બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:02 AM, 12 July 2026
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અગ્રણી પાટીદાર લોકગાયિકાઓ અને અન્ય મહિલા કલાકારો દ્વારા કરવામાં આવેલા પ્રેમલગ્ન તેમજ મૈત્રી કરાર સામાજિક સ્તરે ભારે ચર્ચા અને વિવાદનો વિષય બન્યા છે. સોશિયલ મીડિયાથી લઈને કોર્ટ સુધી પહોંચેલા આ સામાજિક વિવાદો વચ્ચે લેઉવા પટેલ સમાજના સર્વોચ્ચ સંગઠન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે એક અત્યંત સૂચક અને મોટું નિવેદન આપ્યું છે. પોતાના જન્મદિવસે રાજકોટમાં આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપવા પહોંચેલા નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "પ્રેમ કરવો એ કોઈ ગુનો કે પાપ નથી, પરંતુ યુવાનો પોતાની ઈચ્છા મુજબ લગ્ન કરે ત્યારે તેમાં માતા-પિતાની સહમતી અને રાજીપો હોય તે ખૂબ જ જરૂરી છે."
ADVERTISEMENT
નરેશ પટેલની દીકરીઓને અપીલ: "પ્રેમ પાપ નથી, પણ ખોટા પાત્રથી સાવધાન રહો"
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 11, 2026
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પ્રેમ બાબતે દરેક સમાજની દીકરીઓને કરી અપીલ, કહ્યું- પ્રેમ કરવો પાપ નથી પરંતુ ખોટા પાત્ર સાથે ફસાઇ જાય છે#Rajkot #NareshPatel #Khodaldham #LoveMarriage #SocialAwareness #Gujarat… pic.twitter.com/fXy4RuRmPm
ખાસ કરીને કલા અને સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલી દીકરીઓ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, "આ પ્રશ્ન માત્ર સિંગર પૂરતો મર્યાદિત નથી, દરેક ફિલ્ડમાં કામ કરતી દીકરીઓ માટે આ ચિંતાનો વિષય છે. પરંતુ આજના યુવાનો પોતાના આઈડોલ કોને માને છે તે બહુ મહત્વનું છે. જો કોઈ દીકરી સિંગર હોય, તો તેણે લત્તા મંગેશકરને પોતાના આઈડોલ (પ્રેરણામૂર્તિ) બનાવવા જોઈએ, જેથી કોઈ નકારાત્મક પ્રશ્ન જ ઊભો નહીં થાય."
ADVERTISEMENT
અહીં ઉલ્લેખનીય છે કે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલે પણ પોતે પ્રેમલગ્ન કરેલા છે. કોલેજના અભ્યાસકાળ દરમિયાન તેમને હરિયાણાના જૈન પરિવારની દીકરી શાલિનીબેન સાથે પ્રેમ થયો હતો અને છેલ્લી બેન્ચે સાથે બેસતા આ યુગલે વર્ષ 1984માં લગ્ન કર્યા હતા. સિંગર દીકરીઓની જેમ જ નરેશ પટેલ પણ યુવાનીમાં કરિયરના અલગ સપના જોતા હતા. ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા બાદ તેઓ આર્મી, નેવી કે એરફોર્સમાંથી કોઈ એક ડિફેન્સ વિંગમાં જોડાવા માંગતા હતા, પરંતુ પિતાના આદેશને માન આપીને તેમણે પોતાનો વિચાર બદલ્યો અને ફેમિલી બિઝનેસ (કારખાનું) સંભાળી લીધું હતું.
ADVERTISEMENT
તાજેતરના વર્ષોમાં પ્રિયા મોરડીયા, આરતી સાંગાણી, રિદ્ધી રાજપરા, કિંજલ દવે, કિંજલ રબારી અને કાજલ મહેરિયા જેવી લોકપ્રિય કલાકારોના પ્રેમસંબંધો અને લગ્નો સામાજિક સ્તરે ભારે આક્રોશ અને વિવાદોનું કારણ બન્યા છે. આ વિવાદોના કારણે સામાજિક તાણ એટલી વધી ગઈ હતી કે સરકારને પણ લગ્નના નિયમોમાં ફેરફાર વિચારવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
આરતી સાંગાણી અને મૈત્રી કરારનો વિવાદ
સુરતની પાટીદાર ગાયિકા આરતી સાંગાણીએ પોતાના જ સ્ટેજ પ્રોગ્રામના તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે મૈત્રી કરાર કરીને રહેવાનું શરૂ કરતા જ્ઞાતિમાં ભારે હોબાળો મચ્યો હતો. વિરોધ વધતા આરતીએ વીડિયો જાહેર કરી પિતાના રડતા વીડિયો અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સમાજને સવાલ કર્યો હતો કે, "હું ઘરે કહીને અને મેસેજ છોડીને નીકળી હતી, આજે હું ખુશ છું તો દુનિયા કેમ વેદના અનુભવે છે?"
ADVERTISEMENT
રિદ્ધી રાજપરાનો બહિષ્કાર
સુરતની ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી લેતા પાટીદાર અગ્રણીઓએ તેના સ્ટેજ પ્રોગ્રામ્સ પર પ્રતિબંધ મૂકી બહિષ્કારની અપીલ કરી હતી. આ સમયે કેટલાક અગ્રણી કલાકારોએ વાલીઓને દીકરીઓને સિંગર ન બનાવવાની ચોંકાવનારી અપીલ પણ કરી હતી.
ADVERTISEMENT
પ્રિયા મોરડિયાનો કેસ કોર્ટે ઉકેલ્યો
ભાવનગરની પ્રિયા મોરડિયા અને ગઢડાના યશ ઉપાધ્યાયના લવમેરેજ બાદ હુમલો અને અપહરણની ફરિયાદો થઈ હતી. આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા કોર્ટે પ્રિયાની ઈચ્છા મુજબ તેને પતિ સાથે જવાની મંજૂરી આપી પોલીસ પ્રોટેક્શન પૂરું પાડ્યું હતું.
કિંજલ દવે અને જ્ઞાતિ બહાર સગાઈ
સિંગર કિંજલ દવેએ પોતાની જ્ઞાતિ બહાર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરતા પાંચ પરગણાં બ્રહ્મસમાજે તેના પરિવારનો બહિષ્કાર કર્યો હતો. જેની સામે કિંજલે સાટાપ્રથાનો વિરોધ કરી સવાલ ઉઠાવ્યો હતો કે, "દીકરીઓ જો યુદ્ધ વિમાન ઉડાવી શકતી હોય, તો શું તેને લાઈફ પાર્ટનર પસંદ કરવાનો હક નથી?"
આ જ કડીમાં જાણીતી ગાયિકા કાજલ મહેરિયાએ પણ અલ્પેશ ઠાકોર નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા બાદ પારિવારિક હોબાળો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. કાજલે જાહેર કરેલા વીડિયો નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે, "મેં ગત 10 ઓક્ટોબર, 2025ના રોજ કોઈ પણ દબાણ વિના સ્વતંત્ર નાગરિક તરીકે પુખ્ત વયે અલ્પેશ સાથે લગ્ન કર્યા છે. અમારું દોઢ વર્ષથી રિલેશન હતું. હું સનાતન ધર્મમાં માનું છું અને કોઈ ધર્મ પરિવર્તન કરવાની નથી, એટલે જ અત્યાર સુધી મૌન હતી." કાજલે સાસરીમાં જઈને તેના પરિવાર દ્વારા અપાયેલી ધમકીઓની નિંદા કરી કાનૂની ન્યાયતંત્રની મદદ લેવાની ચીમકી પણ આપી છે.
આ પણ વાંચો- નરભક્ષી બની રહ્યા છે સિંહ, છેલ્લા દોઢ મહિનામાં 6 હુમલા, જાણો ક્યાં-ક્યાં બની ઘટના
ખોડલધામ પ્રમુખના આ આજના નિવેદન બાદ હવે સામાજિક સ્તરે બદલાતા સંબંધો અને પરંપરાઓ વચ્ચે નવી ચર્ચા છેડાઈ છે કે આધુનિક યુગમાં સામાજિક સ્વીકૃતિ અને પારિવારિક સહમતીનો સમન્વય કેવી રીતે સાધી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.