શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકારને પડકાર ફેંક્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકારને પડકાર
કહ્યું- તાકાત હોય તો દાઉદને મારી બતાવો
હવે દાઉદના નામ પર મત માગશે ભાજપ તેવો કર્યો કટાક્ષ
તેમણે કહ્યું કે જો મોદી સરકાર પાસે સત્તા છે તો દાઉદ ઈબ્રાહિમને મારી બતાવો. મહારાષ્ટ્ર વિધાનસભામાં બોલતા ઉદ્ધવ ઠાકરેએ NCP નેતા નવાબ મલિકનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે નવાબ મલિકના દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધો છે, તો આટલા વર્ષો સુધી કેન્દ્રીય એજન્સીઓ શું કરી રહી હતી? તેમણે નવાબ મલિકના રાજીનામાની માંગ સાથે મહારાષ્ટ્ર વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના ધારાસભ્યોના સંદર્ભમાં આ વાત કહી.
દેવેન્દ્ર ફડણવીસ પર કર્યા આકરા પ્રહાર
ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રની ભાજપ સરકારને પૂછ્યું કે તેણે આતંકવાદીઓ અફઝલ ગુરુ અને બુરહાન વાની પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી પીડીપી સાથે શા માટે સરકાર બનાવી? આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ભાજપના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
હવે દાઉદના નામ પર મત માગશે ભાજપ
તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દેવેન્દ્ર ફડણવીસને નોકરીએ રાખવા જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપે છેલ્લી ચૂંટણી રામ મંદિર પર લડી હતી અને હવે આગામી ચૂંટણીમાં દાઉદ ઈબ્રાહિમના નામ પર વોટ માંગશે. ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બરાક ઓબામા પાકિસ્તાનમાં ઘૂસીને લાદેનને મારી નાખ્યો, છતાં ક્યારેય લાદેનના નામ પર વોટ નથી માંગ્યા.
મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેનાના સહયોગી NCPના નેતા નવાબ મલિકને દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં 23 ફેબ્રુઆરીએ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. NCPએ નવાબ મલિકને તેમના તમામ પદો પરથી હંગામી ધોરણે હટાવી દીધા છે. નોંધપાત્ર રીતે, અગાઉ મંગળવારે, EDએ ઉદ્ધવ ઠાકરેના સાળાની 6.45 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. આ મામલે ભાજપના નેતા કિરીટ સૌમૈયાએ પણ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે સત્તામાં આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાને માફિયા સેના બનાવી દીધી છે.