Know in one click how prisoners live in Gujarat jails
VTV વિશેષ /
સવારે 7:00 વાગે ઉઠી જવાનું અને સાંજે 4:30એ જમી લેવાનું, એક ક્લિકમાં જાણો ગુજરાતની જેલમાં કેવી રીતે જીવે છે કેદીઓ
Team VTV02:24 PM, 25 Mar 23
| Updated: 02:26 PM, 25 Mar 23
જેલની અંદરનું જીવન કેવું હશે તેને લઈને તમારા મનમા ઘણા બધા પ્રશ્નો હશે જેવા કે કેદીનું જીવન કેવું હશે? તેમને કેટલા વાગે જમવાનું આપવામાં આવે છે? પરિવારજનો કેદીને ક્યારે મળી શકે છે? તમારા આ દરેક પ્રશ્નોના જવાબ અમે તમને આપીશું.
ફિલ્મ અસલમાં જુદી જ હોય છે જેલમાં કેદીની જિંદગી
કેદીઓએ સવારે 7:00 વાગ્યામાં ઉઠી જવાનું
પાકા કામના કેદી પાસે કરાવવામાં આવે છે કામ
ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગતરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના ગૃહ સચિવ, રાજ્યના પોલીસ વડા તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ અચાનક જ મોડી રાતે રાજ્યની 17 જેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો બોડી વોર્ન કેમેરા સાથે 17 જેલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા પહોંચ્યો હતો. જેનું સીધું પ્રસારણ કંટ્રોલરૂમમાં થઈ રહ્યું હતું. આ આખા ઓપરેશનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીએમ ડેશ બોર્ડથી લાઈવ જોઈ રહ્યા હતા, જ્યારે ગૃહરાજ્યમંત્રી કમાન્ડ કંટ્રોલ રૂમથી ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. આ ગુપ્ત ઓપરેશનને જોઈને ઘણાં મોટા અધિકારીઓનો પણ પરસેવો છૂટી ગયો હતો. ગુજરાત સરકારનું 'ઓપરેશન જેલ' હાલ ખૂબ જ ચર્ચામાં છે. ગુજરાત સહિત દેશભરમાં આ આપરેશનની વાતો થઈ રહી છે. એવામાં શું તમે જાણો છો કે જેલમાં કેદીઓનું જીવન કેવું હોય છે? જેલમાં કેદીઓની દિનચર્યા કેવી હોય છે? જો નથી જાણતા તો આજે અમે આપને આના વિશે બધું જ જણાવીશું.
કેવી હોય છે કેદીઓની અસલમાં જિંદગી?
ફિલ્મોમાં તો તમે ઘણી વખત જેલની અંદરના દ્રશ્યો જોયા જ હશે. આ જોઈને તમને પણ એવું લાગતું હશે કે હકીકતમાં કેદીઓ જેલમાં આવી રીતે રહેતા હશે. જોકે, સાચી હકીકત તો આના કરતા ક્યાં જુદી જ છે. કારણ કે સજા ભોગવી રહેલા જેલના કેદીઓની જિંદગી એવી હોય છે કે તેમને જીવનભર પોતાના ગુનાનો પસ્તાવો થાય છે.
સવારે આપવામાં આવે છે ચા-નાસ્તો
આ જેલમાં કેદીઓની કેવી દિનચર્યા હોય છે તેના વિશે vtvgujarati.comને જેલમાં રહેલા અંગત સૂત્રોએ જણાવ્યું કે, જેલના કેદીઓએ સવારે 7:00 વાગ્યામાં ઉઠી જવાનું હોય છે સવારે ચા-પાણી અને નાસ્તો આપવામાં આવે છે. ત્યારબાદ 10 વાગે જમી લેવાનું હોય છે, જમીને ફરી દરેક કેદીની ગણતરી કરી તેને બેરેકમાં ફરી પૂરી દેવામાં આવે છે. ફરી ત્રણ વાગે બહાર કાઢી ચા આપવામાં આવે છે અને સાંજે સાડા ચાર વાગે ફરી જમવાનું આપવામાં આવે છે અને પોણા છ આસપાસ ફરી ગણતરી કરી કેદીઓને બેરેકમાં પૂરી દેવામાં આવે છે. આ સિવાય દરેક જેલમાં ટીવી રાખ્યા હોય છે, લાઇબ્રેરી પણ હોય છે કેદીઓ ટીવી જોવે છે અને પુસ્તકો પણ વાંચતા હોય છે.
પાકા કામના કેદી પાસે કરાવવામાં આવે છે કામ
આ સિવાય જેલની અંદર પાકા કામના કેદીઓને કામ સોંપવામાં આવે છે, જેમાં બેકરી આઈટમ, ફર્નિચર બનાવાનું કામ, સિવણ કામ વગેરે આપવામાં આવે છે, જેમાં સજા જાહેર થઈ ગઈ હોય તેવા કેદી કામ કરી શકે છે અને તેમને રોજનું 80 થી 100 રૂપિયા સુધીનું વળતર પણ ચૂકવવામાં આવે છે અને રોજના સાત કલાક જેટલું કામ કરાવવામાં આવે છે.
અઠવાડિયામાં 3 વખત જ મળી શકે છે પરિવારજનો
કેદીને રોજ રોજ મળવાની પરમિશન નથી હોતી, કોઈ એક કેદી અઠવાડિયામા ફક્ત 3 વખત જ મળી શકે છે, અને કોઈ કોઈ કેદીને તો અઠવાડિયામા ફક્ત એક જ વખત મળવાની છૂટ આપવામા આવે છે અને સંપૂર્ણપણે નિર્ભર કરે છે કે કેદી કેટલો ખતરનાક છે અને તેની સજા કેવી છે. કેદીના પરિવારને મળવા માટે 20 મિનિટની સમય મર્યાદા આપવામાં આવે છે. આ સિવાય જેલમાં સરકારી ટેલીફોન બુથ હોય છે. જેમાં ઇમરજન્સીમાં કદીઓને ઘરે ટેલિફોનિક વાતચીત કરવા દેવામાં પણ આવે છે.