાર્યક્રમની રૂપરેખા ઘડવા શુક્રવારે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામા પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય સહસંગઠક મંત્રી વિ.સતીષ તથા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી હતી.