ક્યારેક પોતે જ બનાવેલા નિયમો પોતાના પર જ ભારી પડી જાય છે. જી હા આવુ જ કંઇક ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીની સાથે થયુ, સોશ્યલ ડિસ્ટેન્સિંગના નિયમને કારણે તેમણે રેસ્ટોરામાં બેસવા ના દીધા.
તમને વાંચીને ચોક્કસથી થશે કે આવુ કેમ, વાસ્તવનાં આ અનુભવ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીને થયો, જે પોતાના પાર્ટનરની સાથે બહાર જમવા માટે પહોંચ્યા હતા અને ત્યાં સોશ્યલ ડિસ્ટેન્સિંગને ધ્યાનમાં રાખીને કોઇ ખાલી જગ્યા ના હોવાથી પીએમને એન્ટ્રી આપવાનો ઇન્કાર કરી દીધો.
ગુરુવારથી ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસનો બીજો તબક્કો એક્શનમાં આવ્યો છે. જેમાં રેસ્ટોરાં અને કાફેને ખોલી દેવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે દરેક કસ્ટમરને એકબીજાથી એક મીટર દૂર બેસાડવા માટે નિયમ છે આ ઉપરાંત 10 થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે.
શનિવારે પોતાના પતિ સાથે બહાર જમવા માટે ન્યૂઝીલેન્ડના પીએમ એક રેસ્ટોરામાં પહોંચ્યા હતા જોકે ત્યાં જગ્યા ના હોવાથી તેમને એન્ટ્રી આપવામાં આવી ન હતી. તેમણે થોડી વખત રાહ જોયા પછી જગ્યા ખાલી થતા એન્ટ્રી મળી હતી. આ સ્થિતિ માટે પીએમે પોતાને જ જવાબદાર ગણાવ્યા હતા અને સાથે જ રેસ્ટોરાં દ્વારા કસ્ટમર્સની સુરક્ષા કાયદાનું જે કડકાઇથી પાલન કરાઇ રહ્યુ છે તેના પણ વખાણ કર્યા હતા.
એક વાયરલ ટ્વીટનો જવાબ આપતા પીએમના પતિએ જણાવ્યુ કે, તેમણે બહાર જમવાનો અગાઉથી પ્લાન ન હતો એટલે ક્યાંય પણ બુકિંગ કર્યુ ન હતુ જેથી આ સ્થિતિ સર્જાઇ. જોકે તેમણે રેસ્ટોરાંની સર્વિસના વખાણ કર્યા હતા. ન્યૂઝીલેન્ડ પીએમે પણ જે રીતે પાલન કર્યુ તેના પણ સોશ્યલ મીડિયા પર વખાણ થઇ રહ્યા છે.
ન્યૂઝીલેન્ડમાં અત્યાર સુધી કોરોનાના માત્ર 1148 કેસ છે જેમાંથી 21 લોકોના મૃત્યુ થયા છે. સાત અઠવાડિયા સુધી ત્યાં લૉકડાઉનનું પાલન રાખવામા આવ્યુ હતુ. જેમાં ગત ગુરુવારે રાહત આપવામાં આવી હતી.