92 વર્ષીય L K અડવાણી હાલના શાસક પક્ષ ભાજપના સૌથી સિનિયર નેતાઓમાંના એક છે. જો કે દેશના લોકોના માનસપટ ઉપર તેઓ એ રીતે ભૂંસાઈ ગયા છે કે હવે તેઓએ નિવેદનો આપવાના પણ બંધ કરી દીધા છે. તો ગઈ કાલે અયોધ્યા ચુકાદો આવી ગયા બાદ આવો જાણીએ કેવી રીતે L K અડવાણીએ રામ મંદિરને આકાર આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના ઉદય પછી પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા. એમાંના એક એટલે ભાજપના હાલના માળખાના સહ સ્થાપક અને પૂર્વ ઉપ પ્રધાનમંત્રી L K અડવાણી.
કરાંચીમાં જન્મેલા અડવાણી 20 વર્ષની ઉંમરે ભાગલા પછી ભારત આવ્યા અને લૉ માં સ્નાતક થયા. ત્યાં સુધી તેઓ RSSના સભ્ય હતા. ત્યાર બાદ તેઓ RSSના રાજકીય પક્ષ જન સંઘમાં જોડાયા.
70ના દાયકામાં તેઓ વિપક્ષના નેતા હતા જેમની સાથે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ હતા. ઇન્દિરા ગાંધીના સમયમાં આ બન્ને નેતાઓ સહિત અનેક સામ્યવાદી નેતાઓને જેલમાં ધકેલવામાં આવ્યા.
1977 અડવાણી અને વાજપેયીના વડપણ હેઠળ જનસંઘમાંથી ભાજપનું નિર્માણ થયું. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ અડવાણીના નેતૃત્વમાં ભાજપે આક્રમક રાષ્ટ્રવાદી હિન્દુત્વ ધારણ કર્યું.
1980ના મધ્ય ભાગમાં RSSની પેટા સંસ્થા VHPએ રામજન્મભૂમિની ચળવળ શરુ કરી જેનો ઉદ્દેશ્ય બાબરી મસ્જિદના સ્થાને રામ મંદિર સ્થાપવાનો હતો. આ કેસ વર્ષોથી કાનૂની આટાપાટા સપડાયેલો હતો.
અડવાણીના નેતૃત્વ હેઠળ ભાજપે તેના મતદારોને આ મુદ્દે વિશ્વાસમાં લીધા.
સોમનાથની રથયાત્રા
25 સપ્ટેમ્બર 1990માં સમર્થકોના ફૂલ હારથી લદાયેલા અડવાણી ગુજરાતના સોમનાથથી પ્રતિકાત્મક ધનુષ બાણ લઈને રથ ઉપર આરૂઢ થયા. તેમનો હેતુ આ રથયાત્રાને અલગ અલગ ગામ અને શહેરોમાં ફેરવીને લોકોમાં હિન્દૂ રાષ્ટ્રવાદી લાગણીને જગાવવાનો હતો.
આ રથયાત્રા વડે અડવાણી 30 ઓક્ટોબરે અયોધ્યા પહોંચીને અયોધ્યામાં સ્થાપિત રામ મૂર્તિની પૂજા કરવી હતી. બિહારમાં અડવાણીની અટકાયત કરવામાં આવી પરંતુ તેમના હજારો કારસેવકો અયોધ્યા જવા માટે રવાના થઇ ચુક્યા હતા.
અડવાણીના આ પગલાંનો ભાજપને આવતી ચૂંટણીમાં ઘણો લાભ થયો અને 1991ની ચૂંટણીમાં પક્ષ 120 સીટો સાથે વિજયી બન્યો.
ભાજપના અડવાણી સહિત નેતાઓ આ સમયે હાજર હતા અને તેમણે કારસેવકોને કથિત ભડકાઉ ભાષણો આપ્યા હતા તેવો આક્ષેપ હતો.
બાબરી મસ્જિદ ધ્વંસે ભારતના રાજકારણને હંમેશ માટે બદલી નાખ્યું. તોફાનોમાં હજારોના મોત નિપજ્યા અને સુપ્રીમ કોર્ટે આ ઘટનાને ભારતની બિનસાંપ્રદાયિક્તાને હંમેશ માટે ખંડિત કરનાર ગણાવી હતી.
અડવાણી અને 7 અન્ય નેતાઓ સામે કેસ દાખલ થયો. 2001માં અલાહાબાદ હાઈ કોર્ટે આ કેસને પડતા મુક્યા.
જો કે આ તમામ ઘટનાઓ પછી પણ અડવાણીનું વડાપ્રધાન બનવાનું સપનું ક્યારેય સાકાર ન થઇ શક્યું અને એક સમયના દમદાર ભાષણો આપવા માટે જાણીતા નેતા માટે હવે બોલવા માટે ખુબ ઓછું બચ્યું છે.