દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેની નરેશ પટેલની બેઠક સફળ રહી હોવાના સમાચાર મળ્યા છે. આ બેઠક બાદ કોંગી ધારાસભ્યો સાથે પાટીદાર અગ્રણી નરેશ પટેલ મોડી રાતે ગુજરાત પરત પહોંચ્યા હતા.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની અટકળો છેલ્લા બે ત્રણ મહિનાથી ચાલી રહી છે. નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવા સમાચારો ઘણા વહેતા થયા પરંતુ આજ દિન સુધી નરેશ પટેલ આ અંગે કોઇ નિર્ણય લઇ શક્યા નથી. તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે કે નહી તે અંગે 15મે પહેલા ચિત્ર સ્પષ્ટ કરી દેશે તેવું સામે આવ્યું હતું. વળી જામનગરના એક કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું હતું કે હું રાજકારણમાં જોડાવાનો છું તે નક્કી છે પરંતુ ક્યારે કોંગ્રેસમાં જોડાઈશ તે હજુ નક્કી નથી. ત્યારે હવે પાટીદાર આગેવાન નરેશ પટેલની દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેની આજની બેઠક સફળ રહી હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસમાં સામેલ થશે નરેશ પટેલ : પ્રતાપ દૂધાત
આ બેઠક બાદ નરેશ પટેલ 4 કોંગી ધારાસભ્યો સાથે ગુજરાત પરત પહોંચ્યા હતા. ત્યારે વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મીડિયાને મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, હાઈકમાન્ડ સાથે પોઝિટિવ વાત થઈ છે અને નરેશ પટેલ અમદાવાદ ખાતે કોંગ્રેસમાં સામેલ થશે. આ સાથએ જ દૂધાતે તેમપણ જણાવ્યું હતું કે, એક સપ્તાહમાં નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે.
દિલ્હીની બેઠક સફળ રહી
મહત્વનું છે કે, 8 મેના રોજ રાજકોટ ખાતે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સાથે નરેશ પટેલે બેઠક કરી હતી. જો કે ત્યારબાદ નરેશ પટેલ કઇ રાજકીય પાર્ટીમાં જોડાશે તે હજી કંઇ નક્કી થયું નહોતું. ત્યારે આજે દિલ્હીમાં કોંગ્રેસી અગ્રણીઓ સાથે યોજાયેલી બેઠક સફળ નીવડી હોવાનું સામે આવ્યું છે. અને આગામી ટૂંકા સમયગાળામાં નરેશ પટેલ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે.
દિનેશ બાંભણિયાએ નિર્ણય લેવા કરી માંગ
પાસના નેતા દિનેશ બાંભણિયાએ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઇને એક ટ્વિટ કર્યુ હતું. તેઓએ તેમાં ઉલ્લેખ કર્યો છે કે ' સાથી મિત્રો સમયની માંગ છે કે જલદી નિર્ણય લેવામાં આવે. વડીલોના માર્ગદર્શન હેઠળ સાથે મળીને કંઈક નિર્ણય લેવામાં આવે..પછી એ નિર્ણયસામાજિક હોય કે રાજકીય.....જય સરદાર'.
ગુલાબસિંહે નરેશ પટેલને AAPમાં જોડાવાનું કહ્યું હતું
તો આ તરફ ગુજરાતમાં ચૂંટણી લડવા તમામ મોરચે સક્રિય થયેલી આમ આદમી પાર્ટીના ચૂંટણી ઈન્ચાર્જ નેતા ગુલાબસિંહે જણાવ્યું હતું કે, નરેશ પટેલ સામાજિક સારા નેતા છે.નરેશ પટેલને અગાઉ હું મળ્યો છું, ખૂબ સારા વ્યક્તિ છે. તેમણે નરેશ પટેલને ગુજરાતના લોકોનું ભલું કરવા એક સાથે એક પ્લેફોર્મ પર આવે તેવું કહી AAPમાં જોડાવવાની વાત કહી હતી. જે બાદ ગુજરાતના રાજકારણમાં પુનઃ ગરમાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષના અંતે યોજનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શિક્ષણ, આરોગ્ય સેવા દિલ્લી મોડેલ જેવા વિવિધ મુદ્દા પર ચૂંટણી લડશે. તેમજ AAP રાજ્યની 182 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા કરીને ચૂંટણી લડશે. તેમ જણાવ્યું હતું.