ફેસબુક પોતાની ઢીલી પ્રાઈવસી પોલીસી એટલે વપરાશકર્તાઓની ગોપનીયતાના કારણે અવારનવાર ટીકાઓનો ભોગ બને છે. થોડા સમય સમય પહેલા ફેસબુકે તેનાં આપ લે થતા મેસેજિસ મોકલનાર અને લેનાર સિવાય કોઈ ન વાંચી શકે તેવી ટેકનોલોજી લાવી રહ્યું છે.
જો કે સુરક્ષા સંસ્થાઓએ આ નિર્ણયને જોખમી ગણાવીને જણાવ્યું છે કે આનાથી ગુનેગારોને છટકબારી મળી જશે. આ સાથે ફરી એક વાર ફેસબુકમાં કેટલી ગુપ્તતા હોવી જોઈએ આ બાબતને લઇને વિશ્વભરમાં ચર્ચા ઉઠી છે.
અમેરિકાની તપાસ સંસ્થા FBIના ડાયરેક્ટર ક્રિસ્ટોફર વ્રેય દ્વારા શુક્રવારે આપવામાં આવેલ એક નિવેદન મુજબ ફેસબુક અંદરો અંદર મેસેજ મોકલવાની સેવાને એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટ કરવાનું વિચારી રહી છે અર્થાત મોકલેલો મેસેજ જે યુઝરે મોકલ્યો છે અને જે યુઝરને મોકલ્યો છે એ બે સિવાય કોઈ જોઈ ન શકે તેવી પ્રણાલી અપનાવવા જઈ રહી છે. ચિંતાજનક રીતે આ પ્રણાલી ચાઈલ્ડ પોર્નોગ્રાફી એટલે કે બાળકોના અશ્લીલ વિડીઓ બનાવવા વાળાઓને વધુ વેગ આપે તેવી શક્યતા છે. વોશિંગટનમાં ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના કાયદો અને વ્યવસ્થા અને બાળકોની સુરક્ષા માટેના અધિકારીઓને સંબોધતા ક્રિસ્ટોફરે જણાવ્યું હતું કે ફેસબુકના પ્લાન મુજબ ફેસબુક ગુનેગારો માટે એક કાયદો અને વ્યવસ્થા વિહોણું મોકળું મેદાન બની જશે.
અન્ય દેશો પણ અમેરિકાની તરફેણમાં
ક્રિસ્ટોફરની નિવેદન ઉપરાંત અમેરિકાના એટર્ની જનરલ વિલિયમ બારે પણ આ વિષય પર પોતાનો આવો જ મત પ્રદર્શિત કર્યો હતો. આમ હવે ફેસબુક ઉપર અમેરિકા અને તેના સાથી દેશોની સરકારોનું દબાણ વધી રહ્યું છે કે તેઓ ફેસબુક ઉપર અબજોની સંખ્યામાં મોકલાતા મેસેજીસની ડીજીટલ સુરક્ષાઓને હળવી કરે. અહી ઉલ્લેખનીય છે કે અમેરિકા સહિત ઓસ્ટ્રેલિયા, બ્રિટન જેવા દેશો ટેકનોલોજી કંપનીઓને તેમની ડીજીટલ કોમ્યુનીકેશન સેવાઓને સુરક્ષિત રાખતા એન્સ્ક્રીપ્શ્નને હળવા કરવા માટે આગ્રહ કરી રહી છે.
ડેટાને એનક્રિપ્ટ રાખવો કે નહિ?
યુઝર્સના સંવાદોને એનક્રિપ્ટ રાખવા કે નહિ તે વિષય ઉપર છેલ્લા ૨૫ વર્ષથી મત મતાંતર પ્રવર્તે છે. પરંતુ હવે ટેક કંપનીઓએ એન્સ્ક્રીપ્શ્ન ઓટોમેટીક કરી દેતા સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી છે. ભૂતકાળમાં પણ સુરક્ષા સંસ્થાઓએ આવા એન્સ્ક્રીપ્શ્નના લીધે આતંકવાદીઓના સંવાદ પકડાઈ ન શકે અને આતંકવાદી હુમલાઓ વધી શકે તેવી ચેતવણી આપી હતી.
પરંતુ હવે ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠનોના ઘટતા પ્રભાવને કારણે સરકારે બાળકોના શોષણનું કારણ રજુ કર્યું છે. નોંધનીય છે કે ફેસબુકે આ પગલું તેનાં વપરાશકર્તાઓની ગોપનીયતા વધારવા માટે લીધું છે.
માર્ક ઝુકરબર્ગનું નિવેદન
માર્ક ઝુકરબર્ગે આ વર્ષે જણાવ્યું હતું કે તે જાણે છે કે સરકારને ડર છે કે એન્સ્ક્રીપ્શ્નના કારણે બાળકોના શોષણને લગતી ફરિયાદો દબાઈ જાય તેવી શક્યતા છે કારણ કે સુરક્ષા અધિકારીઓ ફેસબુક પર શેર થયેલા બાળકોના શોષણના સાહિત્યને આધારે ગુનેગારની ભાળ મેળવતા હતા.
જો કે ઝુકરબર્ગે કંપનીના સાપ્તાહિક લાઈવ સવાલ જવાબના વિડીઓમાં જણાવ્યું હતું કે તેને વિશ્વાસ છે કે એન્સ્ક્રીપ્શ્ન પછી પણ ફેસબુક એટલી ટેકનોલોજી ધરાવે છે કે તે બાળકોનું શોષણ કરતા સાહિત્યો મેસેજ કરનાર યુઝર્સને શોધી શકશે. જો કે FBIના ક્રિસ્ટોફરનું આ માનવું નથી અને તેમના મતે આ નિર્ણયથી ઘણા બધા બાળકોનું યૌનશોષણ કરવા વાળા છૂટી જશે અને આ પ્રવૃતિમાં બાળકોને બચાવી શકાશે નહિ.
ઘણા નિષ્ણાતો અને સંગઠનો ફેસબુકની તરફેણમાં
જો કે કાયદો અને સુરક્ષા સિવાયના અલગ અલગ વિભાગોએ ફેસબુકના આ નિર્ણયને આવકારીને તેને લોકોની ગોપનીયતા વધારવાનું એક સફળ પગલું ગણાવ્યું હતું.
નિષ્ણાતો અને ઘણા બધા પ્રાઈવસી ગ્રુપ્સના મતે સરકારે ફેસબુકની પ્રાઈવસી પોલીસીમાં દખલગીરી કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આમ કરવાથી લોકોની ગુપ્તતા ઉપર પ્રશ્નાર્થ ઉભો થાય છે અને ઈન્ટરનેટને વધુ અસુરક્ષિત બનાવે છે. સરકાર સુરક્ષાના બહાને અબજો લોકોનો ડેટા જોઈ શકે છે અને તેમની પર નજર રાખી શકે છે. જો કે ક્રિસ્ટોફરે આ અંગે કોઈ કાયદો કે ફરજ પાડવા કરતા કંપનીએ પોતે જ કઈ રીતે સુરક્ષા સંસ્થાઓને આ બાબતમાં મદદરૂપ થઇ શકે તેમ નક્કી કરવું જોઈએ એ બાબત ઉપર ભાર મુક્યો હતો.