બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Kheda in Kamanath temple in the form of unbroken flame, ghee matla, lamp for 623 years
Dinesh
Last Updated: 07:17 AM, 29 January 2024
ADVERTISEMENT
ભગવાનનુ સાચી શ્રદ્ધાથી તપ કરવામાં આવે અને ભગવાન પ્રસન્ન થઈ વરદાન આપે એવુ દરેક યુગમાં બનતુ આવ્યુ છે અને ઘણા લોકો વરદાન મેળવી ધન્ય થયા છે. શિવજીના દર્શન કર્યા વિના અન્નપાણી નહિ લેવાના રઢુ ગામના જેસીંગભાઈના રોજીંદા નિયમમાં વરસાદનુ પૂર બાધારુપ બન્યુ અને સતત આઠ દિવસ અન્નપાણી ના લીધુ તો ભગવાન શિવજીએ ભક્તના સ્વપ્નમાં આવી પોતાના ગામ લઈ જવા કહ્યુ અને નિર્માણ થયુ કામનાથ મહાદેવના મંદિરનુ. ખેડા-ધોળકા હાઇવે રોડ ઉપર વાત્રક નદીની ઉત્તરે રઢુ ગામે પાંચ નદીઓના સંગમ નજીક શ્રી કામનાથ મહાદેવનું પવિત્ર મંદિર આવેલુ છે.કામનાથ મહાદેવ મંદિરની સ્થાપના સં.1445માં કરવામાં આવી હતી.
ADVERTISEMENT
દીવા સ્વરુપે મહાદેવ ભક્ત સાથે આવ્યા
રઢુ ગામના શિવભક્ત પટેલ જેસીંગભાઈનો મહાદેવજીના દર્શન બાદ જ ખાવાપીવાનો નિયમ હતો. અને રઢુ ગામમાં શિવજીનુ કોઈ જ મંદિર ના હોવાથી જેસીંગભાઈ રોજ રઢુગામથી આઠ કિલોમીટર દૂર વાત્રક નદી ઓળંગી પુનાજ ગામે નિયમિત દર્શન કરવા જતા. એકવાર વાત્રક નદીમાં ભયંકર પૂર આવતા જેસીંગભાઈ આઠ દિવસ મહાદેવજીના દર્શન કરવા ના જઈ શકતા આઠ દિવસ સુધી ઉપવાસ પર રહ્યા. જેસીંગભાઈની સાચી શ્રદ્ધા અતુટ હતી, તેમને આઠમી રાત્રે સ્વપ્ન આવ્યું અને મહાદેવજીએ કહ્યું કે, તું મને અહીંયાથી તારે ગામે ઘીનો દીવો પ્રગટાવી તારી સાથે લઇ જા. જેસીંગભાઈએ બીજા દિવસે સવારે ગ્રામજનોને વાત કરી અને ગામના માણસો સાથે પુનાજ ગામે મહાદેવના મંદિરથી મહાદેવનો દીવો પ્રગટાવી રઢુ ગામ જવા નીકળ્યા. શ્રાવણ વદ-૧૨ના દિવસે પુનાજ ગામથી આઠ કિલોમીટરે રઢુ ગામ સુધી વરસાદ અને પવનની વચ્ચે મહાદેવની દયાથી દીવો અખંડ આવ્યો.
વરસાદ,પવનની વચ્ચે પણ દીવો અખંડ રહ્યો
પહેલા નાની દેરી બનાવી તેમાં તે દીવાની સ્થાપના કરવામાં આવી. બાદમાં સંવત ૧૪૪૫માં ગામના ત્રણ પટેલોએ 900 ચાંદીના સિક્કા ખર્ચ કરી 15 ચાંદીના સિક્કા બારોટને આપી તેમના ચોપડે નોંધાવી મોટા મંદિરનુ નિર્માણ કરાવી મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરી અખંડ જ્યોતને મંદિરમાં રાખવામાં આવી, જે હાલમાં એ જ સ્થિતિમાં અખંડ છે. આજ સુધી દીવા માટે ઘી વેચાતું લાવવું પડતું નથી. રોજ આઠથી દસ કિલો ઘીનો વપરાશ થાય છે, પરંતુ ભાવિક ભક્તોની ભાવના અને બાધા-માનતાઓથી ઘી નો ભંડાર ભરાવાનો પ્રવાહ ચાલુ રહે છે. વર્ષોથી કામનાથ મહાદેવ મંદિર શિવભક્તો માટે આસ્થાનુ અનેરુ કેન્દ્ર બની રહ્યુ છે.
ઘી ના માટલાના ત્રણ ભંડાર
શ્રાવણ મહિનામાં ભગવાન શિવને રીઝવવા માટે અને તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે શિવભકતો આખો શ્રાવણ માસ ઉપવાસ,જપ, તપ અને હવન કરે છે, ત્યારે ખેડા જિલ્લાનુ રઢુ ગામનુ ગુજરાતમાં એક જ એવું શિવ મંદિર છે, જ્યાં ઘીના ભંડાર ઉભરાય છે. અમદાવાદથી ૫૦ કિ.મી.ના અંતરે આવેલા ખેડા તાલુકાના રઢુ ગામના કામનાથ મહાદેવના મંદિરમાં ઘી ભરેલા માટીના માટલા છે. જે વર્ષોથી ભરેલા છે અને અન્ય બે ભંડારમાં વધુ નવા ઘીના માટલા ભરેલા છે, કુલ 1150 ઘીની ગોળીઓ મહાદેવના ત્રણ ભંડારોમાં ભરેલી છે. શિવ ભકિત અને શકિતનું ઉદાહરણ પૂરું પાડતી અખંડ જ્યોત છેલ્લા ૬૨૩ વર્ષથી પ્રજવલિત છે. શિવજીની અખંડ જ્યોતને પ્રજવલિત રાખવા માટે ગ્રામજનો તેમજ શિવ ભક્તોએ યથાશક્તિ ફાળો આપ્યો છે.
ઘી વર્ષો જુનું બગડતુ નથી
દીવામાં અને હોમ હવન માટે જ વપરાશમાં લેવાતા ઘીની ૧૩૦૦ જેટલી મોટી માટીની ગોળીઓ આજે આ શિવ મંદીરના ભંડારમાં છે. માટીની એક ગોળીમાં ૬૦ કિલો ઘી હોય છે જે વર્ષો જુનું હોવા છતાં બગડ્યું નથી તેમજ તે ખુલ્લામાં હોવા છતાં તેમાં કીડી, મકોડા કે અન્ય જીવજંતુઓ પડતા નથી કે તે દુર્ગધ પણ મારતું નથી. મોટા જથ્થામાં ઘી એકઠું થવા પાછળ એક માન્યતા જોડાયેલી છે. રઢુ ગામ તથા તેની આસપાસના ગામડાઓમાં કોઇ પણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયનું બચ્ચું જન્મે તો તેના પ્રથમ વલોણાનું ઘી બનાવીને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. રોજ આઠથી દસ કિલો ઘીનો વપરાશ થાય છે, પરંતુ ભાવિક ભક્તોની ભાવના અને બાધા-માનતાઓથી પ્રવાહ ચાલુ રહે છે. ઘીની ભરેલી ગાગરોના ઘીનો ઉપયોગ અખંડજ્યોત અને મંદિરમાં થતા હોમહવન માટે થાય છે. વારે તહેવારે મહાદેવના દર્શને આવતા વિદેશમાં વસતા ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થાય ત્યારે પણ દાદાના ચરણોમાં આવી શીશ નમાવી ધન્ય થાય છે.
મઢુ અને કાશી વિશ્વનાથમાં ઘણી સામ્યતા
બારશને દિવસે ભગવાન શિવની ૬૨૩ વર્ષ પહેલા પ્રજવલિત થયેલી અખંડ જયોતનો પ્રતિષ્ઠા મહોત્સવ ગ્રામજનો દ્વારા ધામધુમથી ઉજવવામાં આવે છે. તમામ ભક્તોની કામનાઓ પૂર્ણ કરનાર કામનાથ મહાદેવના મંદિરની ભગવાન શિવની સોનાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ભક્તજનોના દર્શનાર્થે બહાર રાખવામાં છે. પ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્ય વરઘોડો આખા ગામમાં ફેરવવામાં આવે છે. આખું ગામ આ દિવસે ઘેરઘેર ઉંજાણી કરે છે. શિવજીની સોનાની મૂર્તિ વર્ષમાં માત્ર શ્રાવણના ચાર સોમવાર, શ્રાવણ વદ બારસ અને શિવરાત્રીના દિવસે જ ભક્તજનોના દર્શનાથે બહાર રાખવામાં આવે છે. ઐતિહાસિક દ્રષ્ટીએ કામનાથ મહાદેવ મંદિરનુ ગામ કાશી વિશ્ર્વનાથ જેવુ જ મહત્વ ધરાવે છે બંન્ને સ્થળમાં ઘણી સામ્યતા છે.
વાંચવા જેવું: બનાસ નદીના તટ પર વસેલું મહાદેવિયા ગામ, જ્યાં બિરાજે સોનેશ્વર મહાદેવ, ચડે છે મીઠું અને રીંગણ, ઇતિહાસ અદભૂત
અખંડ જ્યોતના દર્શન
દરેક મહેત્સવમાં ભગવાન શિવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડે છે. શિવમંદિરમાં અખંડ જ્યોત માટે ભક્તો દ્વારા અપાયેલું ઘી વર્ષો બાદ પણ બગડતું નથી. અખંડ જ્યોતના દર્શન કરવા માટે ગુજરાત, મહારાષ્ટ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તેમજ વિદેશથી શ્ર્ધાધાળુઓ આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય તે માટે મહાદેવની બાધા રાખે છે. ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાથી શિવ જ્યોત જે મંદિરમાં રખાઈ છે તે મંદિરનું નામ કામનાથ મહાદેવ પડ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.