કોરોના સંકટમાં ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને લાવવા માટે મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે તાજેતરના આંકડા અર્થતંત્રમાં સુધારણાના સંકેતો બતાવી રહ્યા છે. તેમણે કહ્યું કે જીએસટી કલેક્શન જેવા ઘણાં આંકડા વધુ સારા બહાર આવ્યા છે અને રિઝર્વ બેંકે સંકેત આપ્યો છે કે ત્રીજા ક્વાર્ટરમાં જ અર્થવ્યવસ્થા સકારાત્મક જીડીપીમાં વૃદ્ધિ થવાના એંધાણ છે.
મોદી સરકાર વધુ એક પેકેજની કરી જાહેરાત
અર્થવ્યવસ્થાને મળશે વેગ
નાણીમંત્રી નિર્મલા સીતારમણે સંબોધી પત્રકાર પરિષદ
તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત 3.0 હેઠળ 12 ઘોષણા કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે તાજેતરના આંકડા અર્થતંત્રમાં સુધારણાના સંકેતો બતાવી રહ્યા છે. તો તેમણે કહ્યું કે રેલ્વેમાં નૂર ટ્રાફિકમાં 20 ટકાનો વધારો થયો છે, બેંક લોન વિતરણમાં 5 ટકાનો વધારો થયો છે. શેરબજાર રેકોર્ડ ઉંચી સપાટીએ છે. એફપીઆઈનું ચોખ્ખું રોકાણ પણ સકારાત્મક રહ્યું છે. વિદેશી વિનિમય ભંડાર પણ 560 અબજ ડોલરના રેકોર્ડ પર પહોંચી ગયા છે.
આત્મનિર્ભર ભારત હેઠળ લેવાયા પગલા
નાણાં મંત્રીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત હેઠળ લેવામાં આવેલા પગલાથી કામદારોને ઘણો ફાયદો થયો છે. એ જ રીતે, ખેડૂતોને રાહત આપવાનાં પ્રયત્નોનાં પરિણામ પણ સારાં પરિણામ મળ્યાં છે.
આત્મનિર્ભર ભારત રોજગાર યોજના
તેનું લક્ષ્ય એ છે કે વધુમાં વધુ કર્મચારીઓ ઇપીએફઓમાં જોડાઓ અને પીએફનો લાભ લે. જે કર્મચારીઓ અગાઉ પીએફ માટે નોંધાયેલા ન હતા અને તેમનો પગાર 15 હજાર કરતા ઓછો છે, તો તેઓને આ યોજનાનો લાભ મળશે. જેઓ ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી નોકરીમાં ન હતા, પરંતુ તે પછી પીએફ સાથે સંકળાયેલા છે, તેમને પણ લાભ મળશે. આ યોજના 30 જૂન 2021 સુધી અમલમાં રહેશે.
સરકાર આગામી 2 વર્ષ સુધીમાં 1000 સુધીની સંખ્યા ધરાવતી સંસ્થાઓમાં નવી ભરતી થયેલા કર્મચારીઓના પીએફનો 24 ટકા હિસ્સો સબસિડી સ્વરૂપે આપી છે. તે 1 ઓક્ટોબર 2020થી લીગુ થશે. 1000થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થામાં નવા કર્મચારીઓના 12 ટકા પીએફ યોગદાન માટે સરકાર 2 વર્ષ સુધી સબસિડી આપશે.
ECLGS સ્કીમની સમય મર્યાદા વધારવામાં આવી
સરકારે 3 લાખ કરોડ રૂપિયાની ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેંટી સ્કીમ (ECLGS) યોજનાની તારીખ 31 માર્ચ 2021 સુધી વધારીને ઉમેર્યું હતું કે આત્મનિર્ભર ભારત હેઠળની ઇસીએલજી યોજના અંતર્ગત 61 લાખ લોકોને ફાયદો થયો છે.
પીએમ આવાસ યોજના-શહેરી
પીએમ અર્બન હાઉસિંગ યોજના માટે રૂ. 18 હજાર કરોડની વધારાની જોગવાઈ કરવામાં આવી છે. આનાથી કુલ 30 લાખ ઘરોને ફાયદો થશે. આ બજેટમાં જાહેર કરાયેલા 8 હજાર કરોડ રૂપિયા ઉપરાંત હશે. જેમાં 78 લાખથી વધુ રોજગારીની તકો ઉભી થશે.
ઉદ્યોગ ચેમ્બર અને કોર્પોરેટ જગતના લેવાયા અભિપ્રાય
સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ગુરુવારે જ આ પેકેજને અંતિમ સ્વરૂપ આપશે. આ પેકેજમાં રોજગાર સર્જન અને મુશ્કેલીગ્રસ્ત ક્ષેત્રને રાહત આપવા પર ભાર આપી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પેકેજ તૈયાર કરવા માટે ઉદ્યોગ ચેમ્બર અને કોર્પોરેટ જગતનો અભિપ્રાય લેવામાં આવ્યો છે.